વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. 18મી જી-20 સમિટ સપ્ટેમ્બર 2023માં આયોજિત થશે ત્યારે ગુજરાત પણ
શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોના આયોજન સાથે આ ઐતિહાસિક ઘટનામાં પોતાની ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોમાંથી પ્રથમ બેઠક બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ છે, જે ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે, તેમ ગુજરાત સરકારે જણાવ્યું હતું.
બી-20 ઇન્સેપ્શનના ઉદ્ઘાટન સમારોહમાં માનનીય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન પીયૂષ ગોયલ, કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કોમ્યુનિકેશન્સ અને રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જી20 માટે ભારતના પ્રતિનિધિ અમિતાભ કાંત ઉપસ્થિત રહેશે. આ સાથે જ, બી-20 ઈન્ડિયા હેઠળ બિઝનેસ એજન્ડા પર પરિણામલક્ષી ચર્ચાઓ અને વિચાર-વિમર્શને પ્રોત્સાહિત કરવા માટે બી-20ના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન અને 150થી વધુ પોલિસી મેકર્સ, થોટ લીડર્સ, બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, સીઇઓ, અને જી20 દેશોની એન્ટરપ્રાઇઝોનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર એક્ઝિક્યુટિવ્સ તેમજ સંખ્યાબંધ બહુપક્ષીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉદ્ઘાટન બેઠકમાં હાજરી આપશે.
ગુજરાત સરકાર જી-20 પ્રતિનિધિઓ માટે રાત્રિભોજનનું આયોજન કરશે અને ત્યારબાદ દાંડી કુટીરની મુલાકાત લેશે.
આ પ્રતિનિધિમંડળ મહાત્મા મંદિરના એમ્ફી થિયેટર ખાતે ગરબા અને દાંડિયાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો પણ અનુભવ કરશે. સરકારે ગાંધીનગરના પુનિત વનમાં જી20 પ્રતિનિધિઓ માટે યોગ અને આયુર્વેદ સત્રનું પણ આયોજન કર્યું છે. આ સાથે, કાર્યક્રમના સ્થળ પર લાઇવ ક્રાફ્ટ ડેમો અને બાજરી સ્ટેશન પણ ઊભું કરવામાં આવશે. આ પ્રતિનિધિઓ ઉભરતા વૈશ્વિક ફિન-ટેક સિટી, ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે તેમજ ગુજરાતના વારસા અને સંસ્કૃતિની ઝલક મેળવવા માટે તેઓ અડાલજની વાવની મુલાકાત લેશે અને ત્યારબાદ પુનિત વન ખાતે ઇકો ટુર કરશે.