પઠાણ: ઇતિહાસથી આધુનિકતા સુધીની કશ્મકશ
કેન્વાસ -અભિમન્યુ મોદી
ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થઈ ત્યારે મોદી સાહેબના શબ્દો હતા ‘અદભુત, અનેરું અને અકલ્પ્ય’. કિંગ ખાન સાથે પણ આવું જ બન્યું. પોતાના બોયકોટ ટ્રેન્ડનું શસ્ત્ર ઉગામીને તેમણે ૪ વર્ષનું સાટુ ‘પઠાણ’ ફિલ્મથી વાળી લીધું. આટલું બમ્પર ઓપનિંગ મળશે એવી આશા તેમને પણ ન હતી. આ કલાસિક કમાણીમાં પઠાણ સમુદાયનો મોટો ફાળો છે. વિવાદના ગોકીરામાં ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ગાઢ રીતે વણાઈ ગયેલા પઠાણ સમુદાય પર ભાગ્યે જ કોઇએ ફોકસ કર્યું હશે. શાહરુખ ખાન પોતાને ગૌરવભેર પઠાણ ગણાવે છે. ઇન ફેક્ટ, બોલીવૂડના ત્રણેય મોટા ‘ખાન’ સ્ટાર શાહરુખ, સલમાન અને આમિર પઠાણ છે. ઇવન સૈફ અલી ખાન પણ તેના ક્રિકેટર પિતા મન્સુર અલી ખાન પટૌડી પાસેથી મળેલો પઠાણ વારસો ધરાવે છે.
ભારતની વાયવ્ય સરહદે પાકિસ્તાન બાદ આવેલા અફઘાનિસ્તાનમાં ‘પખ્તુન’ કે પશ્તુન’ યાને કે પઠાણોનું મૂળ વતન હોવાનું નેટિઝન્સ કહે છે. જો કે, એમની જોડે તો અધૂરી માહિતી હોય એ સ્વાભાવિક છે. ભારતના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં ભારતની વાયવ્ય બાજુએ ‘પખ્તા’નામની કોમ રહેતી હોવાનો ઉલ્લેખ છે. ભૌગોલિક રીતે પઠાણો હાલના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, ઇરાન, ઇઝરાયેલ, અલ્જિરિયા, આલ્બેનિયા અને હવે તો સમગ્ર વિશ્ર્વમાં પથરાયેલા છે. અલબત્ત, તેમનો ઉદભવ કઈ રીતે થયો તે વિશે ઇતિહાસકારોમાં પણ મતમતાંતરો પ્રવર્તે છે. ઇસ્લામિક ઇતિહાસકારોના મતે પઠાણ સમુદાય મૂળ ઇઝરાયલનો વતની છે અને તેની ઓળખ યહૂદી તરીકે થતી હતી. જયારે આક્રમણ શરૂ થયા ત્યારે તેમણે ઇઝરાયલથી અફઘાનિસ્તાન તરફ સ્થળાંતર કર્યું એટલે દુનિયા તેમને અફઘાની કહે છે.
પીઢ ઇસ્લામિક ઇતિહાસકાર મુહમ્મદ ઇબ્ન અલી રવંદીએ તેમના પુસ્તક ‘રહત અલ-સુદુર’ માં પઠાણ સમુદાય વિશે વિગતે જણાવ્યું હતું. પખ્તુન એટલે કે પઠાણોના ફાઉન્ડિંગ ફાધર. એમના ત્રણ દીકરા સરબાન, બૈતાન, ઘરગસ્ત. ઉપરાંત એક દીકરો કરલાની ઓરમુર બરાકી એમણે દત્તક લીધો હતો. આ ચારેય સંતાનોનાં નામ પરથી મુખ્ય પઠાણી કોમ સરબાની, બૈતાની, ઘરગસ્તી અને કરલાની પઠાણ તરીકે ઓળખાઈ. પઠાણોમાં ટ્રાઇબ યાને કે કબીલાની પ્રથા છે, જે મુખ્ય કબીલાઓનાં ફાંટા-પેટા ફાંટામાંથી વિકસ્યાં છે. આજની તારીખે ૩૫૦થી ૪૦૦ પઠાણ કબીલા સમગ્ર વિશ્ર્વમાં પથરાયેલા છે. આમાંથી અમુક કબીલાઓનાં નામ જાણીએ તો તેમનું મૂળ તરત જ પરખાઈ આવે.
સરબાની પઠાણ કબીલાઓમાં અબ્દાલી-દુરાની, શેરનાયી, જલાનાયી, બરેછ, બાયર, ઓરમર, તારિન, ગરશિન, લવાનાયી, પોપલઝઈ, બામિઝઈ, સદોઝઈ, અલીકોઝઈ, બરકઝઈ, મોહમ્મદઝઈ, અઝ્ઝાકઝઈ, નૂરઝઈ, અલીઝઈ, સાકઝઈ, માકુ, ખુગઝઈ, યુસુફઝઈ, ઉસ્માનઝઈ, રાનીઝઈ, મુંદન, તરકલનાઈ, ખલીલ, બાબર, ઝમરયનઝઈ, ઝેરાનાઈ, મોહમ્મદ, ખેશગી, કાસી, ગઇનાઈ, સલાઝઈ, મલગુરઈ, દાઉદઝઈ વગેરે કબીલાઓ આવે છે.
બૈતાની પઠાણ કબીલાઓમાં લોધી (કે લોદી), સહાક, તરાકઝઈ, અકખેલ, સુલેમાનખેલ, નાસર, બખ્તિયાર, અહમદઝઈ, તરાયી, દૌલતખેલ, જાફર, બૈતાની, ખાસૂર, તૂખી વગેરે કબીલાઓનો સમાવેશ થાય છે.
ઘરગસ્તી પઠાણ કબીલાઓમાં બાબયી-બાબી પઠાણ, દાની, મંદુખેલ, કાકર, દાવી, મુસાખેલ, સિપાહી, મશવનાઈ, ઝમરાઈ, શલમોન, ઘૂમર, ખુનદઈ, ઝાદૂન, ઇસોત વગેરે કબીલાઓનો સમાવેશ થાય છે. જયારે કરલાની પઠાણ કબીલાઓમાં ઝદરાન, આફ્રિદી, વઝીર, દાવર, વર્દક, ઓરકઝઈ, બંગશ, તનાયી, ખોસ્તવા, ઉસ્માનખેલ, સમકાનાયી, ગરાયી, બનુચી, ઝઝઈ, મુકબલ, મનિહાર, મંગલ, કાકયી, તોરાયી, ખટ્ટક, હની, મસીદ વગેરે કબીલાઓ સામેલ છે.
આ અઢળક કબીલાઓ વળી પાછા અનેક શાખ અને એવી કેટલીયે શાખો ઝેર-એ-શાખોમાં વહેંચાયેલી હોય છે. બાય ધ વે, ‘ઝઈ’ એટલે દીકરા માટેના પર્શિયન શબ્દ ‘ઝ્વે’નું અપભ્રંશ છે. જ્યારે ઘણા કબીલાઓનાં નામની પાછળ લાગતો ‘ખેલ’ મૂળે અરેબિક શબ્દ છે જે સમૂહ, ખાનદાન કે કબીલા માટે વપરાય છે.
ભારતમાં લગભગ દસમી સદીથી પશ્તુન કબીલાઓની એન્ટ્રી શરૂ થઈ હતી. આ પશ્તુન કબીલાઓ દિલ્હી સલ્તનતની અલગ અલગ સેનાઓમાં સામેલ થઇને પહેલાં ઉત્તર પ્રદેશમાં સ્થાયી થયા. મેરઠ શહેર ઉત્તર ભારતમાં પશ્તુનો એટલે કે પઠાણોની સૌથી જૂની વસાહત ગણવામાં આવે છે, ત્યાં પઠાણ સમુદાય લગભગ આઠસો વર્ષથી વસે છે. સુલતાન ફિરોઝ શાહ તુઘલક પંજાબના કસૂરથી ઇબ્રાહિમખેલ પશ્તુનોને બુલંદશહેરમાં લઈ આવ્યો. એ પછી પશ્તુન લોદી સામ્રાજ્યનો ઉદય થયો અને મુઘલ સલ્તનતમાં સૈનિકો તરીકે પશ્તુનોની એન્ટ્રી શરૂ થઈ. એ જ રીતે જ્યાં જ્યાં મુઘલ સામ્રાજ્ય ફેલાયું એ તમામ સ્થળે પઠાણો પણ પહોંચ્યા.
ગુજરાતમાં પઠાણોની એન્ટ્રી મધ્યયુગથી શરૂ થઈ. પાછળથી જૂનાગઢમાં બાબી પઠાણ અને પાલનપુરમાં ઝાલોરી પઠાણની સલ્તનતો સ્થપાઈ હતી. આજે પણ ગુજરાતમાં જે પઠાણો વસે છે તેમાં બાબી, સામ, ખાનઝાદા, યુસુફઝઈ, લોહાની, મંડોરી, સુલેમાની, સુરત-તુર્ક, મિયા, ઝદરાન, બંગસ, દુરાની, ઉમરખેલ, આફ્રિદી, બાચા, શમાખેલ, તિરાવિયાન, બુનેરી, સ્વાતી, પેશાવરી પઠાણોનો સમાવેશ થાય છે. સમગ્ર ભારતમાં પઠાણ સમુદાય કબીલાઓ વસવાટ કરે છે. ભારતમાં પઠાણોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ‘ઓલ ઇન્ડિયા પખ્તુન જિરગા-એ-હિન્દ’ છે, જેની અધ્યક્ષા યાસ્મિન નિગાર ખાન છે. યાસ્મિન સરહદના ‘ગાંધી’ તરીકે ઓળખાતા ભારત રત્ન ખાન અબ્દુલ ગફાર ખાનનાં પૌત્રી છે. તેમના મતે ભારતમાં ૩૨ લાખ પઠાણો વસવાટ
કરે છે.
પઠાણ સમુદાયની માતૃભાષા પશ્તુનના અનેક શબ્દો આજે લોકજીભે રમ્યા કરે છે. લોકો તેને ઉર્દૂ સમજી બેસે છે, પરંતુ તે પશ્તુની ભાષા છે. જેમ કે
ઉર્દૂ ઇરાનિયન અને ઇજિપ્તમાં અતિથિસત્કાર માટે મેલમેસ્તિયા શબ્દનો પ્રયોગ થાય છે, પરંતુ આ શબ્દ મૂળ પશ્તુની ભાષાનો છે. એ જ રીતે નાનાવાતાઈ અર્થાત્ શરણે આવેલાને રક્ષણ આપવું, બદલ અર્થાત્ ન્યાય, ખૂન કે બદલે ખૂન, આંખ કે બદલે આંખ, દાંત કે બદલે દાંત, તૂરે અર્થાત્ બહાદુરી, જમીન, સંપત્તિ, પરિવાર, સ્ત્રીઓની કોઇપણ ભોગે રક્ષા કરવી, સબાત અર્થાત વફાદારી, પરિવાર, મિત્રો, કબીલા પ્રત્યે નિષ્ઠા વગેરે જેવા શબ્દો મળી આવે છે.
પઠાણ સમુદાયની સૌથી બંડખોર રાણી સુરૈયા તારી હતી. તેમને ભારત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અનેરો લગાવ હતો. ભારત પ્રત્યે માનને ખાતર પોતાની દીકરીનું નામ પણ તેમણે ‘ઇન્ડિયા’ પાડ્યું હતું! ૧૯૨૬માં સુરૈયા તારી અફઘાનિસ્તાનની શિક્ષણમંત્રી બન્યાં હતાં. અફઘાનિસ્તાનનું પહેલું સ્ત્રીઓની સમસ્યાઓને રજૂ કરતા મેગેઝિન ‘ઇર્શાદ-એ-નિસવાન’નો તેમણે પ્રારંભ કરાવ્યો હતો અને એક પત્નીત્વ પ્રથાને લાગુ કરવાની હિમાયત કરી હતી.
તેમણે તો જાહેરમાં બુરખા ફાડીને બુરખાપ્રથાનો વિરોધ કર્યો હતો અને સ્ત્રીઓના હક્કો અને સ્ત્રીશિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું. ઈરાનની ક્રાંતિમાં મહિલાઓ રાણી સુરૈયા તારીના નામનો જયઘોષ બોલાવતી નજરે પડી હતી.
પઠાણ સમુદાયનું ભારતમાં સ્થળાંતર થયું તેમના માંસાહારીઓને તેમની પાસેથી ઘણી વાનગીઓ અને તેને બનાવવાની ટેક્નિક પણ મળી હતી. જેમાં ચપલી કબાબ, સીખ કબાબ, શામી કબાબ, કાબુલી પુલાવ, કોરમા, શીર બેરંજ અને દમપુખ્ત મુખ્ય છે. ભારતમાં પઠાણની ઓળખ કાબુલીવાલા તરીકે જ થાય છે, પરંતુ પઠાણ સમુદાયે દેશની આઝાદીમાં પણ અગ્રીમ ભૂમિકા અદા કરી હતી. ચંદ્રશેખર આઝાદની સેનાના બહાદુર ક્રાંતિકારી અશફાકુલ્લા ખાન અને સરહદના ગાંધી તરીકે પ્રખ્યાત અને ભારત રત્ન પુરસ્કૃત અબ્દુલ ગફાર ખાન તેમાં મુખ્ય છે. આ બન્ને સ્વાતંત્ર સેનાનીઓએ ‘માં’ ભોમની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું. આજે તો દેશના દરેક ક્ષેત્રમાં પઠાણ મળી આવે છે. બોલીવુડ અને ક્રિકેટમાં તો આજે ઢગલાબંધ પઠાણ કાર્યરત છે. જેમ કે ક્રિકેટર સલીમ દુરાની, ક્રિકેટર મન્સુર અલી ખાન પટૌડી, જયંત- અમજદ ખાન, દિલીપ કુમાર,કાદર ખાન, પરવીન બાબી,ઈરફાન ખાન, શાહરુખ-સલમાન-આમિર-સૈફ અલી ખાન, ગાયક અદનાન સામી આ લિસ્ટ હજુ પણ લાંબું છે એટલે વગેરે શબ્દથી તેને અટકાવી ન શકાય. આ લિસ્ટ એ વાતની ગવાહી આપે છે કે ભારતના સંઘર્ષ અને તેના વિકાસમાં પઠાણ સમુદાય હર હંમેશ દેશની પડખે ઊભો રહ્યો છે. અલબત્ત લઘુમતી રાષ્ટ્રોમાં વસતી પઠાણ કોમ આજે પણ મુશ્કેલી ભર્યું જીવન જીવી રહી છે.
ટાગોરની ‘કાબુલીવાલા’માં એ સમયે અફઘાનિસ્તાન પર રશિયાનો કબજો, તાલિબાનની ઝુંબેશ અને અમેરિકાના બોમ્બમારાને કારણે થયેલા વિનાશનું જે વર્ણન છે. તે આજે પણ યથાવત છે. ઘવાયેલા અફઘાનિસ્તાનની વ્યથા ત્યારે કલેજાને વલોવી નાખે તેવી હતી અને આજે પણ અફઘાનિસ્તાનમાં તેમની સાથે થતો અન્યાય દુનિયાની આંખમાં અશ્રુ લાવી દે છે. પઠાણની વફાદારી સૌએ નિહાળે છે, પરંતુ તેમની વ્યથાનો ખ્યાલ કદાચ કોઈએ નથી કર્યો. અમિતાભ બચ્ચનની ‘ખુદા ગવાહ’ અફઘાનિસ્તાનની પૃષ્ઠભૂમિ પર બનેલી એક અગત્યની ફિલ્મ હતી. તેનો એક સંવાદ “અય…લાલે દી જાન..હમ હૈ પઠાણ આજે પણ બોલીવુડ મમળાવ્યા કરે છે. જેમાં ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ (૧૯૭૫), ફરદીન ખાનની ડેબ્યુ ફિલ્મ ‘જાનશીન’ (૨૦૦૩), કબીર ખાનની ‘કાબુલ એક્સપ્રેસ’ (૨૦૦૬), સૈફ અલી ખાનની ‘એજન્ટ વિનોદ’ (૨૦૧૨) અને સંજય દત્તની ‘તોડબાઝ’(૨૦૨૦)માં પણ અફઘાનિસ્તાનની પૃષ્ઠભૂમિ હતી.
તાલિબાનોની વિજયકૂચથી અફઘાનિસ્તાન છોડીને નાસી ગયેલા ત્યારે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીએ ૨૦૧૫માં મીડિયાને જણાવ્યું હતું કે ભારત અને ભારતીય ફિલ્મોએ પઠાણ કોમને ખૂબ જ પ્રમોટ કરી છે અને આ અભિયાન યથાવત રાખવાની તેમણે અપીલ કરી હતી. શાહરુખ ખાને જાણે તેમનો પડ્યો બોલ વર્ષો પછી ઝીલી લીધો. પઠાણ સમુદાયનું પ્રમોશન થાય એ તો સારું, પરંતુ તેમની સંસ્કૃતિ અને ઇતિહાસનું શું! તેમના સાહિત્યનું શું? આટલા સમૃદ્ધ વારસાને શબ્દમાં સાચવનાર કોઈ પઠાણી ઇતિહાસકાર ક્યાં? પઠાણ સમુદાયને ક્યારેય આવા સબળ ઇતિહાસકાર મળશે?