આસુમલ ઉર્ફે આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી હતી તેમ જ પીડિતાને રૂ. 50,000ના વળતરનો આદેશ આપ્યો હતો. નવ વર્ષ બાદ આ ચૂકાદો આવ્યો હતો. સોમવારે કોર્ટે આસારામને બળાત્કાર કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને આજે સજા જાહેર કરી હતી.
એક સમયે ધર્મગુરુ તરીકે આસારામ બાપુએ ભારે મોટો ભકતવર્ગ ઊભો કર્યો હતો અને તમામ આલા નેતાઓ અને ઘણી સેલિબ્રિટીઓ તેમના ગૂણગાન ગાતા હતા, પરંતુ યૌન શોષણના કેસ તેમના પર દાખલ થતાં પહેલા જોધપુરની કોર્ટે અને હવે ગુજતરાતની કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા.
આસારામ બાપુ પર સુરતની એક મહિલાએ લગભગ 10 વર્ષ પહેલા અમદાવાદના મોટેરા ખાતેના તેમના આશ્રમમાં તેના પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. બન્ને બહેનોએ લાંબા સમય સુધી તેમની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી હતી.
વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગરની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો. સોમવારે કોર્ટે આસારામની પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી અને ચાર મહિલા અનુયાયીઓ – ધ્રુવબેન, નિર્મલા, જસ્સી અને મીરા – પણ આ કેસમાં આરોપી હતા. આ તમામને ગાંધીનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
આસારામ બળાત્કારના એક કેસમાં સજા ભોગવી રહ્યા હોવાથી હાલ જોધપુર જેલમાં બંધ છે. 2018 માં, જોધપુરની એક ટ્રાયલ કોર્ટે તેને જાતીય શોષણના અન્ય એક કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને જેલની સજા ફટકારી હતી. તેને 2013માં જોધપુરના આશ્રમમાં 16 વર્ષની છોકરી સાથે બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. ગાંધીનગર કોર્ટમાં તેની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે.