ચીન, અમેરિકા, જાપાન સહિત વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા દુનિયાના દરેક દેશો સાવચેત થઇ ગયા છે અને એડવાઇઝરી જારી કરી રહ્યા છે. ભારતમાં કોરોના અંગે હાલમાં ચિંતાજનક હાલત નહીં હોવા છતાં પણ લોકોને સાવચેતી રાખવા, માસ્ક પહેરવા અને જાહેર જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગની સલાહ આપવામાં આવી છે. આ ક્રમમાં હવે ભારતીય સેનાએ પણ એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય સેનાએ તેના તમામ સૈનિકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે. આ સાથે જ આ જવાનો માટે કેટલીક માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા હેઠળ, બધા લક્ષણોવાળા જવાનોને કોરોના માટે પરીક્ષણ કરવામાં આવશે અને જો તે પોઝિટિવ મળશે, તો સાત દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે. મધ્યમથી ગંભીર બીમારી ધરાવતા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. એડવાઈઝરીમાં કર્મચારીઓને ફેસ માસ્કનો ઉપયોગ, ખાસ કરીને બંધ અને ભીડભાડવાળી જગ્યાઓમાં સોશિયલ ડિસ્ટન્સીંગ કરવા જેવા રક્ષણાત્મક પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. હાથ ધોવા અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ સહિત નિયમિત હાથની સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.