મહારાજ મુદ્દે ભાજપ અને એસીપી આમનેસામને
મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતાઓએ આરએસએસના નેતા માધવ ગોલવલકરના પુસ્તક ‘બંચ ઓફ થોટ્સ’માં સંભાજી મહારાજની સામે વિવાદાસ્પદ નિવેદન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ પછી તેમના પુત્ર સંભાજી મહારાજને મુદ્દે ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને એનસીપી આમને સામને આવી ગયા છે અને એના સંબંધમાં એનસીપીના નેતાઓએ ટ્વિટ પણ કરી છે.
એનસીપીના નેતા રવિકાંત વરપે અને જિતેન્દ્ર આવ્હાડે ટિવટ કરીને સંભાજી મહારાજ પર માધવ ગોલવલકરના પુસ્તકમાં વિવાદાસ્પદ તથ્યો હોવાનો આરોપ મૂક્યો હતો.
મહારાષ્ટ્રના શિયાળુ સત્રના અંતિમ સત્રમાં અજિત પવારે કહ્યું હતું કે છત્રપતિ સંભાજી મહારાજ ધર્મવીર નહીં, પરંતુ સ્વરાજના રક્ષક હતા. મહારાષ્ટ્રમાં ભાજપ પણ અજિત પવાર સામે મોરચો ખોલ્યો છે. એનસીપીના નેતા રવિકાંત વરપેએ મરાઠીમાં ટિવટ કર્યું હતું કે અજિત પવારની સામે પ્રર્દશન કરવાને બદલે ભાજપે આરએસએસ હેડ ક્વાર્ટર સુધી પ્રદર્શન કરવું જોઈએ અને ગોલવલકરના પુસ્તક ‘બંચ ઓફ થોટ્સ’ની સામે વિરોધ કરવો જોઈએ, જેમાં સંભાજી મહારાજનું અપમાન કર્યું છે. આવ્હાડે પણ એનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે સંભાજી મહારાજના વિશે સાવરકર અને માધવ ગોલવલકરે શું લખ્યું છે એના પર લોકો શું કહેશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ તાજેતરમાં છત્રપતિ શિવાજી મહારાજ મુદ્દે નિવેદન કર્યા પછી સમગ્ર રાજ્યમાં વિરોધ થયો હતો, જેમાં વિરોધ પક્ષોએ તેમની ટીકા કરી હતી.