ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે દેશમાં ભારત વિરોધી તત્વોને કાબૂમાં રાખવાની ખાતરી આપ્યાના થોડા દિવસો બાદ જ ખાલિસ્તાન સમર્થકોએ બ્રિસ્બેનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને બંધ કરવાની ફરજ પાડી છે. મીડિયા રીપોર્ટસ મુજબ, બ્રિસ્બેનના ટારીંગા ઉપનગરમાં સ્વાન રોડ પરના ભારતીય વાણિજ્ય દૂતાવાસ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને હિંદુ સમુદાય વિરુદ્ધ લખાણ લખેલા બેનરો લહેરાવ્યા હતા.
હિંદુ હ્યુમન રાઈટ્સના ડાયરેક્ટર સારાહ એલ ગેટ્સે જણાવ્યું હતું કે શીખ ફોર જસ્ટિસે નિશાન બનાવ્યા બાદ સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતીય કોન્સ્યુલેટ આજે બંધ કરવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે ટોળું ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યું હતું. વિસ્તારમાં પોલીસ ફોર્સ હાજર છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સંગઠનો દ્વારા થતી હિંદુ સમુદાય વિરોધી પ્રવૃતિઓ રોકવા અંગે ચર્ચા કરી હતી, જેમાં અલ્બેનીઝે શાંતિ જાળવવા માટે તમામ પગલાં લેવાની ખાતરી આપી હતી.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અર્ચના સિંહને સ્થળ પરથી ખાલિસ્તાની ઝંડો મળ્યો હતો. તેણે તરત જ ક્વીન્સલેન્ડ પોલીસને જાણ કરી. અર્ચના સિંહે કહ્યું કે અમને પોલીસ અને અધિકારીઓ પર પૂરો વિશ્વાસ છે.