(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: રણપ્રદેશ કચ્છમાં હાલ ભરઉનાળે વરસી રહેલા કમોસમી માવઠાં વચ્ચે એકધારા આવી રહેલા ભૂકંપના નાના-મોટા આંચકાઓની વણથંભી વણઝાર યથાવત્ રહેતી હોય તેમ પૂર્વ તરફના ભચાઉ નજીક સોમવારે સવારે ૭ અને ૩૫ મિનિટે ૩.૨ તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૦ કિ.મી દૂર નોંધાયુ હતું.
ભૂકંપ ઝોન-૫માં આવતા કચ્છમાં છેલ્લે આવેલા મોટા ભૂકંપને બે દાયકાનો સમય વીતી ચૂક્યો હોવા છતાં પણ શા માટે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે એ અંગે કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડૉ.મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, કચ્છમાં ભૂકંપની ચાર મુખ્ય ફોલ્ટલાઈન આવેલી છે જેમાં વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. મોટાભાગે વાગડમાં જે આંચકા આવે છે તે ૨૦૦૧ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે. જે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે ૬ મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા ૭૫ કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી. પ્લેટોની નુકસાની આજદિન સુધી યથાવત્ રહેતા અહીં ભૂકંપના આંચકા સતત આવતા જ રહે છે. કચ્છમાં જે પ્રકારની ફોલ્ટલાઈન એક્ટિવ છે, એવી જ એમસીટી નામની ફોલ્ટલાઈન હિમાલયની તળેટીમાં પણ એક્ટિવ થયેલી છે જેમાં સમયાંતરે ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવાતા રહે છે.