ચીન સહિત વિશ્વના તમામ દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ચીનની હોસ્પિટલો કોરોનાગ્રસ્ત દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે ચીનની સ્થિતિને જોતા ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આજે એટલે કે બુધવારે કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને રાહુલ ગાંધીને ‘ભારત જોડો યાત્રા’ મોકૂફ રાખવાની અપીલ કરી છે.
મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને પત્ર લખીને ભારત જોડો યાત્રામાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી છે. જો એ શક્ય ન હોય તો દેશના હિતમાં યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવે.
પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને ‘ભારત જોડો યાત્રા’ દ્વારા કોરોના ફેલાવવાના જોખમ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “કોરોના રોગચાળો એ જાહેર કટોકટી હોવાથી, દેશના હિતમાં ‘ભારત જોડો યાત્રા’ને સ્થગિત કરવાનો નિર્ણય લઈ શકાય છે. રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. લોકોને માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવે.” આ સિવાય માત્ર એવા લોકોને જ યાત્રામાં જોડાવા દેવાની અપીલ કરવામાં આવી છે જેમને કોરોનાની વેક્સીન લીધી હોય છે.
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ પત્રને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ભારત જોડો યાત્રાના ડરથી ભાજપ આ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, “ભારત જોડો યાત્રાએ મોદી સરકારમાં ખળભળાટ મચાવી દીધો છે. સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ વિવિધ પ્રશ્નો ઉઠાવી રહી છે. શું પીએમ મોદી ગુજરાતની ચૂંટણીમાં માસ્ક પહેરીને ઘરે-ઘરે ગયા હતા અને તમામ પ્રોટોકોલનું પાલન કર્યું હતું?”
કોરોનાનો ખતરો: કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા રદ કરવા અપીલ કરી
RELATED ARTICLES