સાંપ્રત -વીણા ગૌતમ
ઇન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન) કાળું સીસમ એ ભારતીય વૃક્ષ છે, જે પહેલા અંગ્રેજો પછી દાણચોરોના કાવતરાંનું ભોગ બન્યું. એક જમાનામાં ભારતના ઘણા વિસ્તારોમાં સીસમનાં વૃક્ષો જોવા મળતા હતા.હાલના આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં તેનાં લાખો વૃક્ષો હતાં. સાલ અને સાગ કરતાં પણ વધુ સારા લાકડા વાળા ઔષધીય વૃક્ષની ખૂબી જ તેના માટે સંકટ બની ગઈ. અંગ્રેજો મોટા પાયે કાપીને પોતાનાં ઘરોનું ફર્નિચર બનાવતા રહ્યા તથા તેના ઔષધીય ગુણોને કારણે તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા રહ્યા. તેના કારણે ઓગણીસમી સદીમાં તેની આડેધડ કાપણી કરવામાં આવી. આ જ કારણ છે કે આજે આ વૃક્ષ કેટલાક ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાં આંગળીને વેઢે ગણાય તેટલી સંખ્યામાં બચ્યા છે. જોકે, ભારતીય વન કાયદા ૧૯૭૨ અંતર્ગત તેની કાપણી, વેપાર વગેરે કરવું ગુનો છે, તેમ છતાં આજે જ્યાં પણ કાળું સીસમ છે ત્યાં રક્ષકોની હાજરી છતાં તે દાણચોરોથી બચી શક્યું નથી. આ વૃક્ષની સૌથી મોટી સમસ્યા એ છે કે તેને ઉગાડી શકાતું નથી, તે સ્વયં જ ઊગે છે. તેથી જ્યાં જ્યાં કાળા સીસમનાં વૃક્ષો બચ્યાં છે ત્યાં સુરક્ષા જવાનો દ્વારા સતત તેના ઉપર નજર રાખવામાં આવે છે. આમ છતાં, દિવસે દિવસે તેની સંખ્યા ઘટતી જ રહી છે. પહેલા આ વૃક્ષ ગોરખપુરના કેમ્પિયરગંજનાં જંગલોમાં મોટા પ્રમાણમાં જોવા મળતા હતા, પરંતુ ૨૦૧૦માં માફિયાઓની નજર તેના ઉપર પડી અને જોરદાર ગોળીબારોની વચ્ચે તેમાંના અનેક વૃક્ષોની કતલ થઇ ગઈ. હવે આ જંગલોમાં કાળા સીસમના બહુ ઓછાં વૃક્ષો બચ્યાં છે. ઉત્તર પ્રદેશમાં કેમ્પિયરગંજ અને બહરાઇચનાં જંગલો સિવાય ક્યાંય કાળા સીસમનાં વૃક્ષો નથી. હકીકતમાં તેનું સંગઠિત રીતે સંવર્ધન એટલે થઇ શકતું નથી, કેમકે તેના બીજ બહુ નાજુક હોય છે. તેથી તેની નર્સરી તૈયાર શકાતી નથી. તેના બીજ તૂટીને જમીન ઉપર પડે, પછી તેમાંથી જે બીજ ઊગી નીકળે તે વૃક્ષ રૂપે વિકસે છે. તેથી રોપણી કરીને પણ તેના વૃક્ષ આસાનીથી ઉગાડી શકાતા નથી. ૧૦૦૦થી વધુ બીજોમાંથી એકાદ બીજ માંડ વૃક્ષ રૂપે ઊગી નીકળે, એટલે જ આ વૃક્ષ અતિ દુર્લભ ગણાય છે. કાળા સીસમનું મૂલ્ય એટલે જ સોના કરતાં પણ વધારે છે, કેમકે આ વૃક્ષનો કોઈ હિસ્સો એવો નથી, જેમાં ઔષધીય ગુણ ન હોય. તેથી આંતરરાષ્ટ્રીય ઔષધિ બજારમાં આ વૃક્ષના લાકડાની બહુ માગ રહે છે, ખાસ કરીને ચીન, થાઈલેન્ડ સહિત પેસિફિક દેશોમાં.
કાળા સીસમનું લાકડું બજારમાં આવતાં જ ગ્રાહકો તેના ઉપર રીતસરના તૂટી પડે છે. કેમકે આ વૃક્ષ માત્ર પ્રાકૃતિક રૂપે ઊગે છે, એટલે સાહજિક રીતે જ તેની માગ કરતા હંમેશાં ઓછું જ હોય છે. જોકે, ઘણા બોટાનીકલ એક્સપર્ટ તેના બાગ લગાવવાની કોશિશ કરી રહ્યા છે, અને જાણવા મળ્યા પ્રમાણે પ્રારંભિક સફળતા પણ મળી છે. ગયા વર્ષે બોટાનીકલ સર્વે ઓફ ઇન્ડિયાની એક ટીમે પશ્ર્ચિમ બંગાળના દલમા જંગલમાં કેટલાક ગુણવત્તાના કાળા સીસમનાં વૃક્ષો શોધ્યાં છે, માનવામાં આવે છે કે તેમને લગાવવામાં આવશે. કાળું સીસમ અનેક બીમારીઓમાં આધુનિક ઔષધો કરતાં વધુ અસરકારક છે. ખાસ કરીને પેટ દર્દ, સ્થૂળતા, અપચો, અને પેશાબ સંબંધિત સમસ્યાઓમાં કાળા સીસમના પાનનો કાઢો રામબાણ ઈલાજ છે. કોલેરામાં સીસમની ગોળીઓ ખાવાથી ફાયદો થાય છે. અંગ્રેજોના સમયમાં જયારે ઘણીવાર મોટા પાયે કોલેરા ફેલાયો હતો ત્યારે તેને કાળા સીસમની ગોળીઓથી જ કાબૂમાં લેવાયો હતો. આંખના દર્દમાં પણ સીસમના પાનના રસથી સશર્ત ફાયદો થાય છ. તાવ, સાંધાના દુખાવા, લોહીનો વિકાર, કુષ્ઠ રોગ માટે પણ કાળા સીસમમાંથી ઉપયોગી દવાઓ બને છે. સાથે, એક એવી પણ માન્યતા છે કે કાળા સીસમના લાકડાના પાવડરનું સેવન કરવાથી પુરુષોની સંભોગ શક્તિમાં વધારો થાય છે, તેથી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની માગ છે. લગભગ ૩૦ મીટર ઊંચા આ પાનખર વૃક્ષ, ભારત ઉપરાંત નેપાળ અને શ્રીલંકામાં પણ જોવા મળે છે. પણ આ વૃક્ષોની ભારત જેવી સ્થિતિ નેપાળ અને શ્રીલંકામાં પણ છે. ભારતના પશ્ર્ચિમી ઘાટ તથા મધ્ય ભારતના જંગલોમાં એક જમાનામાં આ વૃક્ષો મોટા પ્રમાણમાં હતાં. આ વૃક્ષને ઓળખવાની એક સરળ રીત એ છે કે તેની છાલને ખોતરવાથી કે કાપવાથી તેમાંથી એક લાલ રંગનો પ્રવાહી સ્રાવ થાય છે, જેને આદિવાસીઓ રક્તસ્રાવ કહે છે.
આશ્ર્ચર્યજનક વાત એ છે કે આ વૃક્ષનો રક્તસ્રાવ આપણા રક્તની જેમ જ ધીરે ધીરે ઘટ્ટ થાય છે. આ વૃક્ષ માટે અન્ય એક સમસ્યા એ છે કે દેશના કોઈ પણ ભાગમાં તેનો પ્યોર પેચ નથી. બધે જ છૂટા છવાયા મળે છે. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષના રક્તસ્રાવનું સેવન કરવાથી મધુમેહ અથવા ડાયાબિટીઝ અવશ્ય મટે છે. આટલા કિંમતી અને દુર્લભ વૃક્ષને બચાવવા અનેક સરકારી સંસ્થાઓ કાર્યરત છે અને જો બધું સમુસુતરું પાર પડે તો એક-બે દાયકામાં કદાચ ફરીથી કાળા સીસમનાં વૃક્ષો મોટી સંખ્યામાં જોવા મળે. પણ જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી, આ વૃક્ષ જ્યાં પણ હોય ત્યાં તેની રક્ષા કરવી એ આપણી ફરજ છે, જેથી આજે નહીં તો કાલે તેની વંશ વૃદ્ધિ કરી શકાય.