આપણામાંથી ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે કોઈ વ્યકિતએ ભૂલથી આપણા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય અને બાદમાં એ પૈસા પાછા માંગ્યા હોય. આપણે પણ ઈમાનદારીથી ભૂલથી આવી ગયેલા પૈસા આપણે જે તે વ્યકિતને પાછા મોકલાવી દીધા હશે, નહીં? પણ હવે આવી ઘટનાથી સાવધાન રહેવાનો વારો આવી ગયો છે કારણ કે આવું કરવા જતાં તમારૂ એકાઉન્ટ ખાલી થઈ શકે છે. સાયબર માફિયાઓઓ બેંક KYC અને PAN કૌભાંડો બાદ હવે છેતરપિંડી માટે ઓનલાઈન નવો જ રસ્તો અપનાવ્યો છે. જેમાં કૌભાંડીઓ Google Pay અને PhonePe જેવા ગેટવેનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં પહેલાં તો પૈસા ટ્રાન્સફર કરે છે, પૈસા જમા કરાવ્યા બાદ તરત જ પાછા માંગવામાં આવે છે. પરંતુ તમે રૂપિયા પરત મોકલવાની ભૂલ નહીં કરતા, કારણ કે તમારી આ ભલમનસાઈ તમારા પર ભારે પડી શકે છે. દિલ્હીના સાયબર ક્રાઈમ એક્સપર્ટનું એવું કહેવું છે કે જો તમે કૌભાંડીઓના કહેવાથી રૂપિયા જમા કરવા જશો તો તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે અને ત્યાર બાદ કૌભાંડીઓ તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે.
- કઈ રીતે થાય છે છેતરપિંડી?
લોકોના રૂપિયા ચાઉં કરવા માટે કૌભાંડીઓ પહેલા Google Pay અને PhonePe વાપરતા લોકોના ખાતામાં ભૂલથી પૈસા જમા કરાવે છે. જેનાથી તેઓ સામેવાળી વ્યક્તિના ખાતાની સંપૂર્ણ વિગતો મેળવે છે જેમાં બેંકિંગ ડેટા, અન્ય KYC દસ્તાવેજો, PAN, આધાર વગેરેની માહિતીનો સમાવેશ થાય છે. આ માહિતી મળતાની સાથે જ તેઓ કોઈનું પણ એકાન્ટ હેક કરીને છેતરપિંડી કરે છે. - બચવા માટે શું ધ્યાનમાં રાખશો?
સાયબર ક્રાઈમ નિષ્ણાતોએ આવી છેતરપિંડીથી બચવા શું ધ્યાનમાં રાખવું જોઈએ એ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે માલવેર ફિશિંગ અને હ્યુમન એન્જિનિયરિંગનું મિશ્રણ છે. જેનાથી એન્ટી-માલવેર સૉફ્ટવેર Google Pay અને PhonePeનો ઉપયોગ કરનાર લોકોને ઓનલાઈન છેતરપિંડીથી સુરક્ષીત નથી રહી શકતા. જેથી Google Pay અને Phonepayનો ઉપયોગ કરનાર લોકોએ આવા કિસ્સામાં બેંકને ડબલ ચેક કરવનું કહેવું જોઈએ. સાથે સાથે જ ભૂલથી પૈસા જમા કરવાનારને ઓનલાઈન રૂપિયા આપવા કરતા નજીકના પોલીસ સ્ટેશનને આવવાનું કહેવું જોઈએ. જેથી ખરેખર ભૂલથી કોઈ રૂપિયા જમા કરાવ્યા હોય તો તેને તેના રૂપિયા પરત મળી જશે અને તમે છેતરપિંડીથી બચી શકશો. આ નાની નાની વાતોનું ધ્યાન રાખીને તમે લોકો પણ મોટી મુસીબતમાં ફસાતા બચી શકો છો.