જેના પર નભતા હોય તે ખેતીની જમીન સરકારી પ્રકલ્પ માટે આપી દેવાનું દુઃખ ખેડૂત જ સમજી શકે. છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકલ્પો માટે રાજ્ય અથવા કેન્દ્રની સરકાર જમીન સંપાદન કરે છે અને ખેડૂતો અને સરકાર વચ્ચે સંઘર્ષ થાય છે. આવો જ સંઘર્ષ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે માટે થઈ રહ્યો છે.
દિલ્હી-મુંબઈ ૪ લેન રોડ માટે શામળાજીથી વાપી સુધી ૪ લેન રોડ બનવાની કામગીરી હાલ ચાલી રહી છે. શામળાજીથી હાલોલ સુધીનો ૪ લેન રોડ હાલમાં બનીને તૈયાર પડ્યો છે.
હવે વાપી સુધીનો રોડ નર્મદા જિલ્લાના તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકા માંથી થઈને આગળ જશે. એ માટે દિલ્હી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકાના હાઇવે પરના વિવિધ ગામોની જમીન જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તો બીજી બાજુ તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકાના હાઇવે પરના વિવિધ ગામોએ ગ્રામસભા યોજી દિલ્હી-મુંબઈ ૪ લેન હાઈવે માટે જમીન સંપાદનનો વિરોધ નોંધાવ્યો છે. હાલમાં નાંદોદ તાલુકાના વાવડી ગ્રામપંચાયતે ગ્રામસભા યોજી જમીન સંપાદનનો વિરોધ કર્યો છે.અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ તો બની ગયો પરંતુ હજુ સુધી ઘણા ખેડૂતોને જમીન સંપાદનનુ વળતર હજુ સુધી મળ્યું નથી.
બીજી બાજુ અંકલેશ્વરથી રાજપીપળા સુધી બ્રોડગેજ રેલ્વે લાઈન માટે સરકારે કરેલી જમીન સંપાદનનુ વળતર પણ હજુ સુધી ખેડૂતોને મળ્યું ન હોવાનો આક્ષેપ તેઓ કરી રહ્યા છે. ત્યારે સરકારની આવી નીતિને લીધે જ દિલ્હી-મુંબઈ ૪ લેન હાઈવે માટે જમીન સંપાદનનો નર્મદા જિલ્લાના ખેડૂતોએ વિરોધ કર્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા આદીવસીઓ ખેતી પર નભે છે.આ વિસ્તારમા કોઈ મોટા ઉદ્યોગો પણ નથી, એટલે જો આદિવાસી ખેડૂતોની ખેતી માટેની મહામુલી જમીન જો સંપાદિત થાય તો એમને ભૂખે મરવાનો વારો આવે એમ છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર જો આ જમીન સંપાદનનો નિર્ણય પરત નહિ ખેંચે તો નર્મદા જિલ્લાના ખેડૂતો ભારે લડત આપશે.