નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં બિલ્કિસ બાનો કેસમાં 11 દોષીને નિયત સમય કરતા વહેલી મુક્તિ આપવાના કેસની સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગેંગરેપ કેસમાં 11 દોષીને સજામાં ફેરફારને પડકારતી બિલ્કિસ બાનોની અરજી પર કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કે. એમ. જોસેફ અને ન્યાયાધીશ બીવી નાગરત્નની ખંડપીઠે બિલ્કિસ બાનોની અરજી પર સુનાવણી કરી હતી અને કોર્ટે એ ગુનાને ભયાનક ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની અરજી પર કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને દોષીઓને નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને દોષીઓને છોડવા અંગેની મંજૂરીની ફાઈલ તૈયાર રાખવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે નક્કી કરશે કે માફી અંગે નિર્ણય લેવા માટે યોગ્ય સત્તા કોની છે અને કોર્ટ નક્કી કરશે કે તે ગુજરાત છે કે મહારાષ્ટ્ર. આ કેસમાં આગામી સુનાવણી અઢારમી એપ્રિલ થશે. અગાઉ 22મી માર્ચે અરજી પર સુનાવણી કરતી વખતે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશની ખંડપીઠે બિલ્કિસ બાનોની અરજી પર સુનાવણી માટે નવી બેંચની રચનાનું આશ્વાસન આપ્યું હતું. આ કેસમાં દોષીઓને સમય કરતા વહેલી મુક્તિ સામે બિલ્કિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સાથે બીજી અરજી પણ દાખલ કરી હતી, જેમાં બિલ્કિસ બાનોએ પણ સુપ્રીમ કોર્ટને તેના નિર્ણયની સમીક્ષા કરવાની માંગણી કરી હતી. 13મી મે, 2022ના રોજ, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને દોષીઓની વહેલી મુક્તિ પર વિચાર કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે નવમી જુલાઈ 1992ના રોજ ગુજરાત સરકારની નીતિ હેઠળ દોષીઓની મુક્તિ પર વિચાર કરવા જણાવ્યું હતું. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન 11 દોષીએ બિલ્કિસ બાનો પર ગેંગરેપ કર્યો હતો અને તેના પરિવારના સભ્યોની હત્યા કરી હતી. ગુજરાત સરકારે ગુનેગારોને રાહત આપતા પંદરમી ઓગસ્ટ 2022ના રોજ ગુનેગારોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તેની સામે બિલ્કિસ બાનોએ ફરી સુપ્રીમ કોર્ટમાં જઈને અરજી દાખલ કરી હતી અને તેના પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી હાથ ધરી હતી.