સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આઘાતજનક સમાચાર છે. આસામ સરકાર દ્વારા સુરતમાં ઉત્પાદિત થતી મેખલા ચાદોર સાડી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભારતનું એક રાજ્ય બીજા રાજ્ય ઉપર પ્રતિબંધ મૂકે તેવી કદાચ પ્રથમ ઘટના હશે. કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકારને આ બાબતે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા જણાવ્યું હતું કે આ નિર્ણયને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને રૂ.3000 કરોડથી વધારેનું નુકસાન થઈ શકે છે. પ્રતિબંધના લીધે 5,000 થી પણ વધુ લોકોની રોજગારી ઉપર અસર થઈ શકે છે. આજે આસામે પ્રતિબંધ મૂક્યો કાલે બીજા રાજ્યો પણ આ પ્રકારના નિર્ણય લેશે તો દેશને વ્યાપારિક ક્ષેત્રે મોટું નુકસાન થઈ શકે છે. જ્યારે બન્ને રાજ્યોમાં ભાજપની સરકાર છે તો પણ પ્રતિબંધ?
તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં એક રાજ્ય બીજા રાજ્ય પર વેપાર ધંધા અંગે પ્રતિબંધ મુકે તે કદાચ પેહલી ઘટના હશે. સુરતમાં ઉત્પાદિત મેખલા ચાદોર સાડીઓનું વેચાણ તથા મોટા પ્રમાણમાં રો મટીરીયલ યાર્ન – ઝરી પણ આસામ મોકલવામાં આવે છે. ત્યારે પ્રજાહિતમાં તાત્કાલિક નિર્ણય પાછો ખેંચાઈ તેની માંગ કરીએ છીએ. રાજ્ય કક્ષાના કાપડ પ્રધાન દર્શનાબેન જરદોશ સુરતના સાંસદ હોય ત્યારે મોસાળમાં જમણ હોય અને સુરત ભૂખ્યું રહે તેવી સ્થિતિ બની છે.
વિવિધ ટેકસટાઇલ એસોસિયેશને કાપડ પ્રધાનને રજૂઆત કરી હતી કે સુરત ના વેપારીઓનો કાપડનો માલ અને પૈસા આસામમાં અટવાયા છે અને આગામી દિવસોમાં વેપાર ને મોટું નુકશાન થાય તેવી ચિંતા દર્શાવી હતી.
કોંગ્રેસે કહ્યુકે ભુપેન્દ્રભાઈને ભાજપ મક્કમ મુખ્યપ્રધાન દર્શાવે છે તો મક્કમતાથી આસામ સરકાર જોડે આ નિર્ણય પાછો ખેંચાવડાવે. આમ અલગ અલગ રાજ્યો આ પ્રકારના પ્રતિબંધ લાવશે તો વેપાર કેમ થશે? વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યપ્રધાન તાત્કાલિક આસામના મુખ્યપ્રધાન જોડે વાત કરી સમસ્યાનું નિરાકરણ કરે તેવી માંગ કરીએ છીએ.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફટકો: આ રાજ્યએ મેખલા ચાદોર સાડી પર લગાવ્યો પ્રતિબંધ
RELATED ARTICLES