આંતરધર્મી પ્રેમપ્રકરણને કારણે કુટુંબથી વિખુટી પડેલી યુવતીઓ માટે વિશેષ સમિતિ: યુવતી સાથે સમન્વય સાધીને પ્રશ્ર્નો ઉકેલવામાં આવશે: સાત દિવસમાં બનશે સમિતિ
વિપુલ વૈદ્ય
મુંબઈ: લવ જેહાદ અંગે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આંતરધર્મી પ્રેમ પ્રકરણમાં કુટુંબોથી દૂર થઈ ગયેલી યુવતીઓ માટે રાજ્યસરકાર એક વિશેષ સમિતિ સ્થાપન કરવાની છે. આંતરધર્મી પ્રેમ વિવાહ કરનારી કરનારી છોકરીઓના જીવનમાં અત્યારે શું ચાલી રહ્યું છે તેની માહિતી આ સમિતિ મેળવશે. આગામી સાતથી દસ દિવસમાં આ સમિતિ સ્થાપન થશે. આ છોકરીઓ સાથે સમન્વય સાધીને તેમની સમસ્યાના નિરાકરણ માટે સમિતિ પ્રયાસ કરશે. શ્રદ્ધા વાલકર હત્યાકાંડને પગલે શિંદે-ફડણવીસની સરકારે આ મોટું પગલું લીધું છે. આવી જ રીતે રાજ્યમાં પણ ધર્માંતર વિરોધી કાયદો લાવવાના પ્રયાસ ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેથી આગામી દિવસોમાં વધુ એક મોટો નિર્ણય સાંભળવા મળી શકે છે.
મહારાષ્ટ્રમાં લવ જેહાદ માટેનો કાયદો લાગુ કરવામાં આવે એવી માગણી શ્રદ્ધાના કેસ બાદ વધી રહી છે ત્યારે વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં આ બાબતે જાહેરાત કરવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં લવ જેહાદના પ્રકરણોમાં વધારો થઈ રહ્યો છે અને તેથી જ લવ જેહાદ વિરોધી કાયદાની માગણી થઈ રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ વિરોધી કાયદો બનાવવામાં આવ્યો છે. બળજબરી, ખોટું બોલીને અથવા આવી રીતે લગ્ન કરવા માટે મદદ કરનારા બધા લોકોને માટે ત્રણથી પાંચ વર્ષના કારાવાસની સજાની જોગવાઈ તેમ જ રૂ. બે લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.