એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મુદ્દે ફરી જામી છે. ૨૦૨૩નો એશિયા કપ પાકિસ્તાનમાં રમાવાનો છે અને ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા જાય તો પાકિસ્તાનને ઘી-કેળાં થઈ જાય તેથી પાકિસ્તાન ઉત્સાહમાં હતું પણ ગયા મહિને બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે પાકિસ્તાનને મોટો આંચકો આપી દીધેલો કે, ૨૦૨૩ના એશિયા કપમાં રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (અઈઈ)ના ચેરમેન પણ છે. આ હોદ્દાની રૂએ જય શાહે એલાન કરી દીધું હતું કે, એશિયા કપ પાકિસ્તાનના બદલે અન્ય તટસ્થ સ્થળે રમાડવામાં આવશે.
જય શાહના નિવેદનથી ભડકેલા પાકિસ્તાને વળતી ધમકી આપી હતી કે, ભારતની ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે કે એશિયા કપ બીજા દેશમાં ખસેડાશે તો પાકિસ્તાન પણ ૨૦૨૩નો વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે. પહેલા પીસીબીના વડા રમીઝ રાજાએ આ ધમકી આપેલી ને પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઈમર્જન્સી મીટિંગ બોલાવીને સત્તાવાર રીતે નિવેદન બહાર પાડીને આ ધમકી દોહરાવી હતી. આ વિવાદ વકરે નહીં એટલા માટે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહેલું કે, ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા જશે કે નહીં તેનો નિર્ણય કેન્દ્ર સરકારે કરવાનો છે તેથી એ વિશે નિવેદનબાજી કરવાનો મતલબ નથી.
ઠાકુરના નિવેદનના કારણે આ મામલો ઠરી ગયેલો ત્યાં રમીઝ રાજાને મહિના પછી સનેપાત ઉપડતાં આ વિવાદ પાછો વકર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા રમીઝ રાજાએ બીસીસીઆઈને ધમકી આપી છે કે, ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો ભારતે પણ અમારા વિના ૨૦૨૩માં વર્લ્ડ કપ રમવો પડશે. રાજાએ તો ફિશિયારી પણ મારી છે કે, પાકિસ્તાનની ટીમ ભારતમાં વર્લ્ડ કપમાં નહીં રમે તો વર્લ્ડ કપ જોશે જ કોણ? રાજાએ આડકતરી રીતે એવો દાવો પણ કર્યો કે, ભારત પાકિસ્તાનથી ડરે છે તેથી રમવા તૈયાર નથી. રાજાના કહેવા પ્રમાણે ગયા વર્ષે અમે વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું અને એશિયા કપમાં પણ ભારતને હરાવ્યું હતું. પાકિસ્તાની ટીમે બિલિયન ડોલર ઈકોનોમી ટીમને બે વખત હરાવ્યું છે. રમીઝ રાજાના દાવા પ્રમાણે, અમારી ટીમ સતત સારું રમી રહી છે અને હવે પાકિસ્તાન ક્રિકેટના અર્થતંત્રને સુધારવાની જરૂર છે. પાકિસ્તાનની ટીમ સારું રમે ત્યારે એ શક્ય બને.
અનુરાગ ઠાકુરે રાજાને વળતો જવાબ આપીને કહ્યું છે કે, ભારત વિશ્વ ક્રિકેટમાં એક મોટી તાકાત છે અને તેને કોઈ અવગણી ના શકે. ઠાકુરના કહેવાનો મતલબ એ છે કે, પાકિસ્તાન ગમે તેટલી કૂદાકૂદ કરે પણ ક્રિકેટમાં તેની કોઈ હૈસિયત નથી તેથી ધાર્યું તો ભારતનું જ થશે. ભારતે પહેલા જ કહી દીધું છે કે, ૨૦૨૩ના એશિયા કપમાં રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય તેથી એશિયા કપ પાકિસ્તાનના બદલે અન્ય તટસ્થ સ્થળે રમાડવામાં આવશે. ઠાકુરે આડકતરી રીતે કહી દીધું છે કે, આ વાતમાં મીનમેખ નહીં થાય ને પાકિસ્તાને જ ઝૂકવું પડશે.
આ વિવાદનો શું ઉકેલ આવે છે એ જોવાનું રહે છે. પાકિસ્તાનમાં એશિયા કપ ૨૦૨૩ના જુલાઈ-ઑગસ્ટમાં રમાવાનો છે જ્યારે ભારતમાં વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ના ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો છે. મતલબ કે, આ ડખોના ઉકેલવા માટે હજુ આખું વરસ પડ્યું છે. પાકિસ્તાને ભલે ફિશિયારી મારી હોય કે, અમને પણ જેવા સાથે તેવા થતાં આવડે જ છે અને અમે વર્લ્ડ કપમાં નહીં રમીએ પણ મોટા ભાગે ભારત ધારે છે એ જ થશે કેમ કે વિશ્ર્વ ક્રિકેટમાં અત્યારે ભારત સુપર પાવર છે.
આઈસીસીની મોટી ટુર્નામેન્ટ્સ ભારતના કારણે જ સફળ થાય છે કેમ કે ભારતમાં ૧૪૦ કરોડ લોકો છે ને કે જે ક્રિકેટ પાછળ પાગલ છે. દુનિયાના માંડ ૧૦ ટકા ક્રિકેટ ચાહકો પાકિસ્તાનમાં રહે છે જ્યારે ૬૦ ટકા ભારતમાં છે. આ ૬૦ ટકા ક્રિકેટ ચાહકો સુધી પહોંચવા બીજા દેશોની કંપનીઓ પણ પડાપડી કરે છે તેથી કોઈ દેશ પાકિસ્તાનને ટેકો નહીં આપે.
વર્લ્ડકપ સહિતની સ્પર્ધાઓ આઈસીસી યોજે છે. પાકિસ્તાન વર્લ્ડ કપ ન રમે તો આઈસીસીને કોઈ ફટકો ના પડે પણ ભારત આડું ફાટે તો આઈસીસીનું દેવાળું ફૂંકાઈ જાય કેમ કે વિશ્વ ક્રિકેટમાં આવતાં નાણાંમાંથી ૮૦ ટકા નાણાં ભારતમાંથી આવે છે. ભારતના વૈશ્ર્વિક કમાણીમાં ૮૦ ટકા ફાળા સામે પાકિસ્તાન માત્ર ૫ ટકા ફાળો આપે છે. ક્રિકેટના મોટા મોટા સ્પોન્સર્સ ભારતના છે અને દુનિયાનાં ક્રિકેટ બોર્ડ્સને કમાણી ભારતમાંથી જ થાય છે તેથી દુનિયાનો કોઈ દેશ ભારતની સામે ના પડી શકે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટઈન્ડિઝ, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે સહિતના તમામ ક્રિકેટ રમતા દેશોની ક્રિકેટમાંથી થતી કમાણી ભારતના જોરે જ છે તેથી આઈસીસી પણ ભારતને પડખે જ રહે. આ સંજોગોમાં પાકિસ્તાનની ધમકીનો મતલબ નથી.
જો કે ભારત-પાકિસ્તાનના ક્રિકેટ સંબંધોમાં ક્રિકેટની કમાણી કરતાં પણ મોટો મુદ્દો આતંકવાદનો છે. ભારતે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યું તેનું કારણ આતંકવાદ છે અને પાકિસ્તાન તેમાં સુધરવા માગતું નથી. પાકિસ્તાન હજુય ભારતમાં આતંકવાદ ભડકાવે છે અને નિર્દોષ લોકોનાં લોહી રેડે છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન રમવા ના જ જવું જોઈએ.
ભારતીય ટીમ પાકિસ્તાન જઈને ક્રિકેટ ના રમે તો તેમાં કશું બગડી જવાનું નથી પણ પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવે છે તેના કારણે ઘણું બધું બગડી રહ્યું છે. આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે અને આપણા નિર્દોષ નાગરિકો મરી રહ્યા છે. આપણી માલમતાને નુકસાન થઈ રહ્યું છે. આ બધા માટે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ જવાબદાર છે. પાકિસ્તાનને ભારત સાથે ક્રિકેટ સંબંધો સુધારવા હોય તો આતંકવાદ બંધ કરાવવો જોઈએ પણ પાકિસ્તાન સુધરવા તૈયાર નથી.
આ સંજોગોમાં ગમે તે થાય, વર્લ્ડકપ નિષ્ફળ જાય તો પણ ભારતે પાકિસ્તાનમાં રમવા ના જ જવું જોઈએ. ભારતે પાકિસ્તાન સાથેના સંબધો સુધારવા બહુ પ્રયત્નો કર્યા છે, હવે વારો પાકિસ્તાનનો છે. ઉ