બ્રહ્માંડ દર્શન – ડૉ. જે. જે. રાવલ
અક્ષરધામ, તાજમહલ, રામમંદિર, દ્વારિકાનું જગતમંદિર, સોમનાથનું મંદિર, મોઢેરાનું સૂર્યમંદિર, કોનાર્કનું સૂર્યમંદિર, દેલવાડાના દરોં, તારંગાનું જૈન મંદિર, રાણકપરનું મંદિર, જોધપુરનો રાજમહેલ જેવી ઈમારતો કે મહાલયો બાંધવાના હોય ત્યારે તેની જગ્યાની પસંદગી કરવાની હોય છે. શહેરની કઈ દિશામાં તે ઈમારત બાંધવાની છે, કયાં શહેરમાં તે બાંધવાની છે, ત્યાં જમીનની સ્ટ્રેન્થ કેટલી છે, ત્યાં મોટી નદી છે તો તે મહાલય બાંધવાની જગ્યાએથી કેટલી દૂર છે. એ ઈમારત પહાડની તળેટીમાં બાંધવાની છે કે પહાડ ઉપર, દાખલા તરીકે અણુ રિયેકટર બાંધવાના હોય તો તે પહાડની તળેટીમાં બંધાય, જેથી પહાડો તેનું રક્ષણ કરે. કોઈ દુશ્મન દેશ તેને તોડવા આવે તો તેને નડે. તે એવી જગ્યાએ હોય કે તેનો કચરાનો નિકાલ આરામથી થાય. આવી ઈમારતને કેટલા દરવાજા હોવા જોઈએ જેથી લોકો ત્યાં સરળતાથી આવી શકે. તેની મજબૂતાઈ માટે કેવા પથ્થરો અને પદાર્થો વાપરવા જોઈએ. તે ધરતીકંપ કે જવાળામુખીના ઝોનમાં તો નથી ને? ત્યાં સૂર્યપ્રકાશ કેવી રીતે આવે, પવન કંઈ દિશામાંથી આવશે, વરસાદ કંઈ દિશામાંથી આવશે વગેરે મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડે તેનું નામ વાસ્તુશાસ્ત્ર. આપણે એકરૂમ અને રસોડું કે રૂમ, ડ્રોઈંગરૂમ અને રસોડાનો બ્લોક લેવાનો હોય, તેમાંય લોન લીધી હોય અને કોઈ બિલ્ડિંગમાં આ બ્લોક લેવાનો હોય, તેમાંય તે તૈયાર લેવાનો હોય, તેમાં વાસ્તુશાસ્ત્રીની વાત કરવી એ હાસ્યાસ્પદ ગણાય. એ તો લઈ જ લેવાનો હોય. પણ વાસ્તુશાસ્ત્રઓ આવા બ્લોક લેનારને કહે કે તમારા ઘરનું બારણું આ દિશામાં હોવું જોઈએ, તમારા ઘરનું કિચન અહીં હોવું જોઈએ, તમારા ઘરનું ટોયલેટ આ દિશામાં હોવું જોઈએ, તમારો બેડરૂમ આ દિશામાં હોવો જોઈએ આ બધું હાસ્યાસ્પદ ગણાય. આવું કર્યા પછી પણ તમે સુખી થશો એ કઈ ગેરન્ટી? તેમાં વળી વાસ્તુશાસ્ત્રવાળા કહે કે તમારા ફ્લેટમાં આવા ચિત્રો રાખો, કાચબો રાખો, એકવેરિયમ રાખો એ શક્ય નથી. એ તો કહીને તેમના ચાર્જ લઈને જતા રહે, પછી કઈ ગેરન્ટી કે તમે સુખી થશો. આમ આવા વાસ્તુશાસ્ત્રીઓ લોકોને મૂરખ બનાવે છે. લોકોની અંધશ્રદ્ધાનો લાભ લે છે. લોકોને મહેનત કર્યા વગર ધનવાન બનવું છે, રાતોરાત ધનવાન બનવું છે અથવા તો એ ધન મેળવવાની લોલૂપતા જ છે બીજું કાંઈ જ નહીં. આવા લોકો આગળ ધૂતારા અને બાવા મઝા કરતા હોય.
મહારાજો લોકોને કહે તમે ધનનો મોહ છોડી દો અને બધુ ગુરુને ચરણે ધરી દો. પણ પોતે વળી પાછા ધનમાં આળોટે છે આ બધું અંધશ્રદ્ધાનું પરિણામ છે. જો ઘરમાં અમુક વસ્તુઓનાં સ્થાનો બદલવાથી જ સારું થઈ જતું હોય તો કોણ ન કરે? જ્યાં ભાડાનાં જ ઘરમાં રહેતા હોય એનું શું? હવે તો આ ટ્રેન્ડ પરદેશની જેમ ભારતમાં પણ વધતો જાય છે. વાસ્તુશાસ્ત્રઓનાં સૂચનો પ્રમાણે ભાડાના ઘરમાં ફેરફારો કરી શકાય નહીં.
તેજનો લિસોટો કરતી ઉલ્કા રાતે આકાશમાંથી પડે તો લોકો માને છે કે જ્યારે તે પડતી હોય એ વખતે જો આપણે કોઈ ઈચ્છા વ્યક્ત કરીએ તો આપણી તે ઈચ્છા પરિપૂર્ણ થાય છે. એ સમજાતું નથી કે આકાશમાંથી પડતી ઉલ્કા જે ઘણીવાર પૃથ્વી પર પડતી જ નથી અને પૃથ્વીના વાયુમંડળના ઘર્ષણને કારણે અંતરીક્ષમાં જ નષ્ટ થઈ જાય છે અને પડે તો તે નાના પાંચીકા જેવડી જ હોય છે. તો તે માનવીની કોઈપણ ઈચ્છા કેવી રીતે પૂર્ણ કરે. બીજું કે ઉલ્કાની ગતિ એટલી બધી વધારે હોય છે કે તે ક્ષણભરમાં અદૃશ્ય થઈ જાય છે. તે સમય દરમિયાન કોઈ કંઈ પણ વિચારી શકે નહીં. પણ લોકો અંધશ્રદ્ધાને લીધે આવું માનતા હોય છે. આવી માન્યતા પાછળ કોઈ તાર્કિક પાયો જ નથી.
પૃથ્વીની બહારનાં ગ્રહો જે વક્રગતિ દર્શાવે છે તે હકીકતમાં માત્ર આભાસ છે. સૂર્યની પરિક્રમા કરતી પૃથ્વી પરથી જોતાં કેપ્લરના નિયમ મુજબ બહારના સૂર્યની ધીમી ગતિએ પરિક્રમા કરતાં મંગળ, શનિ જેવા ગ્રહો જ્યારે પૃથ્વી તેની તરફ આવતા હોય ત્યારે આભાસી વક્રગતિ કરતા દેખાય છે. આ ક્રિયા બાબતે જ્યોતિષીઓ લોકોને ડરાવે છે અને તેનું સમાધાન કરવા જપ કરવાનું કહી પૈસા પડાવે છે. જેમ આપણી ટ્રેઈન પશ્ર્ચિમ દિશામાંથી પૂર્વ દિશામાં જતી હોય તો નજીકના મકાનો, ઝાડો વગેરે પશ્ર્ચિમમાં જતાં દેખાય છે. તેવી ક્રિયા આ ગ્રહોની વક્રગતિની છે. હકીકતમાં મકાનો, વૃક્ષો વગેરે પશ્ર્ચિમમાં જતાં નથી, એ તો ત્યાં જ છે, પણ આપણને એવો આભાસ થાય છે. પણ વક્રી ગ્રહ ભયાનક હોય છે તેવી અંધશ્રદ્ધામાં લોકો માને છે. માટે જ આપણે વિજ્ઞાનનો પ્રચાર કરવાનો છે અને લોકોને કુદરતમાં ચાલતી પ્રક્રિયાઓને તેના સાચા સ્વરૂપમાં વિજ્ઞાનની મદદથી સમજાવવાની છે. કેટલાક લોકો વિજ્ઞાનની પ્રક્રિયાની મદદથી અને ચાલાકીયા હાથમાંથી કંકુ કાઢે છે, તો કોઈ વળી નાળિયેરમાંથી ચૂંદડી કાઢે છે, દિવાસળી વગર અગ્નિ પ્રગટાવે છે, કે ગરમા ગરમ કોલસા પર ચાલી બતાવે છે, આવી પ્રક્રિયાથી લોકોને અંધશ્રદ્ધા તરફ દોરે છે. અછબડાના માતાજી, ઓરી અને માતા નીકળે તેના માતાજી, આવી અનેક અંધશ્રદ્ધા આપણા સમાજમાં ચાલે છે.
ધુતારા લોકો કરન્સી નોટો કાઢે છે, સોનું કાઢી બતાવે છે. તો તેઓ જ તેનો ઉપયોગ કેમ કરી લેતાં નથી? ગામડાનાં ભોળા માણસોને છેતરે છે. આપણી સંસ્કૃતિ, તહેવારો, કથાઓ, ટ્રેડિશન વગેરે એક અલગ જ બાબત છે. તેને અંધશ્રદ્ધા સાથે જોડવાની જરૂર નથી. ગામડામાં વસતા આપણા ગરીબ અને અભણ-અજ્ઞાની લોકો વિવિધ પ્રકારની વિટંબણામાં હોય છે તેથી તેઓ ગમે તે
અંધશ્રદ્ધામાં માની બેસે છે. ડૉક્ટરો પણ ગામડામાં જતાં નથી તેથી ભૂવાઓ અને ઊંટવૈદ્યો ફૂલ્યા ફાલ્યા છે. ગામડાનાં ખેડૂતો અને લોકો વારે વારે અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિના ભોગ બને છે. કુદરતમાં ચાલતી ક્રિયાઓને તેઓ સમજતાં નથી.
ઘણાખરાં બાવા-સાધુઓ લોકોને બધું ત્યાગ કરવાનું કહે છે અને ગુરુઓનાં શરણે જવાનું કહે છે, પણ પોતે મોજ-શોખની જિંદગી ગાળે છે. ઘણાખરાં મહાત્માઓ પૈસાદારોનાં મહાત્માઓ છે, કોઈ ગરીબોનાં મહાત્માઓ કે ઉદ્ધારકો નથી. ગરીબોને જોઈને તેમનો આત્મા કકળતો નથી. તેઓ એમ કહે છે કે તેઓ તેમનાં કર્મોના ફળ ભોગવે છે. તે સાચું પણ કોઈ નારદમુનિ નથી કે વાલિયાને વાલ્મીકિ બનાવે અને લોકોનો તેમની ગરીબીમાંથી ઉદ્ધાર કરે. ઘણા વળી ગરીબોની વહારે ધાય છે પણ છેવટે તેમનું ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિમાં હોય છે. ગાંધીજીએ એક અર્ધવસ્ત્રમાં ગરીબ બાઈને જોઈ, તેમણે પોતડી પહેરવાનું શરૂ કર્યું. હજુ સુધી આપણે ગાંધીજીને તેમના પૂર્ણવસ્ત્રો પહેરાવી શક્યાં નથી અને ભારત મહાનનાં ગાણાં ગાઈએ છીએ. નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, તે મોટેથી ગાઈએ છીએ પણ તેને થોડુંક પણ અનુસરતાં નથી. સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ પ્રજાના પૈસે જલ્સા કરે છે.
આકાશીપિંડો પૃથ્વી જેવા પદાર્થના ગોળા છે. તેમને ન તો આંખ છે, ન તો કાન, હાથ, મગજ કે પગ છે. ન તો તેમની પાસે કોમ્પ્યુટર છે જેથી તેઓ અમુકનું ખરાબ કરવું કે અમુકનું સારું કરવું તે જાણી શકે. માનવીના જીવનમાં જે બને છે તે ગૂઢ રહસ્ય છે, ગ્રહોની બિચારાની કામગિરી નથી. માનવી જ માનવીનું સારું, બુરું કરી શકે ગ્રહો નહીં. લોકોનાં જીવનમાં થાય છે તેની અક્કલથી નહીં તો માનવીની ભૂતકાળ કે વર્તમાનકાળની ભૂલોને લીધે થાય છે. તેમાં ગ્રહોને દોષ દેવાની જરૂર નથી. જ્યાં સુધી સૂર્ય આપણી પાસે છે, ત્યાં સુધી કોઈ ગ્રહના કિરણો આપણું ભલું કરી શકે નહીં. છેવટે તો ગ્રહો સૂર્યના પ્રકાશનું જ પરાવર્તન કરે છે. તમે કોઈ દેવમાં કે સુપ્રીમપાવરમાં શ્રદ્ધા રાખો તે જુદી જ વાત છે. કોઈવળી બાંયે કાળી દોરી બાંધે, કોઈવળી માદળિયુ બાંધે કોઈવળી ગળામાં કાળી દોરી બાંધે એ અંધશ્રદ્ધા છે. હાં, પૂજન કે યજ્ઞ કરતી વખતે હાથે નાડાછડી બાંધે તે યજ્ઞની પ્રથા છે, પ્રતિબદ્ધતા છે લોકો યાત્રાનો અર્થ સમજતાં નથી. તે પછી પિકનિક સાબિત થાય છે. મંદિરોનો અર્થ સમજયા વગર મંદિરે જાય છે – પવિત્ર ગંગા અને બીજી નદીઓને પ્રકારે પ્રકારે ગંદી કરે છે – કુદરત જ ઈશ્ર્વર છે, તે સમજતાં નથી અને ઈશ્ર્વરને શોધવા નીકળી પડે છે. તેમ છતાં વિજ્ઞાન માને છે કે પ્રમાણની ગેરહાજરી એ ગેરહાજરીનું પ્રમાણ નથી. બધાને જે કરવું હોય તે કરે પણ જેની પાછળ લોજીક ન હોય તે કરવાનો કોઈ અર્થ નથી. પ્રાણીઓનો કે બાળકોનો બલિ ચઢાવવો તે ક્રૂર કૃત્ય છે.