અમદાવાદ સહિત રાજ્યભરમાં તાવ, ઉધરસ, સર્દીના કેસમાં ભારે વધારો છે અને હોસ્પિટલો દરદીઓથી ઉભરાઈ રહી છે ત્યારે ભાજપ સરકાર ઉત્સવો કરવામાં વ્યસ્ત છે, તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. પક્ષના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દસ દિવસમાં ૩૮૦૦૦ જેટલા દર્દીઓ ઓપીડીમાં નોધાયા, મોટાભાગના દર્દીઓમાં કફ, ખાંસી, કોલ્ડ ફીવરની ફરિયાદ કરે છે. વાયરલ ઇન્ફેકશનમાં સૌથી વધુ બાળકો અને વૃદ્ધો ભોગ બની રહ્યા છે ત્યારે ભાજપ સરકાર ઉત્સવો-ઉદ્ઘાટન-ઉજવણીમાં વ્યસ્ત, દર્દીઓ ત્રસ્ત છે.
આ સાથે તેમણે આક્ષેપો કર્યા હતા કે અંબાજીથી ઉમરગામ સહિતના રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ન ડોક્ટર, ન દવા, દર્દીઓ રામ ભરોસે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જીલ્લા સ્તરની હોસ્પિટલોમાં દવાના અપૂરતા જથ્થાના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા પંદર દિવસમાં એન્ટી બાયોટીક, એન્ટી વાયરલ અને કફ સીરપના વેચાણમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો છે જે ચિંતાનો વિષય છે. રાજ્યનો આરોગ્ય વિભાગ ઊંઘી રહ્યું છે.
ઇન્ડિયન મેડીકલ એસોશિયેશન (IMA) દ્વારા એન્ટી બાયોટીકનો મર્યાદિત ઉપયોગ કરવા માર્ગદર્શિકા જાહેર કરી છે. સાધનો ખરીદી, મોટા ટેન્ડરો, મોટા બિલ્ડીંગોના બાંધકામમાં વિશેષ રસ દાખવતા આરોગ્ય વિભાગને ગુજરાતનાં આરોગ્યની ચિંતા નથી. આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. હીની વાયરસ એક ચેપી વાયરસ છે. જે નાક, ગળા, મોં અને ફેફસાને અસર કરે છે. ઈન્ફલ્યુએન્ઝાનો ચેપ લાગવાથી તાવ, ઉધરસ (સામાન્ય રીતે સૂકી), માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો, થાક, ગળામાં દુખાવો અને નાક વહેવા જેવા લક્ષણો જોવા મળે છે. મોટાભાગના લોકોને એક અઠવાડિયામાં તાવ સારો થઈ જાય છે, પરંતુ ખાંસીને ઠીક થવામાં બે કે તેથી વધુ અઠવાડિયા લાગે છે. સરકાર તાત્કાલિક નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા વાયરલ ઇન્ફેકશન અંગે માર્ગદર્શિકા, ગ્રામ વિસ્તારમાં મેડીકલ, પેરા મેડીકલ સહીતના કર્મચારીઓ, આશાવર્કર બહેનોને જવાબદારીઓ સોપી તાત્કાલિક સર્વે કરાવે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જીલ્લા સ્તરની હોસ્પિટલોમાં દવાની સત્વરે પુરતી વ્યવસ્થા કરે તેવી માગણી કોંગ્રેસે કરી હતી.