આજથી શરૂ થયેલાં નવા ફાઈનાન્શિયલ વર્ષમાં સોનું કે સોનાના દાગિના ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને આ મહત્ત્વના સમાચાર અનુસાર સોનું ખરીદનારે કેન્દ્ર સરકારના નવા નિયમોનું પાલન કરવું પડશે. આવો જોઈએ શું છે કેન્દ્ર સરકારનો નવો નિયમ.
કેન્દ્ર સરકાર દ્વારા સોનાના દાગીનાના વેચાણના નિયમમાં ફેરફાર કરીને આજથી સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. પહેલી, એપ્રિલ 2023થી કોઈપણ સોનાના દાગિનાની ખરીદી-વેચાણ માટે તેના પર 6 નંબરનો હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (HUID) હોવો જરૂરી છે.
ભારતીય માનક બ્યૂરો (BIS) દ્વારા આ અંગે માર્ચ મહિનામાં જાણકારી આપતા જણાવવામાં આવ્યું હતું કે નવા નાણાકીય વર્ષમાં કોઈ પણ દુકાનદાર 6 ડિજિટ હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) વગર સોનાના દાગીના વેચી શકશે નહીં.
Consumers Affairs Ministry દ્વારા 4થી માર્ચ, 2023ના રોજ બહાર પાડવામાં આવેલા સર્ક્યુલર અનુસાર હવે ફક્ત 6 નંબરવાળો હોલમાર્ક જ માન્ય કરવામાં આવશે. પહેલાં 4 ડિજિટ અને ત્યાર બાદ હવે 6 ડિજિટવાળા હોલમાર્કને લઈને ખુબ ગૂંચવણ જોવા મળી રહી છે.
હવે આ ગૂંચવણને દૂર કરતા ગ્રાહક મામલાના મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે ફક્ત 6 નંબરવાળો અલ્ફાન્યૂમેરિક હોમાર્કિંગ જ માન્ય કરવામાં આવશે. આ નંબર વિના કોઈ પણ દુકાનદાર જ્વેલરી વેચી શકશે નહીં. જોકે આ બાબતે પણ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. એક દિવસ પહેલા જ સરકારે આ મામલે વેપારીઓને રાહત પણ આપવામાં આવી છે. સરકારે શુક્રવારે લગભગ 16,000 ઝવેરીઓને જૂન સુધી જૂના હોલમાર્કવાળા દાગીના વેચવાની છૂટ પણ આપી છે. સરળ ભાષામાં કહીએ તો ત્રણ મહિના માટે વેપારીઓને આ છૂટ આપી છે.
આ મામલે જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલા યુનિટ દ્વારા હાલમાં થયેલી બેઠક બાદ ગ્રાહકો મામલાઓના મંત્રાલયએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ મંત્રાલયે સોનાના આભૂષણો અને સોનાની કલાકૃતિઓના હોલમાર્કિંગ આદેશ 2020માં સંશોધન કર્યું છે. જે હેઠળ જે ઝવેરીઓએ જૂના હોલમાર્કવાળા આભૂષણોના પોતાના ભંડારની પહેલા જાહેરાત કરી હતી (બનાવેલા હતા), તેને વેચવા માટે 30 જૂન 2023 સુધીનો સમય અપાયો છે.
મંત્રાલયના અધિક સચિવ નિધિ ખરેએ કહ્યું કે દેશમાં 1.56 લાખ રજિસ્ટર્ડ ઝવેરીઓ છે. જેમાંથી 16243 ઝવેરીઓએ આ વર્ષ એક જુલાઈના રોજ પોતાના જૂના હોલમાર્કવાળા દાગીનાનો ખુલાસો કર્યો હતો. તેમને 3 મહિનાનો વધારાનો સમય અપાયો છે. તેમણે કહ્યું કે આ અંતિમ સમયમર્યાદા છે. અને જૂના સ્ટોકને ખાલી કરવા માટે હવે વધુ સમય અપાશે નહીં.
સૌથી પહેલા તો આ છૂટ જુલાઈ 2021થી પહેલા બનેલા આભૂષણો પર જ લાગૂ થશે. આ સિવાય જિ ઝવેરીએ 4 ડિજિટના બચેલા સ્ટોકનો ડિસ્ક્લોઝર આપ્યું હતું બસ તેમને આ છૂટ મળશે. આવા જ્વેલર્સની સંખ્યા 16,243 છે. આમ 6 ડિજિટના જરૂરી HUID Hallmarking થી તેમને ત્રણ મહિનાની છૂટ મળી શકશે. અન્ય તમામ માટે હવે આજથી એટલે કે 1 એપ્રિલથી 6 ડિજિટ HUID Hallmarking જરૂરી બની ગયું છે.
ભારતીય માનક બ્યૂરો (BIS) એ 1 એપ્રિલ 2023થી હોલમાર્કવાળા સોનાના દાગીના માટે છ અંકનો અલ્ફાન્યૂમેરિક HUID જરૂરી બનાવ્યું છે. આજથી ફક્ત 6 ડિજિટAlphanumeric Hallmarking જ માન્ય રહેશે. તેના વગર સોનું અને દાગીના વેચી શકાશે નહીં. 4 ડિજિટવાળા હોલમાર્કિંગ સંપૂર્ણ રીતે બંધ થશે. સરકારે ગોલ્ડ હોલમાર્કિંગને જરૂરી બનાવવાની કવાયત દોઢ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ પણ જ્વેલરીની શુદ્ધતાની ઓળખ માટે તેને એક 6 ડિજિટનો અલ્ફાન્યૂમેરિક કોડ આપવામાં આવે છે. તેને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) નંબર કહે છે. આ નંબર દ્વારા તમને આ આભૂષણની તમામ માહિતી મળી જશે. આ નંબરને સ્કેન કરવા પર ગ્રાહકોને નકલી સોનું કે ભેળસેળવાળા દાગીનાથી બચવામાં મદદ મળે છે. તે સોનાની શુદ્ધતાના સર્ટિફિકેટ જેવું હોય છે.
રસપ્રદ બાબત તો એ છે કે 16મી જૂન 2021 સુધી હોલમાર્કવાળા દાગીના વેચવા જરૂરી નહોતા. દેશમાં હોલમાર્કિંગને સરળ બનાવવા માટે સરકારે 85 ટકા ભાગમાં હોલમાર્કિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને બાકી જગ્યાઓ માટે સતત કામ ચાલી રહ્યું છે.
પહેલી એપ્રિલ 2023થી સોનાની જ્વેલરી માટે ભલે હોલમાર્કિંગ જરૂરી કરાયું હોય પરંતુ જો કોઈ ગ્રાહક જૂની જ્વેલરીને વેચવા માટે જાય તો તેને આ પ્રકારના કોઈ પણ હોલમાર્કિંગની જરૂર પડશે નહીં. લોકો દ્વારા વેચવામાં આવતા જૂના આભૂષણોના વેચાણ નિયમમાં સરકારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. જૂની જ્વેલરી 6 ડિજિટના હોલમાર્ક વગર પણ વેચી શકાશે.