એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં અંતે ઈંગ્લેન્ડ ચેમ્પિયન બની ગયું. ઈંગ્લેન્ડે ચેમ્પિયનની જેમ રમીને પાકિસ્તાનને પછાડીને બીજીવાર વર્લ્ડકપ જીત્યો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધા પછી પાકિસ્તાનને ૧૩૭ રન સુધી સીમિત રાખેલું ત્યારે જ પાકિસ્તાનની હાર નક્કી થઈ ગયેલી. એ પછી ઈંગ્લેન્ડે સાવ ઠંડે કલેજે રમીને કોઈ પણ પ્રકારની હડબડાટી વિના સરળતાથી ચેઝ કરીને પાંચ વિકેટે ઈંગ્લેન્ડ જીતી ગયું. પાકિસ્તાન ૧૩ વર્ષે ફાઈનલમાં પહોંચેલું ને ફરી ચેમ્પિયન બનવાની આશા રાખતું હતું પણ એ આશા ના ફળી.
પાકિસ્તાનની હાર પછી ભારતીય ક્રિકેટ ચાહકો ગેલમાં છે ને પાકિસ્તાનની ટીમની ફિરકી લઈ રહ્યા છે. ભારત સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું ત્યારે પાકિસ્તાનીઓએ બહુ મજા લીધી હતી. ભારતીયો તેનો જવાબ આપી રહ્યા છે ને તેમાં કશું ખોટું નથી. તેના કારણે સોશિયલ મીડિયા પર જંગ જામી ગયો છે. તેમાં પણ મોહમ્મદ શમી અને પાકિસ્તાનના ક્રિકેટરો શોએબ અખ્તર અને શાહિદ આફ્રિદી વચ્ચે જામેલા જંગે સૌને મજા કરાવી દીધા છે. આ જંગનાં મૂળ ભારત સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું ત્યારે નંખાયેલાં.
સેમી ફાઈનલમાં ભારતની ટીમ ઇંગ્લેન્ડ સામે હારીને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ પછી શોએબ અખ્તરે કહ્યું હતું કે, ભારત માટે આ અત્યંત શરમજનક હાર છે પણ ભારત ખૂબ જ ગંદું રમ્યું છે તેથી ભારત ખૂબ જ ગંદી રીતે હાર્યું છે. ભારત આ રીતે હારવાને લાયક જ હતું અને ભારત ફાઈનલમાં પહોંચવાને લાયક નહોતું. શોએબે ભારતીય બોલિંગને સામાન્ય ગણાવીને કહ્યું હતું કે, ભારતની બોલિંગની બધી પોલ ખુલ્લી પડી ગઈ છે. ભારત પાસે કોઈ એક્સપ્રેસ ફાસ્ટ બોલર જ નથી. મોહમ્મદ શમી ભારતીય ટીમનો મુખ્ય બોલર છે તેથી તેને આ વાતથી લાગી જ આવે પણ એ વખતે શમી ચૂપ રહેલો.
પાકિસ્તાન હાર્યું પછી શોએબ અખ્તરે તૂટેલા દિલવાળું ઇમોજી મૂકીને ટ્વીટ કરી હતી. શોએબ અખ્તરે લખ્યું કે, પાકિસ્તાન વર્લ્ડ કપ હારી ગયું છે પણ પાકિસ્તાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી અને પાકિસ્તાનને ફાઈનલમાં લઈ ગયા. શાહિન શાહને ઈજા ખોટા સમયે પહોંચી પણ અમે હારવાના નથી. ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને ૨૦૧૬ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેને ચાર સિક્સર ફટકારીને ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. હવે આજે એ જ સ્ટોક્સે પોતાની ટીમને ફાઈનલમાં જીત અપાવી છે અને વર્લ્ડ કપ જીતાડ્યો છે. હું દુ:ખી છું, નિરાશ પણ છું. પણ કોઈ વાંધો નહીં. હું તમારી સાથે છું. આપણે આવતા વર્ષે ભારતમાં વર્લ્ડ કપ જીતીશું.
આ ઈમોજી અને મેસેજ જોઈને મોહમ્મદ શમીને મોકો મળી ગયો. શમીએ શોએબને વળતો ટોણો મારતાં લખ્યું કે, સોરી બ્રધર પણ આ કર્મનું ફળ છે. શમીનો ટોણો શોએબને બરાબર વાગેલો પણ બોલી શકાય નહોતું તેથી પોતાની ટીમને પ્રોત્સાહિત કરતો હોય એવો વીડિયો મૂકી દીધો. વીડિયોના અંતે સોએબે ફિશિયારી મારી કે, પાકિસ્તાનની ટીમ ભારતમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડશે. યોગાનુયોગ જાણીતા કોમેન્ટેટર હર્ષ ભોગલેએ પાકિસ્તાન ટીમના બોલરોના વખાણ કરતાં શોએબને પાછો પાનો ચડી ગયો. શોએબે હર્ષનું ટ્વીટ શેર કરતાં લખ્યું કે, આને ઈન્ટેલિજન્ટ ટ્વીટ કહેવાય.
શમીએ તેનો જવાબ આપ્યો નથી પણ શાહિદ આફ્રિદી આ ઝઘડામાં વચ્ચે કૂદી પડ્યો. શાહિદ આફ્રિદીએ શમીને વણમાગી સલાહ આપતાં કહ્યું કે, નિવૃત્ત થઈ ગયા પછી આવી વાત કરો તો ચાલે પણ અત્યારે તમે ભારતીય ટીમ તરફથી રમી રહ્યા છો ત્યારે આ બધી વાતોથી દૂર રહેવું જોઈએ.
ન્યાયને ખાતર કહેવું જોઈએ કે, આફ્રિદીએ શોએબને પણ એવી જ સલાહ આપી છે. આફ્રિદીએ લખ્યું છે કે, લોકો આપણને ક્રિકેટર્સને રોલ મોડેલ તરીકે જુએ છે.
આપણે બે દેશો વચ્ચેની દુશ્મનાવટ વધારવાને બદલે તેને ખતમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે જ આ રીતે વર્તીશું તો સામાન્ય લોકો આપણી પાસેથી આજ બધુ શીખવાના છે. સ્પોર્ટ્સથી સંબંધો સારા થઈ શકે છે. આપણે ભારતીય ટીમને પાકિસ્તાનમાં રમતા જોવા માગીએ છીએ ત્યારે આ બંધ કરવું જોઈએ.
સોશિયલ મીડિયા યુઝર્સને આ પ્રકારના વિવાદો જોઈતા જ હોય છે તેથી અત્યારે તો જંગ જામ્યો છે. ભારતીય ચાહકોને બદલો લેવાનો મોકો મળ્યો છે તેથી ભારતીય ચાહકો બરાબરની મજા લઈ રહ્યા છે ને એ યોગ્ય પણ છે કેમ કે આ પ્રકારની હલકટાઈની શરૂઆત પાકિસ્તાને જ કરી હતી.
ભારતમાંથી તો શમીએ સાવ સામાન્ય કોમેન્ટ કરી છે જ્યારે ભારત હાર્યું ત્યારે તો પાકિસ્તાન વતી તેમના વડા પ્રધાન શહબાઝ શરીફે હલકટાઈ બતાવીને ટ્વીટ કરી હતી.
ભારતની કારમી હાર પછી પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ટ્વીટ કરેલી કે, આ રવિવારે ૧૫૨/૦ વિરુધ્ધ ૧૭૦/૦ વચ્ચે જંગ છે. શરીફે ભારતનો ઉલ્લેખ નહોતો કર્યો. પાકિસ્તાન કે બીજા કોઈ પણ દેશનો ઉલ્લેખ નહોતો કર્યો પણ આ ટ્વીટ ભારત વિશે હતી એ કહેવાની જરૂર નથી.
શરીફે ૧૫૨/૦ની વાત ગયા વરસે દુબઈમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની મેચના સંદર્ભમાં કરેલી. આ પહેલી જ મેચમાં ભારતે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૫૧ રન કર્યા હતા. પાકિસ્તાનના ઓપનરો મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમે ૧૭.૫ ઓવરમાં વિના વિકેટે ૧૫૨ રન કરીને ભારતને શરમજનક હાર આપી હતી.
ઈંગ્લેન્ડ સામેની સેમી ફાઈનલમાં ફરી ભારતની એ રીતે જ હાર થઈ. ભારતે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૮ રન કરેલા. એલેક્સ હેલ અને જોશ બટલરની તોફાની બેટિંગના સહારે ઈંગ્લેન્ડે ૧૬૯ રનનો ટાર્ગેટ વિના વિકેટે ચેઝ કરીને આપણને ૧૦ વિકેટે હાર આપી દીધી. એલેક્સ હેલ અને જોશ બટલરે ૧૬ ઓવરમાં જ ૧૭૦ રન કરીને ઈંગ્લેન્ડને ફાઈનલમાં પ્રવેશ કરાવી દીધો હતો.
ભારત ખરાબ રીતે હારેલું તેમાં બેમત નથી પણ શહબાઝે તેના વિશે કમેન્ટ કરવાની જરૂર નહોતી. શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન છે, તેમણે આવી હલકી કોમેન્ટથી દૂર રહેવું જોઈતું હતું પણ એ ચૂપ ના રહ્યા.
હવે પાકિસ્તાનના વડા પ્રધાન હલકટાઈ કરી શકતા હોય તો તેનો જવાબ ભારતીયો આપે તેમાં શું ખોટું? પહેલાં પાકિસ્તાનીઓએ દાવ લીધો, હવે આપણો વારો છે. ઉ