વધતી જનસંખ્યાથી આ સમસ્યાનો કરવો પડશે સામનો
સંયુક્ત રાષ્ટ્રસંઘ: દિવસે દિવસ દુનિયાની વસતિમાં વધારો થઈ રહ્યો છે, જે પૈકી આજે દુનિયાની વસતિ સંખ્યા આઠ અબજે પહોંચશે, જ્યારે ૨૦૨૩ સુધીમાં ૮.૫ અબજ અને ૨૦૫૦ સુધીમાં ૯.૭ અબજ થઈ શકે છે, એમ સંયુક્તરાષ્ટ્ર સંઘ (યુએન)એ તેના એક અહેવાલમાં જણાવ્યું હતું.
દુનિયાની વસતિમાં વધારો થયો એ એક માઈલસ્ટોન છે. દુનિયામાં વસતિમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેમાં આગામી ૨૦૮૦ સુધીમાં તો દસ અબજને પણ પાર કરી શકે છે, એમ સંયુક્ત રાષ્ટ્રસંઘના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું.
વિશ્ર્વની વધતી જનસંખ્યા મુદ્દે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી હતી. વધતી વસતિને કારણે પર્યાપ્ત ભોજન સંબંધિત સમસ્યાનું સંકટ ઊભું થઈ શકે છે? આગામી વર્ષોમાં જો કોઈ મહામારીનું સંકટ પણ ઊભું થયું તો તેને કઈ રીતે પહોંચી શકાશે? હાઈ બી. પી. (બ્લડપ્રેશર)વાળા લાખો લોકોનું ગરમીમાં શું થશે? દુકાળ જેવી પરિસ્થિતિમાં પણ પીવાના પાણી મુદ્દે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, એવી નિષ્ણાતોએ સવાલો કર્યા હતા.
વધતી વસતિને કારણે ક્લાયમેટ ચેન્જ તથા તેના સંબંધિત બીમારીમાં વધારો થશે. તાપમાનમાં વધારો થવાને કારણે હૃદય અને શ્ર્વાસોશ્ર્વાસ સંબંધિત બીમારીમાં વધારો થઈ શકે છે. એના સિવાય ખાદ્ય અને જળ સુરક્ષા સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે, જ્યારે વધતા પ્રદૂષણને કારણે અન્ય બીમારીનું પ્રમાણ વધશે, એવી નિષ્ણાતોએ ચેતવણી આપી હતી.
હાલમાં સૌથી વધુ વસતિ ચીનની છે, જ્યારે ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. ભારતની વધતી વસતિને કારણે આગામી વર્ષ ૨૦૨૩ સુધીમાં ચીનને પણ પાછળ રાખી શકે છે. ભારત સિવાય અમેરિકા, ઈન્ડોનેશિયા અને રશિયામાં પણ વધતી વસતિની બાબત ચિંતાજનક છે, એવી સંયુક્ત રાષ્ટ્રસંઘે ચિંતા સેવી હતી. ઉલ્લેખનીય છે કે ૧૮૦૪માં દુનિયાની એક અબજ વસતિ હતી, ત્યાર બાદ ૧૯૨૭ બે અબજ હતી, ત્યાર બાદ ૨૦૧૧માં સાત અબજને પાર થઈ હતી.