દ્વારકાની યાત્રાએ જતી બસ પલટીઃ એકનું મોત, 25 ઘાયલ
યાત્રાધામ દ્વારકા નજીકના ધોરીમાર્ગ પર પરપ્રાંતિય યાત્રાળુઓ સાથેની એક બસ પલટી ખાઈ ગઈ હતી. પલટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે 25થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. છત્તીસગઢથી યાત્રાળુઓને લઈને આવેલી એક ખાનગી બસમાં દ્વારકાથી દર્શન કરીને યાત્રાળુઓ સોમનાથ તરફ જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકાથી પોરબંદર તરફ જતા માર્ગ પર આવેલા નાવદ્રા ગામના પાટીયા પાસેથી પસાર થતા સમયે અડધી રાત્રે ખાનગી બસ કોઈ કારણોસર પલટી મરી ગઈ હતી. અંધારામાં કશુંક દેખાયું ન હોવાનું કે ડ્રાઈવરનો જોકુ આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ બનાવ બનતા સ્થાનિકો દ્વારા ઈમરજન્સી 108ને જાણ કરવામાં આવી હતી. જેથી 108નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘવાયેલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બસ અકસ્માતમાં એક મુસાફરને વધુ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ બસમાં સવાર આશરે 25થી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા સારવાર આપવામાં આવી હતી. આ બનાવને પગલે મુસાફરોમાં દોડધામ મચી હતી.