(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ નવા વર્ષમાં ચોથી જાન્યુઆરીથી ઘર-ઘરમાં ફરીને હાયપર ટેન્શનના દર્દીઓને શોધવાની છે. પાલિકાની આ ઝુંબેશ નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (એનસીડી) કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ રહેશે, તે માટે પાલિકા આયુર્વેદિક ડૉક્ટરોની પણ નિમણૂક કરવાની છે.
મુંબઈમાં ડાયાબિટીઝ તેમ જ હાયપર ટેન્શનના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા સતર્ક થઈ ગઈ છે. પાલિકાના એડિશનલ કમિશનર સંજીવ કુમારના જણાવ્યા મુજબ મુંબઈના ૩૦ વર્ષના લગભગ ૫૦ લાખ લોકોના બ્લડ પ્રેશર ચેક કરવાનો પાલિકાએ લક્ષ્યાંક રાખ્યો છે.
હાયપર ટેન્શનના કારણે વિશ્ર્વભરમાં મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે એનસીડી પાસેથી મળેલા ડેટા મુજબ છેલ્લા ચાર મહિનામાં ૧૧ ટકા લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હોવાનું જણાઈ આવ્યું હતું. પાલિકાએ એનસીડીના ડેટાને ગંભીરતાથી લઈને હવે મુંબઈમાં લોકોના ઘરે જઈને તેમના બ્લડ પ્રેશર તપાસવાનો નિર્ણય લીધો છે.
પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીના કહેવા મુજબ દર બુધવારે પાલિકા દ્વારા આ ઝુંબેશ હેઠળ બ્લડ પ્રેશર ચેક કરવામાં આવશે. પાલિકાએ ૬,૦૦૦ બ્લડ પ્રેશર મોનિટરની ખરીદી કરી છે અને હેલ્થ વર્કરને તેની તાલીમ આપવામાં આવી છે. આ હેલ્થ વર્કર લોકોના ઘરે જઈને બીપી તપાસશે, જેમનું બીપી ઊંચું બતાવશે, તેમને બીપીનો શંકાસ્પદ કેસ જાહેર કરીને તેમને પાલિકાના નજીકના હેલ્થ સેન્ટરમાં મોકલવામાં આવશે. હાઈ બીપીના કેસ માટે પાલિકા દ્વારા દવાનો જથ્થો મોટી માત્રામાં ખરીદવામાં આવ્યો છે અને લોકોને મફતમાં દવા આપવામાં આવશે. દર્દીઓ સાથે ફોલો-અપ રાખવું અને તેમને નિયમિત દવા લેવાનું સમજાવું બહુ અઘરું છે, તેથી તે માટે પાલિકા બીએએમએસ (બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન ઍન્ડ સર્જરી)ની ભરતી કરવાની છે.
બીએમસીની ઘર-ઘરમાં ફરીને હાયપર ટેન્શનના દર્દી શોધવાની ઝુંબેશ
RELATED ARTICLES