યાત્રાધામ પાવાગઢના(Pavagadh) જીર્ણોદ્ધાર બાદ ભક્તોની ભીડમાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે ભારે વરસાદ હોવા છતાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી વાદળછાયા ધુમ્મસભર્યા વાતાવરણ અને ભારે વરસાદ(Heavy rain) વચ્ચે ભક્તોની ભીડ થઇ ગઈ હતી. દિવસ દરમિયાન બે લાખથી ભકતો મહાકાળી માંના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. વરસાદ અને પવનને કારણે આવેલ રોપ-વેને સલામતી ખાતર દિવસ દરમ્યાન અનેકવાર બંધ કરવાની ફરજ પડી હતી.

રવિવારે અખો દિવસ માતાજીના દર્શન કરવા મંદિરની બહાર લાંબી લાઈણ જોવા મળી હતી. તંત્રના જણાવ્યા પ્રમાણે રવિવારે બે લાખથી વધુ ભકતો ઊમટી પડ્યા હતા. માચી અને ચાપાનેરના તમામ પાર્કિંગ પ્લોટ ફુલ થઈ ગયા હતા. જેથી હાલોલ-પાવાગઢ રોડ પર વાહનો પાર્ક કરાતા વાહનોની કતારો લાગી હતી.
યાત્રિકોના ભારે ધસારાને લઈને કોઈ અજુગતી ઘટના ટાળવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસના જવાનો વરસતા વરસાદમાં ખડે પગે ઊભા રહી ભીડને કાબુમાં રાખી હતી.
હાલોલ તાલુકામાં શનિવારે મોડી રાતથી જ વરસાદ શરૂ થઇ ગયો હતો. રવિવારે સવરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, સવારના છથી સાત વાગ્યા સુધી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.
વરસાદ વચ્ચે પણ બે લાખથી વધુ ભક્તોએ માંના આશીર્વાદ મેળવ્યા હતા.