ભારતના લોકોને અભિનંદન
‘ધ કેરળ સ્ટોરી’ની સફળતાથી ઉત્સાહિત, અદાહ શર્માએ સોશિયલ મીડિયા પર જઈને પ્રેક્ષકોને અભિનંદન આપ્યા કે તેમના પ્રયત્નોએ ફિલ્મને આજે જ્યાં છે ત્યાં પહોંચવામાં મદદ કરી છે. અદાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં પડદા પાછળના અને ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક મહત્વના દ્રશ્યોનો સમાવેશ થાય છે.
અદાએ માઉથ પબ્લિસિટી દ્વારા તમામ લોકોને જાગૃત કરવા બદલ ભારતના લોકોનો આભાર માન્યો છે. ભારતીય લોકોનો આ પ્રતિભાવ તેના હૃદયને સ્પર્શી ગયો છે. સામાન્ય લોકોના પ્રયાસોથી જ આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે, એમ અદાએ જણાવ્યું છે.
નોંધનીય છે કે અદા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે અવારનવાર તેના પ્રશંસકો સાથે મનની વાત શેર કરે છે. અદાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે તેને કેટલાક એવા લોકો વિશે પણ જાણવા મળ્યું જેઓ પ. બંગાળમાં ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ હોવાથઈ બસમાં મુસાફરી કરીને આસામ ગયા અને ત્યાંના થિયેટરમાં જઇને આ ફિલ્મ જોઇ. અદાએ આ તમામ લોકોનો આભાર માન્યો છે.
અદાએ વિદેશી ધરતી પર પણ ધ કેરળ સ્ટોરીના શાનદાર પ્રદર્શન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે યુએસએ, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને યુકેના લોકો પણ આ ફિલ્મને વખાણી રહ્યા છે.
આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ જાણે કે લોકો પર જાદુ કરી નાખ્યો હતો. ફિલ્મની ઓપનિંગ શાનદાર રહી હતી. તે પહેલા દિવસથી એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. નાના બજેટમાં બનેલી આ ફિલ્મે 100 પછી 150 અને હવે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ ટ્રેડર્સ ચોંકી ગયા છે અને હવે બધાની નજર આ ફિલ્મના 250 કરોડની ક્લબમાં સામેલ થવા પર છે. કેરળ સ્ટોરી 200 કરોડને પાર કરનારી આ વર્ષની બીજી ફિલ્મ બની છે. 18મા દિવસે, ફિલ્મે શરૂઆતના વલણો અનુસાર 5.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.