અમદાવાદ: ગાંધીનગર સ્થિત કરાઈ પોલીસ અકાદમીમાં ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવી પીએસઆઇની ટ્રેનિંગ લેતાં મયુર તડવીની ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. જેને ગુરુવારે કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જે અન્વયે કોર્ટે આરોપી મયુરના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીને ૧૦ માર્ચે બપોરે ૨ વાગ્યે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. યુવા નેતા યુવરાજસિંહે આક્ષેપો કર્યા બાદ સરકાર અને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. અને ગુપ્ત તપાસના અંતે આરોપી મયુર સામે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી સમગ્ર કૌભાંડની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ખોટા ડોક્યુમેન્ટ બનાવી મયુર તડવી કરાઈ અકાદમીમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેનિંગ લઈ રહ્યો હતો. મયૂર તડવીએ ભરૂચના વિશાલ રાઠવાના નામ ઉપર પોતાનું નામ એડિટ કરીને મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. તેમજ નકલી દસ્તાવેજો લઇને તેમજ કોલ લેટર લઇને કરાઈ અકાદમીમાં પહોંચી ગયો હતો અને તાલીમ લેવા લાગ્યો હતો. જે મામલે યુવા નેતા યુવરાજસિંહ દ્વારા જરૂરી આધાર પુરાવા સાથે મિડિયા સમક્ષ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે સરકાર દ્વારા ઉચ્ચકક્ષાએ તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. બીજી બાજુ સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુર તડવીએ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો હતો.
નકલી પીએસઆઇ કાંડ: આરોપીના ૮ દિવસના રિમાન્ડ
RELATED ARTICLES