મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
કુરાન શરીફ વિશેની માહિતીને ગયા અંકથી આગળ વધારીશું:
* કુરાને પાકમાં ૧૨ જંગો જેમાં પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ્ (સ.અ.વ.) સામેલ હતા તેનો ઝિક્ર (ઉલ્લેખ) છે.
* કુરાને પાકમાં આખરી વહી લખનાર હઝરત ઉબઈ ઈબ્ને કઅબ રદ્યિલ્લાહુતઆલા અન્હો હતા.
* કુરાને પાકમાં વલીદ બિન મુગરાને હરામજાદો કહેલ છે. તેનો ગુનો હઝરત મુહંમદ (સ.અ.વ.)ની શાનમાં ગુસ્તાખીનો હતો.
* મસ્જિદે કિલ્લતૈન તે મસ્જિદ છે જેમાં કિબલા (ખાના-એ-કાબા) બદલવાની આયત નાઝિલ થઈ. અડધી ઝોહર (બપોરે એક-સવ્વા એક વાગ્યે) અદા કરવામાં આવતી નમાઝ બૈતુલ મુકદ્સ અને અડધી નમાઝ ખાન-એ-કા’બા તરફ એક જ સમયમાં પઢવામાં આવી.
* કુરાને પાકમાં ૨૬ અમ્બિયાઓનો (સંદેશવાહકો) ઝિક્ર (ઉલ્લેખ) આ ક્રમ અનુસાર થયેલ છે:
૧. હઝરત આદમ અલયહિસ્સલામ (અ.સ.), ૨. હઝરત ઈદીસ (અ.સ.), ૩. હઝરત નૂહ (અ.સ.), ૪. હઝરત લૂત (અ.સ.), ૫. હઝરત ઈબ્રાહીમ (અ.સ.), ૬. હઝરત ઈસ્માઈલ (અ.સ.), ૭. હઝરત ઈસ્હાક (અ.સ.), ૮. હઝરત યાકૂબ (અ.સ.), ૯. હઝરત યુસૂફ (અ.સ.), ૧૦. હઝરત શૌએબ (અ.સ.), ૧૧. હઝરત મૂસા (અ.સ.), ૧૨. હઝરત હારૂન (અ.સ.), ૧૩. હઝરત યસઅ (અ.સ.), ૧૪. હઝરત ઝુલકિફલ (અ.સ.), ૧૫. હઝરત હૂદ (અ.સ.), ૧૬. હઝરત સ્વાલેહ (અ.સ.), ૧૭. હઝરત દાવૂદ (અ.સ.), ૧૮. હઝરત સુલેમાન (અ.સ.), ૧૯. હઝરત ઐયૂબ (અ.સ.), ૨૦. હઝરત ઈલ્યાસ (અ.સ.), ૨૧. હઝરત યૂનૂસ (અ.સ.), ૨૨. હઝરત ઝકરિયા (અ.સ.), ૨૩. હઝરત યહયા (અ.સ.), ૨૪. હઝરત ઉઝૈર (અ.સ.), ૨૫. હઝરત ઈસા (અ.સ.) અને ૨૬. હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.)
* કુરાને પાકમાં ૧૨ ફરિશ્તાઓનો ઝિક્ર છે:
૧. હઝરત જિબ્રઈલ અલય્હિસ્સલામ (અ.સ.), ૨. હઝરત મિકાઈલ (અ.સ.), ૩. હઝરત હારૂત (અ.સ.) કે જેઓ આસ્માની ફરિશ્તાઓમાંથી છે, ૪. મારૂત (અ.સ.) બે ફરિશ્તા છે, ૫. રઅદ (અ.સ.) જેઓ તસ્બીહ (ઝિક્રે ઈલાહી) અને હમ્દે ઈલાહીમાં મશ્ગૂલ રહે છે, ૬. બર્ક (ચાર મ્હોંવાળા ફરિશ્તા છે), ૭. માલિક (દોજખનો દારોગા છે), ૮. સજલ (આમાલનામા, કર્મ પર મુકર્રર – નિયૂક્ત છે), ૯. કઈદ (બુરાઈઓ લખવા પર મુકર્રર છે), ૧૦. જુલકરનૈન (એક ફરિશ્તાનું નામ છે), ૧૧. રૂહ (એક ફરિશ્તાનું નામ છે. શરીરમાં મોટા છે) અને ૧૨. સકીના (મોમીનોના દિલોને વહેંચણી અને અમલ અર્થાત્ વ્યવહાર, આચરણ, કાર્ય, કામ અદા કરે છે.)
* પવિત્ર કુરાનમાં ૭ કબીલાના નામ આવેલ છે, જે ક્રમવાર આ મુજબ છે:
૧. યાજૂજ, ૨. આદ, ૩, મધ્યન, ૪. રોમ, ૫. માજૂજ, ૬. સમૂદ અને ૭. કુરૈશ.
* કુરાને પાકમાં આવેલ કોમના નામ: કોમે નૂહ, કૌમે તબા, કૌમે ઈબ્રાહીમ, અસ્હાબુ અઈક (કૌમ મધ્યન), અસ્હાબુર્રસ્સ (કૌમે સમુદ), અસ્હાબુલ ઉખદૂદ.
* કુરાને પાકમાં આવેલ બૂતોના નામ: વદદ, સવાઅ, યગૂસ, યઉક, નસર, લાત, ઉજજા, મનાત, અલરજજ, અલ જબત, તાગૂત, અર્રશાદ, બઅલ અને આજર.
* સૌથી પહેલાં કુરાને પાકને કિતાબી શકલ (રૂપ)માં જમા કરાવનાર હઝરત અબૂબક્ર સિદ્કિ રદ્યિલ્લાહોઅન્હો હતા.
* હઝરત ઉસ્માનેગની રદ્યિલ્લાહોઅન્હોને પાંચ અથવા સાત નુસખા તૈયાર કરાવેલ.
* કુરાને પાકમાં પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહેવસલ્લમના ૭ નામો આવેલ છે:
૧. મુહંમદ, ૨. અહમદ, ૩. યાસીન, ૪. મુઝમ્મિલ, ૫. મુદ્સ્સિર, ૬. અબ્દુલ્લાહ અને ૭. તાહા.
* કુરાને પાકની સૂરતો (ભાગો)ને હજજાજ બિન યુસૂફે લખ્યા.
* કુરાને પાકમાં મદ (શબ્દ) અને વકફ (ભલાઈ)ની નિશાની ખલીલ ઈબ્ને અહમદ ફરાએદીએ લગાવી.
* કુરાને પાકમાં ત્રીસ પારા મામૂન અબ્બાસીના સમયમાં અમલમાં આવ્યા. નિસ્ફ રૂબુઅ અને સુલુસ એટલે અડધો ભાગ, પા ભાગ અને પોણો ભાગ મામૂન અબ્બાસીના સમયમાં અમલમાં આવ્યું.
* કુરાને પાકમાં હઝરત ઉસ્માને ગની રદ્યિલ્લાહુ અન્હુ રમઝાન શરીફની નમાઝે તરાવીહ (રમઝાન માસમાં પંચગાના નમાઝ ઉપરાંત વધારાની નમાઝ)માં જેવી રીતે કુરાન શરીફ પઢીને રૂકુઅ (અર્ધનમન) ફરમાવતા તેટલા હિસ્સાને રૂકુઅ કરાર (સંપૂર્ણ નમન) કરવામાં આવ્યું. હાશિયા ઉપર એનની નિશાની લગાવવામાં આવી.
* કુરાને પાક ૨૫ ટકા સૂરએ અન્આમ, ૫૦ ટકા સૂરએ કહફના વલ યતલફ પર, ૭૫ ટકા સૂરએ જુમર ખતમ પર થાય છે અને ૧૦૦ ટકા સૂરએ નાસ પર પૂર્ણ થાય છે.
સુજ્ઞ વાચકો! કુરાને પાકની ૭ મંઝિલ કઈ કઈ છે? આખી રાતમાં એક રકાત (નમાઝનો એક હિસ્સો) આખું કુરાનનું વાંચન પૂર્ણ કરનાર ચાર વ્યક્તિઓ કોણ કોણ હતા? વગેરે માહિતી લેખના આવતા અને છેલ્લા ભાગમાં વાંચીશું અને અત્યંત સંશોધનપૂર્વક તૈયાર કરવામાં આવેલ આ લેખ પરથી કુરાન પાક વિશેની રસપ્રદ માહિતીથી પરિચિત થશું.
– કબીર સી. લાલાણી
***
નસીહત
‘હે લોકો! તમારી પાસે એક એવા પયગંબર (સ.અ.વ.) તશરીફ લાવ્યા છે, જે તમારી જિન્સ (માનવ)માંથી છે કે જેમને તમારા નુકસાનની વાત ઘણી ભારે લાગે છે અને તમારા કલ્યાણ માટે ઘણાં જ આતુર છે.’