મહામારી સમયે ઘરબેઠા કામ કરવાની સુવિધા ન હોત કે ઈન્ટરનેટ ન હોત તો શું થયું હોત તે વિચારવું પણ શક્ય નથી. જે લોકોએ પહેલા ઓફિસે જઈને કામ કર્યુ છે અને પછી વર્ક ફ્રોમ હોમ સિસ્ટમમાં શિફ્ટ થયા છે તેમની વાત અલગ છે, પરંતુ એક એવો મોટો વર્ગ પણ છે જેમના ઈન્ટરવ્યુથી માંડી તમામ કામ ઘરે બેઠા થયા છે અને તેમને ઓફિસ કલ્ચરનો અનુભવ જ નથી. આ બધા હવે ફરી ઓફિસ આવતા થયા છે, પરંતુ વર્ક કલ્ચર આખું બદલાઈ ગયું છે અને પહેલા જેવું રસપ્રદ, મૈત્રીપૂર્ણ વાતાવરણ રહ્યું નથી. આ સાથે જે લર્નિગ એક્સપિરિયન્સ મળવો જોઈએ તે મળતો નથી.
રિમોટ વર્કિંગ ભલે સુવિધાઓ લઈને આવ્યું હોય, પણ સાથે સાથે વર્ક કલ્ચરમાં અમુક પ્રકારની નકારાત્મકતા કે માનવમૂલ્યોની ઉણપ આવી છે. આ અંગે થયેલા અમુક સંશોધનો આમ જણાવી રહ્યા છે. એક સંશોધન અનુસાર ટોક્સિક કલ્ચરના અલગ અલગ અણસાર આવી રહ્યા છે. જેમાં બોલવા કે અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર કાતર મૂકવામા આવતી હોવાનુ અને પ્રયોગો કરવાનો અવકાશ ન મળતો હોવાનું જણાયું છે. સંવાદીતા ન જળવાતી હોવાનું, જેઓ અસુરક્ષિતતા અનુભવે છે તેમની માટે માઈક્રોમેનેજમેન્ટ ન થતું હોવાનું, એકબીજા પર ભરોસાનો અભાવ, એકબીજા પરત્વે માન-સન્માનનો અભાવ, નૈતિકમૂલ્યોનો અભાવ, અલગ અલગ પ્રતિભાને એક છત નીચે લાવવા વગેરે ઘણું થતું નથી.
આવું જે પણ સંસ્થામા જોવા મળે છે, તેમણે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. કામ કરતા તમામ કર્મચારીઓનું સન્માન જળવાઈ, તેમની પ્રતિભાઓનો યોગ્ય ઉપયોગ થાય, તેમને સતત માર્ગદર્શન મળતું રહે, તેમના મંતવ્યો લેવામાં આવે, તેમને અભિવ્યક્તિ માટેનો અવકાશ આપવામા આવે વગેરે જેવા ઉપાયો લાગુ કરવા જોઈએ, તેમ નિષ્ણાતો જણાવે છે.