આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના કાંડુંકુરુ ખાતે તેલુગુ દેશમ પાર્ટી (TDP) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે. આ ઘટનામાં ઘાયલ એક વ્યક્તિનું બુધવારે રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.
વિપક્ષના નેતા એન.ચંદ્રબાબુ નાયડુ 28મી ડિસેમ્બરે બુધવારે રોડ શો કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો નહેરમાં પડી ગયા હતા. રોડ શોમાં ભાગ લેવા માટે TDPના હજારો કાર્યકરો, સમર્થકો અને સ્થાનિક લોકો એકઠા થયા હતા. ચંદ્રાબાબુ નાયડુ સભાને સંબોધિત કરવા આવ્યા ત્યારે કેટલાક લોકોએ ભીડમાં ધક્કો મારવાનું શરૂ કર્યું હતું જોતજોતા નાસભાગ મચી જવા પામી હતી. બચવા માટે કેટલાક લોકોએ નજીકની કેનાલમાં કૂદી પડ્યા હતા. નાસભાગને કારણે અત્યાર સુધીમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. જયારે કેટલાક ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે. તેમણે ટ્વીટ કર્યું, “આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં એક જાહેર સભામાં દુર્ઘટનાના સમાચાર સાંભળીને દુઃખ થયું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. PMNRF તરફથી જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે.”
આ ઘટના બાદ ચંદ્રબાબુ નાયડુએ તરત જ સભા રદ કરી દીધી હતી. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુએ હોસ્પિટલ પહોંચી ઘાયલોને મળ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ 2024માં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેલ્લોરમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા.