કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ તેના અંતિમ તબક્કામાં જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઇ રહી છે. શુક્રવારે સુરક્ષાના કારણોસર રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા સ્થગિત કરી દીધી હતી. જેને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને ભારત જોડો યાત્રામાં સામેલ યાત્રીઓ માટે યોગ્ય સુરક્ષાની માંગ કરી છે. ખડગેએ અમિત શાહને આ મામલામાં અંગત રીતે હસ્તક્ષેપ કરવા અને સંબંધિત અધિકારીઓને પૂરતી સુરક્ષા આપવા માટે સૂચનાઓ આપવા અપીલ કરી છે.
મલ્લિકાર્જુન ખડગેએ પત્રમાં લખ્યું છે કે હું આજે તમને આ પત્ર ભારત જોડો યાત્રા દરમિયાન સુરક્ષામાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ખામીને લઈને લખી રહ્યો છું, જેના વિશે તમે પહેલાથી જ જાણતા હશો. રાહુલ ગાંધીની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સુરક્ષા અધિકારીઓની સલાહ પર શુક્રવારે યાત્રા મોકૂફ રાખવી પડી હતી. અમે J&K પોલીસની પ્રશંસા કરીએ છીએ અને તેમના નિવેદનને આવકારીએ છીએ કારણ કે તેઓએ યાત્રાના સમાપન સુધી સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે.
ખડગેએ વધુમાં લખ્યું છે કે અમે આગામી બે દિવસમાં યાત્રા દરમિયાન વિશાળ સભાની અપેક્ષા રાખીએ છીએ અને 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપન સમારોહ પણ થવાનો છે. આ સમાપન સમારોહમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ અને અન્ય મહત્વપૂર્ણ રાજકીય પક્ષોના નેતાઓ હાજરી આપવાના છે. જો તમે આ બાબતમાં અંગત રીતે હસ્તક્ષેપ કરીને સલાહ આપી શકો તો હું આભારી રહીશ. યાત્રાના સમાપન સુધી પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ જારી કરો.