આપણા દેશનો જાજરમાન ઈતિહાસ, ભૌગોલિક લાક્ષણિકતાઓ, વૈજ્ઞાનિક સિદ્ધિઓ નવી પેઢી સુધી પહોંચાડવામાં આપણે ઊણા ઉતર્યા છીએ અને તેથી જ તેઓ ઘણીવાર દેશ પરત્વે અહોભાવ બતાવતા નથી. જોકે,ઈન્ટરનેટની મદદથી આજના યુવાનો માહિતી મેળવતા થઈ ગયા છે, છતાં દેશ પાસે ઘણું બધું છે જે તેમને જણાવવાનું છે. આજનો દિવસ પણ કંઈક ખાસ છે.
28 ફેબ્રુઆરીને દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનીક ચંદ્રશેખર વેંકટ રામન એટલે કે સીવી રામન (Chandrashekhar Venkata Raman)ના સન્માન તથા સ્મૃતિમાં પ્રત્યેક વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભૌતિક વૈજ્ઞાનિક સીવી રમણ દ્વારા કરવામાં આવેલી ‘રમણ ઈફેક્ટ (Raman Effect)’ની શોધની પુષ્ટિ આજના દિવસે 28 ફેબ્રુઆરી, 1928ના રોજ કરવામાં આવી હતી. સી.વી.રામને (C V Raman) કરેલી પ્રકાશના પરાવર્તન અને પ્રસરણ સંલગ્ન શોધે વિશ્વભરમાં ક્રાંતિ લાવી દીધી હતી. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું.
ત્યારબાદ વર્ષ 1930માં વૈજ્ઞાનિક સીવી રામનને તેમની આ શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા ભારત સરકારને 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવણી કરવા સલાહ આપવામાં આવી હતી. ભારત સરકારે 28 ફેબ્રુઆરી, 1987થી પ્રત્યેક વર્ષ રાષ્ટીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આપણે આપણા અભિનેતાઓને, આજકાલ નેતાઓને ખૂબ જ પંપાળીએ છીએ, જન્મદિવસે યાદ કરીએ છીએ, સોશિયલ મીડિયા પર તેમના લાખોમાં ફોલોઅર્સ છે, પરંતુ જે વૈજ્ઞાનિકોએ જીવન આટલું સરળ બનાવ્યું, વિવિધ શોધ-સંશોધન કરી આપણને ગૌરવ અપાવ્યું તેમને કેમ ભૂલાઈ. સ્કૂલ-કોલેજમાં તો આજના દિવસે નાના-મોટા કાર્યક્રમો થતા જ હશે, પરંતુ આપણે પરિવારના લોકો પણ બાળકો સામે આવી વાતો કરીએ તો તેમને જ્ઞાન અને સાથે પ્રેરણા પણ મળે.