રૂપિયો મજબૂત થતાં સોનામાં રૂ. 111નો ઘટાડો, ચાંદી રૂ. 827 તૂટી

20

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં આજના મોડી સાંજના સ્ટોકહોમ ખાતેના વક્તવ્ય પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા હાજર તેમ જ વાયદામાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યાનાં નિર્દેશો હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી બાવન પૈસા ઉછળીને 81.83 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. આમ રૂપિયો મજબૂત થતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો આવવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 111 ઘટી આવ્યા હતા, જ્યારે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 827 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 827ના ઘટાડા સાથે રૂ. 67,964ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી તેમ જ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ પાંખી રહેતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 111ના ઘટાડા સાથે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 55,923 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 56,148ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ તેના આજના વક્તવ્યમાં વ્યાજદરમાં વધારા અંગેના કોઈ સંકેત આપે છે કે નહીં તેની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ઔંસદીઠ ભાવ અનુક્રમે 1872.79 ડૉલર અને 1877.70 ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી 0.2 ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ 23.59 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં વૈશ્વિક સોનાના ભાવ ઔંસદીઠ 1875ની પ્રતિકારક સપાટીએથી પાછાં ફર્યા છે અને જો આજે ફેડરલના અધ્યક્ષ તેનાં વક્તવ્યમાં ફુગાવાને અંકુશમાં રાખવા માટે આક્રમક નાણાનીતિ જાળવી રાખવાનો અણસાર આપે તો વૈશ્વિક સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ આવતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે વ્યક્ત કરી હતી. સામાન્યપણે વ્યાજદર વધારાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી નિરસ રહેતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!