પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ચિત્તાની ઘર વાપસી પર ગ્રહણ લાગી ગયું છે અને બે દિવસમાં ત્રણ બેબી ચિત્તાના મૃત્યુથી પ્રાણીપ્રેમીઓ અને એમાં પણ ખાસ કરીને ચિત્તા લવર્સમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે.
મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ગુરુવારે માદા ચિત્તા જ્વાલાના બે બચ્ચાનું વધારે પડતી ગરમી પડવાને કારણે મૃત્યુ પામ્યા છે. આ અગાઉ મંગળવારે પણ એક બેબી ચિત્તાનું મૃત્યુ થયું હતું. જ્વાલાના ચાર બચ્ચામાંથી ત્રણના મોત થઈ ચુક્યા છે. હવે ફક્ત એક બચ્ચું જીવતું છે અને તેની હાલત પણ ગંભીર છે. આ બેબી ચિત્તાને પણ પાલપુર ચિકિત્સાલયમાં રાખવામાં આવ્યું છે. આમ અત્યાર સુધી બે મહિનાની અંદર અત્યાર સુધીમાં ત્રણ એડલ્ટ અને ત્રણ બેબી ચિત્તાના મૃત્યુ થઈ ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કૂનોમાં માદા ચિત્તા જ્વાલાએ 27મી માર્ચના રોજ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો, પણ બેબી ચિત્તા અહીં અનુભવાતી વધારે પડતી ગરમી, ઓછું વજન અને ડિહાઈડ્રેશનનો શિકાર થઈ ગયા હતા.
મુખ્ય વન સંરક્ષક અધિકારી જેએસ ચૌહાણે બચ્ચાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે માદા ચિત્તાના બચ્ચાનું અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ, પણ દિવસનું તાપમાન 46થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જેના કારણે બચ્ચા હેરાન-પરેશાન થઈ રહ્યા હતા. બે બચ્ચાના નિધન બાદ આજે એક બચ્ચાની હાલત ગંભીર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ચિત્તા 70 વર્ષ પહેલા વિલુપ્ત થઈ ચુક્યા છે. ત્યાર બાદ ચિત્તા પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ જથ્થામાં નામ્બિયાથી 8 ચિત્તાને કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ પર વજા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને પાર્કમાં ખુલ્લા છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ 18મી ફેબ્રુઆરીના દક્ષિણ આફ્રિકાથી વધુ 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. ચાર બચ્ચાના જન્મ બાદ કુલ સંખ્યા 24 થઈ ગઈ હતી. બચ્ચાના જન્મના બે દિવસ બાદ માદા ચિત્તા સાશાનું મોત થઈ હતું. ત્યાર બાદ ચિત્તા ઉદય અને ધીરાનું મૃત્યુ થઈ ગયું હતું અને હવે ત્રણ બચ્ચાના મૃત્યુ બાદ બાદ હવે સંખ્યા 18 પર આવી ગઈ છે.