પરિવારજનોએ સિવિલ હૉસ્પિટલ ખાતે ભારે હંગામો કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટમાં કથિત લાંચ કેસમાં ઝડપાયેલા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ના અધિકારીએ પૂછપરછ દરમિયાન ઓફિસના ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લેતા ભારે ખળભળાટ મચી ગયો હતો. ૪૪ વર્ષીય અધિકારી જવરીમલ બિશ્નોઈને શુક્રવારે સાંજે સીબીઆઈએ વેપારી પાસે એનઓસી આપવાના બદલામાં રૂ. પાંચ લાખની લાંચ માગવાના ગુનામાં રંગે હાથ ઝડપી લીધા હતા. તેમની ધરપકડ બાદ સીબીઆઈએ આખી રાત તેમની ઓફિસ અને નિવાસસ્થાને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. શનિવારે સવારે પોણા દસ આસપાસ ઓપરેશન પૂરું થવાની તૈયારીમાં હતું ત્યારે અચાનક બિશ્નોઈ બારી તરફ દોડ્યા હતા અને છલાંગ લગાવી દીધી હતી. તેમને ખૂબ ઈજાઓ થઈ હતી અને હૉસ્પિટલ ખાતે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, તેમ સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ ગઈ હતી અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે તેમના મોત અંગે ઘણી શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. તેમના પરિવારજનોએ સિવિલ હૉસ્પિટલ ખાતે ભારે હંગામો કર્યો હતો. તેમના મૃતદેહને સ્વીકારવાનો પણ ઈનકાર કર્યો હતો.
પરિવારજનોના જણાવ્યા અનુસાર તેઓ ખૂબ જ પ્રામાણિક અધિકારી હતા અને તેમના વિરુદ્ધ ખોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે તેમના આપઘાતની ઘટના અંગે પરિવારજનોને સંબંધિત એજન્સીઓ દ્વારા જાણ ન કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ પરિવારજનોએ કર્યો હતો. આ સાથે સવારે અન્ય અધિકારીઓની હાજરીમાં ક્લાસ વનઅધિકારી બિશ્નોઈએ ઓફિસમાંથી આ રીતે મોતની છલાંગ મારતા મામલો ઘણો ગંભીર અને ગૂંચવાયેલો બની ગયો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ ડીજીએફટી જવરીમલ બિશ્નોઇને રૂ. પાંચ લાખની લાંચ લેતા સીબીઆઈ દ્વારા શુક્રવારે સાજે રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદી વેપારી શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે જવરીમલ બિશ્નોઈને રૂપિયા પાંચ લાખ આપવા ગયા હતા. જવરીમલ બિશ્નોઇ દ્વારા એનઓસી આપવા માટે રૂ. નવ લાખની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચના પ્રથમ હપ્તા પેટે રૂ. પાંચ લાખ આપવાનું પણ વેપારીને કહેવાયું હતું. વેપારી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે સીબીઆઈમાં અરજી કરી હતી. જેથી સીબીઆઈએ ગુનો દાખલ કરી લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાંથી પ્રથમ હપ્તા પેટે ફરિયાદી પાંચ લાખ રૂપિયા આપવા પહોંચ્યા હતા. એ જ સમયે જવરીમલ બિશ્નોઇએ આ રકમ કથિત રીતે સ્વીકારતા જ સીબીઆઈની ટીમ પહોંચી ગઈ હતી અને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા અને રૂ. પાંચ લાખની લાંચ લેતા જવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપી પાડ્યા હોવાની માહિતી મળી હતી. સીબીઆઈએ તેમના વતનના ઘરે પણ છાપા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમના પરિવારજનોએ સીબીઆઈ અધિકારી સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. તેમના સામે પણ પગલાં લેવામાં આવશે, તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ઉ