બહુચર્ચિત શ્રદ્ધા હત્યા કેસની તપાસ કરતા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર શરૂઆતમાં આરોપી આફતાબે પોલીસને ગેરમાર્ગે દોરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો અને એમાં તે સફળ પણ રહ્યો હતો, પરંતુ હવે પોલીસે તેની સામે કડકાઇ શરૂ કરતા તે ભાંગી પડ્યો છે અને તેણે પોલીસને કેટલીક અહમ માહિતી આપી છે, જે કેસને મજબુત બનાવશે.
પોલીસે આરોપી આફતાબ અમીન પૂનાવાલાના કહેવા પર કાળી પોલિથીન બેગ કબજે કરી છે. પોલીસનો દાવો છે કે આ બ્લેક પોલિથીન બેગ આ સમગ્ર હત્યા કેસનો ભેદ ઉકેલી શકે છે. પોલીસે આ કાળી પોલીથીન ફોરેન્સિક લેબમાં મોકલી આપી છે. આ સિવાય પોલીસે આરોપી આફતાબના કહેવા પર કેટલાક કપડાં પણ કબજે કર્યા છે. પોલીસને આશા છે કે આ કપડાં પર ચોક્કસપણે લોહીના છાંટા જોવા મળશે, જે આ કેસને મજબૂત બનાવવામાં મદદ કરશે. આ ઉપરાંત આરોપીના કહેવાથી હથિયાર જેવી વસ્તુ પણ મળી આવી છે. પોલીસને શંકા છે કે આ હથિયારનો ઉપયોગ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરવા માટે કરવામાં આવ્યો હોઇ શકે છે.
આરોપી આફતાબે મૃત શ્રદ્ધાના શરીરના ટૂકડા કર્યા ત્યારે લોહીને સાફ કરવા એસિડનો ઉપયોગ કર્યો હતો. તેણે ઇન્ટરનેટ પર લોહી સાફ કરવાની પદ્ધતિ શીખી હતી. ફોરેન્સિક ટીમે આશંકા વ્યક્ત કરી છે કે આરોપીના કપડા પર લોહીના કેટલાક છાંટા પડ્યા હશે. ભલે ગમે તેટલી સફાઈ કરવામાં આવે, તેમના પર લોહીના નિશાન ચોક્કસપણે જોવા મળશે. હાલમાં પોલીસે ઘરમાંથી મળેલા ઘણા કપડા અને વસ્તુઓ પોતાના કબજામાં લઈ લીધી છે અને ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી આપી છે.
પોલીસ મહેરૌલીના જંગલમાં બે-ત્રણ વાર જઇ આવી છે. મહેરૌલીના જંગલોમાં સર્ચ ઓપરેશન દરમિયાન અનેક પ્રકારના હાડકાં મળી આવ્યા છે. જોકે, હજુ સુધી પોલીસ આ હાડકા કોના છે તે સ્પષ્ટ કરી શકી નથી.
પોલીસ દિલ્હીના છતરપુર વિસ્તારમાં શ્રદ્ધા હત્યા કેસના મુખ્ય આરોપી આફતાબ અમીન પૂનાવાલાને ભાડે આપેલા ફ્લેટના પાણીના બિલમાં વધારાની તપાસ કરે તેવી પણ શક્યતા છે.
આફતાબ અને શ્રદ્ધા લગભગ ત્રણ વર્ષ પહેલા બમ્બલ નામની ડેટિંગ એપ પર મળ્યા હતા અને આ વર્ષે મે મહિનામાં તેઓ દિલ્હી ગયા હતા. આ કપલ અગાઉ મુંબઈ નજીક તેમના વતન વસઈમાં સાથે રહેતું હતું. બંનેના અનેક મુદ્દા પર ઝઘડા થતા હતા. 18 મેના રોજ પણ ખર્ચ બાબતે તેમનો ઝઘડો થયો અને આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવી દીધું. ત્યારપછી તેણે તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા અને અંગોને સાફ કરીને પોલલિથીન બેગમાં ભરીને ફ્રીજમાં મૂકી દીધા. ત્યાર બાદ રોજ રાતે મહેરૌલીના જંગલમાં જઇને એક એક કરીને તેણે મૃતક શ્રદ્ધાના શરીરના અંગોનો નિકાલ કર્યો હતો.