પંચાવન પ્રવાસીઓને ભૂલીને ટેકઓફ કરનારી ફ્લાઈટની એરલાઈનને ડીજીસીએ (The Directorate General of Civil Aviation)એ દસ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે, એવું અહેવાલમાં જણાવ્યું હતું. બેંગલુરુથી દિલ્હી જનારી ફ્લાઈટમાં આ બનાવ બન્યો હતો. બેંગલુરુથી દિલ્હી આવનારી પંચાવન પ્રવાસીને એરપોર્ટના ટરમેક પર છોડીને ઉડાન ભરી લીધી હતી અને આ બનાવની જાણ થયા પછી ડીજીસીએએ આ કેસમાં ગો ફર્સ્ટને નોટિસ મોકલી હતી. શુક્રવારે રિપોર્ટ મળ્યા પછી આ સંબંધમાં ડીજીસીએ દંડ ફટકાર્યો હતો. એરલાઈનના સ્ટાફ(ટર્મિનલ કોઓર્ડિનેટર ટીસી, કમર્શિયલ સ્ટાફ અને ઓનબોર્ડ ક્રૂ મેમ્બર)ની વચ્ચે પ્રોપર કોમ્યુનિકેશન કરવામાં આવ્યું નહોતું, તેથી આટલી મોટી ભૂલનું નિર્માણ થયું હતું, એમ ડીજીસીએએ જણાવ્યું હતું.
પ્રવાસીઓને યોગ્ય સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જવાની સાથે નિયમોનો ભંગ કરવા બદલ દસ લાખ રુપિયાનો દંડ લેવાની ફરજ પડી છે, એમ અહેવાલમાં જણાવ્યું હતું. આ બનાવની પ્રવાસીઓએ ટવિટર પર ફરિયાદ કરી હતી, ત્યારબાદ સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. ગો ફર્સ્ટ એરલાઈન, સિવિલ એવિયેશન ખાતાના પ્રધાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય (પીએમઓ)ને ટેગ કરીને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બેંગલુરુથી દિલ્હી જનારી ફ્લાઈટ જી-આઠ 116 સવારે 6.30 વાગ્યે ટેકઓફ કરી લીધું હતું, જેમાં એરપોર્ટ પર ભૂલથી પંચાવન પ્રવાસી રહી ગયા હતા અને તેના જવાબમાં ગો-ફર્સ્ટે પ્રવાસીઓની માહિતી શેર કરવાનો આગ્રહ કર્યો હતો. ઉપરાંત, પ્રવાસીઓને પડેલી મુશ્કેલી બદલ ફક્ત દિલગિરી વ્યક્ત કરી હતી. ડીજીસીએના એક અધિકારીએ એરલાઈન પાસેથી જવાબ માગ્યો હતો તથા તેમાં જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.