Homeઆપણું ગુજરાતરાજકોટમાં ₹ ૨૦૦૦ની નોટની બદલીમાં નકલી નોટ ધાબડવાના કારસાનો પર્દાફાશ

રાજકોટમાં ₹ ૨૦૦૦ની નોટની બદલીમાં નકલી નોટ ધાબડવાના કારસાનો પર્દાફાશ

૨૩.૪૪ લાખની નકલી નોટ સાથે ત્રણ પકડાયાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: રૂ. બે હજારના દરની નોટને ચલણમાંથી પરત ખેંચવામાં આવી રહી છે, અને લોકો બેંકમાં તે નોટ જમા કરાવવા દોડધામ કરી રહ્યા છે ત્યારે આ તકનો લાભ ઉઠાવવા રૂ.૨ હજારના નોટના બદલામાં રૂ.૫૦૦ અને ૧૦૦ની નકલી નોટ છાપવાનું શરૂ કરી અને બજારમાં તેને ધાબડવાનો કારસો રચ્યો હતો, પોલીસે ત્રણ શખ્સને રૂ.૨૩,૪૪,૫૦૦ની નકલી નોટ સાથે રાજકોટમાંથી ઝડપી લીધા હતા અને અગાઉ કેટલા લોકોને નકલીનોટ ધાબડી હતી તે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર દૂધનું પાર્લર ચલાવતા બે શખ્સો પાસે રૂ.૫૦૦ અને રૂ.૧૦૦ના દરની જાલીનોટનો જથ્થો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી. જાડેજા અને એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર.એચ. ઝાલા સહિતની ટીમ ત્યાં દોડી ગઇ હતી. પોલીસે દૂધ પાર્લરમાં હાજર બાલાજીપાર્કમાં રહેતા વિશાલ બાબુ ગઢિયા અને પાટીદાર ચોક પાસેના પામસિટી એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ વસંત બુદ્ધદેવને સકંજામાંલઇ તલાશી લેતા બંને પાસેથી રૂ.૫૦૦ના દરની ૨૦૦ નકલી નોટનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે આ મામલે બંનેની આગવી ઢબે પૂછપરછ કરતાં વિશાલ ગઢિયાએ કેફિયત આપી હતી કે, નકલી નોટનો જથ્થો મોરબી રોડ પરના અમૃતપાર્કમાં રહેતા નિકુંજ અમરશી ભાલોડિયા પાસેથી ખરીદ કરી હતી. આ માહિતી મળતાં જ પીઆઇ જાડેજા સહિતનો કાફલો અમૃતપાર્કમાં દોડી ગયો હતો, નિકુંજ ભાલોડિયાના મકાને પહોંચતા જ પોલીસ ચોંકી ઊઠી હતી, નિકુંજ ભાલોડિયાના ઘરેથી પોલીસને રૂ.૫૦૦ના દરની ૪૪૨૨ તથા રૂ.૧૦૦ના દરની ૩૩૫ નકલી નોટ મળી આવી હતી, પોલીસે નિકુંજ ભાલોડિયાને પણ ત્યાંથી ઉઠાવી લીધો હતો, અને તેના ઘરેથી સ્કેનર, પ્રિન્ટર, કમ્પ્યૂટર સિસ્ટમ અને ૩ મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની આગવીઢબની પૂછપરછમાં નિકુંજ ભાલોડિયા ભાંગી પડ્યો હતો.અને તેણે કબૂલાત આપી હતી કે, પોતે અગાઉ પ્રિન્ટિંગનું કામ કરતો હતો, પરંતુ હાલમાં ધંધો બરોબર ચાલતો નહીં હોવાથી નકલી નોટ બનાવી તેને બજારમાં વહેતી કરવાનો વિચાર આવ્યો હતો, છેલ્લા ત્રણેક મહિનાથી નવી નોટ છાપવાનું શરૂ કર્યું હતું અને વિશાલ ગઢિયાને રૂ.૩૫ હજારના બદલામાં રૂ.૧ લાખની નોટ આપી હતી, વિશાલ ગઢિયા અને વિશાલ બુદ્ધદેવે જાલીનોટ ગ્રાહકોને આપવાનો અગાઉ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં ધારી સફળતા મળી નહોતી. દરમિયાન રૂ.૨ હજારની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવા માટે હાલમાં રૂ.૨ હજારની નોટ બેંકમાં જમા કરાવવાનું શરૂ થતાં રૂ.૨ હજારની નોટના બદલામાં લોકોને રૂ.૫૦૦ અને રૂ.૧૦૦ની નકલી નોટ ધાબડવાનું સહેલું બનતા તેવા વિચાર સાથે જાલીનોટ છાપવાનો ધંધો પૂરપાટ ઝડપે આગળ ધપાવ્યો હતો, જોકે તેમાં સફળતા મળે તે પહેલા પોલીસ આંબી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -