અદાણી હિંડનબર્ગ કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક્સપર્ટ કમિટીની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની અધ્યક્ષતા રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કરશે, એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો છે કે SEBI આ કેસમાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનામાં બાદ તે પોતાનો રિપોર્ટ સોંપશે. મળી રહેલી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે સેબી દ્વારા હિંડનબર્ગ રિપોર્ટ અને માર્કેટ વાયલેશન સહિત બંને આરોપ પર પહેલેથી તપાસ કરાઈ રહી છે, જેથી સેબીની તપાસ ચાલુ રહેશે. SEBIએ 2 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ કેસમાં તપાસ માટે 6 સભ્યોની એક્સપર્ટ કમિટી બનાવી છે અને આ કમિટીમાં રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કેલ ઉપરાંત ઓપી ભટ્ટ, જસ્ટિસ કે પી દેવદત્ત, કેવી કામત, એન નીલકેણી, સોમેશેખર સુંદરેશનનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકી સંસ્થા હિંડનબર્ગે હાલમાં જ ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપ વિશે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો અને આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટમાં હેરાફેરી, એકાઉન્ટમાં ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદથી જ અદાણી ગ્રુપના શેરોનું જબરદસ્ત કડાકો જોવા મળ્યો હતો. જોકે ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપે આ આરોપોને નિરાધાર અને ભ્રામક ગણાવ્યા હતા. તેમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ રિપોર્ટથી જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં આ મામલે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓએ હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસની માંગણી કરી હતી અને હવે આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા હવે આ બાબતની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.