નવી દિલ્હી: રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદ માટે ગેરલાયક ઠેરવવા સામે કૉંગ્રેસના વિરોધ પ્રદર્શનના જવાબમાં વળતા પ્રહાર કરવાનું ભારતીય જનતા પક્ષે ચાલુ રાખ્યું હતું. કેન્દ્રના પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે કૉંગ્રેસનો ગાંધી પરિવાર પોતાને સમાજના ઉચ્ચતમ ભદ્ર વર્ગના સમજવા ઉપરાંત બંધારણથી પણ ઊંચા સમજે છે. તેઓ માને છે કે દેશનું બંધારણ તેમને લાગુ ન થઈ શકે.
ભાજપના વરિષ્ઠ નેતા ગજેન્દ્રસિંહ શેખાવતે એક પત્રકાર પરિષદમાં કૉંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે બદનક્ષીના કેસમાં અદાલતે દોષિત ઠેરવ્યા બાદ વાયનાડના સંસદસભ્યને ગેરલાયક ઠેરવવાના કિસ્સા જોડે ભાજપને કે કેન્દ્ર સરકારને કંઈ સંબંધ નથી. એક ન્યાયિક અને કાયદેસર કાર્યવાહી સામે કૉંગ્રેસીઓ જે રીતે કાગારોળ મચાવી રહ્યા છે, એ જોઇને ગાંધી પરિવાર પોતાને ન્યાયતંત્રીય પ્રક્રિયા, બંધારણ કે લોકતાંત્રિક વ્યવસ્થા લાગુ ન પડતા હોય એટલા ઉચ્ચ વર્ગના માનતા હોય એવું જણાય છે.
સંસદમાં રાજસ્થાનનું પ્રતિનિધિત્ત્વ કરતા ગજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે સૂરતની કોર્ટે રાહુલ ગાંધીને મોદી અટક ધરાવતા લોકોની બદનક્ષી બદલ માફી માગવા સહિત કેટલાક અવસરો આપ્યા હતા, પરંતુ તેમણે ન્યાયતંત્ર તેમની કે તેમના પરિવારની વિરુદ્ધ ચુકાદો આપવાની હિંમત નહીં કરી શકે. કાયદાએ તેનું કામ કર્યું છે. ભાજપ કે કેન્દ્ર સરકારને ન્યાયતંત્રના એ પગલા જોડે કઈં નિસ્બત નથી. (એજન્સી)