મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ૧૩મી ડિસેમ્બરે તાજ હોટેલમાં થનારા જી-૨૦ સમ્મેલનને લઇને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે દક્ષિણ મુંબઈ સ્થિત નિયંત્રણો જાહેર કર્યાં છે. મુંબઈ ટ્રાફિક પોલીસની એડવાઈઝરી અનુસાર દક્ષિણ મુંબઈના અનેક માર્ગો પર ૧૨થી ૧૬મી ડિસેમ્બર દરમિયાન વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જોકે ટ્રાફિક પોલીસે આ માટે અનેક ડાઈવર્ઝન પણ આપ્યાં છે, જેને કારણે વાહનચાલકોને પરેશાની વેઠવી ન પડે.
પશ્ર્ચિમના પરામાં આવેલી ગ્રાન્ડ હયાત હોટેલમાં પણ એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોઇ ટ્રાફિક પોલીસે હોટેલ તરફ આવતા અને જતા અનેક માર્ગો પર નિયંત્રણો જાહેર કર્યાં છે. હનુમાન મંદિરથી આવતા તેમ જ ગ્રાન્ડ હયાત હોટેલ તરફના નેહરુ રોડથી વાકોલા પાઈપલાઇન રોડ પરનાં ઈમરજન્સી સર્વિસના વાહનો સિવાયનાં તમામ વાહનો પાર્કિંગ કે પછી પ્રવેશી નહીં શકે.
રિગલ સિનેમા જંકશનથી છત્રપતિ શિવાજી મહારાજ માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. માત્ર ઇમરજન્સી સર્વિસનાં વાહનોને બંને દિશામાં અવરજવર કરવા દેવામાં આવશે.
બોમન બહેરામ રોડ જંકશન અને મહાકવિ ભૂષણ માર્ગ જંકશન માર્ગ જંકશન વચ્ચેના આદમ સ્ટ્રીટ પટ્ટો ઇમરજન્સી સર્વિસનાં વાહનો છોડીને તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.
એ જ રીતે માંડવી સ્ટ્રીટથી બોમન બહેરામ રોડ, શહીદ ભગતસિંહ માર્ગથી મહાકવિ ભૂષણ માર્ગ અને બોમ્બે પ્રેસિડન્સી ક્લબ (રેડિયો ક્લબ)થી આદમ સ્ટ્રીટ જંકશન વચ્ચેનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે, પરંતુ ઇમરજન્સી સર્વિસનાં વાહનો માટે આ માર્ગો ચાલુ રહેશે, એમ જણાવવામાં આવ્યું છે.