એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બચ્યા છે અને ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યાં કૉંગ્રેસને બહુ મોટો આંચકો મળી ગયો. ગુજરાતમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત વિધાનસભામાં સતત ૧૦ ટર્મ સુધી ધારાસભ્ય રહેલા છોટાઉદેપુર બેઠકના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કૉંગ્રેસને કાયમ માટે રામ રામ કરી દીધા. મોહનસિંહ રાઠવાએ એકાએક કૉંગ્રેસને અલવિદા કરી ભાજપની ટોપી પહેરીને સૌને હતપ્રભ કરી નાંખ્યા છે.
રાઠવાએ કૉંગ્રેસીઓને તો આંચકો આપ્યો જ છે પણ રાજકારણની સામાન્ય સમજ ધરાવતા લોકોને પણ આંચકો આપી દીધો છે કેમ કે છેલ્લાં પાંચ દાયકાથી વિધાનસભામાં ચૂંટાતા મોહનસિંહ રાઠવા કૉંગ્રેસ છોડશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. ૧૯૭૨થી સતત ૧૧ ટર્મ સુધી ચૂંટણી લડીને ૧૦ વખત જીતનારા મોહનસિંહ રાઠવાએ કૉંગ્રેસનો અત્યંત ખરાબ સમય પણ જોયો. છેલ્લાં ૨૭ વર્ષથી કૉંગ્રેસ ગુજરાતમાં જીતતી નથી એ જોતાં રાઠવા બહુ પહેલાં કૉંગ્રેસ છોડીને જઈ શક્યા હોત પણ તેમણે કૉંગ્રેસમાં જ રહેવાનું પસંદ કર્યું. તેના કારણે મોહનસિંહ કૉંગ્રેસમાંથી જાય એવું કોઈ વિચારી પણ નહોતું શકતું તેથી આ નિર્ણય ચોંકાવનારો છે જ.
જો કે રાઠવાની વિદાય અંગે એક વાત યાદ રાખવા જેવી છે. મોટા ભાગનાં લોકો માને છે કે, રાઠવા ચુસ્ત કૉંગ્રેસી છે પણ આ માન્યતા ખોટી છે. રાઠવા કૉંગ્રેસી તો બહુ પછી બન્યા. તેમણે રાજકીય કારકિર્દી સંસ્થા કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે શરૂ કરેલી ને પછી જનતા પાર્ટીમાં ગયા હતા. જનતા પાર્ટી જનતા દળમાં ભળી પછી જનતા દળમાં ગયા ને જનતા દળનું કૉંગ્રેસમાં વિલીનીકરણ થઈ જતાં કૉંગ્રેસમાં આવ્યા.
રાઠવાની વિદાય માટે તેમનો પુત્રપ્રેમ કારણભૂત મનાય છે. મોહનસિંહ રાઠવા પોતાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને રાજકારણમાં સેટ કરવા લાંબા સમયથી મથ્યા કરે છે પણ મેળ પડતો નથી કેમ કે મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટામાં બીજા નેતા મોહનસિંહને ફાવવા દેતા નથી. મોહનસિંહને સુખરામ રાઠવા અને નારણભાઈ રાઠવા બીજા બે રાઠવાઓ સાથે રાજકીય હરીફાઈ ચાલે છે. વરસો લગી મોહનસિંહ અને નારણભાઈ રાઠવાનો કૉંગ્રેસમાં દબદબો હતો પણ હવે સુખરામ રાઠવાનો દબદબો છે તેથી પોતે આ જંગમાં નહીં ફાવે એવું લાગતાં છેવટે મોહનસિંહે કૉંગ્રેસને રામ રામ કરી દીધા.
આ ત્રણેય રાઠવા છોટાઉદેપુર જિલ્લાના છે. આ પૈકી પોતાનાં વળતાં પાણી થવા માંડતાં મોહનસિંહ રાઠવા અને નારણસિંહ રાઠવા પોતાના દીકરાઓને થાળે પાડવા માગે છે તેથી પોતપોતાના પુત્રોને ટિકિટ મળે એવી ઈચ્છા છે. મજાની વાત એ છે કે, બંનેને છોટા ઉદેપુર જ જોઈએ છે. કૉંગ્રેસે પહેલાં મોહનસિંહને વિધાનસભા અને નારણભાઈને લોકસભામાં મોકલીને ઝઘડો શાંત પાડેલો પણ મોદીના પ્રભાવમાં ગુજરાતમાં કૉંગ્રેસ લોકસભામાં જીતતી નથી તેથી નારણભાઈ નવરા થઈ ગયા. નારણભાઈને શાંત પાડવા કૉંગ્રેસે લરાજ્યસભામાં મોકલ્યા હતા.
નારણસિંહ રાઠવા હાલ રાજ્યસભાના સાંસદ છે પણ તેમનો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૨૩માં પૂરો થઈ રહ્યો છે. પોતાનો સમય પતે એ પહેલાં નારણભાઈ દીકરા સંગ્રામસિંહ રાઠવાને ઠેકાણે પાડવા માગે છે. મોહનસિંહ રાઠવાએ પણ જ જાહેર કરી દીધું હતું કે, હવે પોતાના પુત્ર રાજેન્દ્રસિંહને છોટાઉદેપુરથી વિધાનસભા માટે લડાવવા માગે છે. નારણસિંહ રાઠવા અને મોહનસિંહ રાઠવા બન્ને પોતાના પુત્રને છોટાઉદેપુરથી ટિકિટ અપાવવા માગે છે પણ સુખરામ રાઠવા બંનેનાં પત્તાં કાપવા બેઠા છે તેમાં મોહનસિંહની ધીરજ ખૂટી ગઈ. મજાની વાત એ છે કે, સુખરામ અને મોહનસિંહ વેવાઈ છે.
નારણસિંહ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામસિંહ માટે છોટાઉદેપુરથી ટિકિટ માગી છે જ્યારે મોહનસિંહના પુત્રને પાવી જેતપુરથી ટિકિટ આપવાની તરફેણ કરી હતી. હાલ પાવી જેતપુરથી સુખરામસિંહ રાઠવા ધારાસભ્ય છે. મોહનસિંહના પુત્ર રાજેન્દ્રસિંહ સુખરામસિંહના જમાઈ છે તેથી જમાઈને ખાતર સુખરામ રાઠવા બેઠક ખાલી કરી આપે એવો મમરો નારણભાઈએ મૂકેલો. સુખરામ રાઠવા તૈયાર નહોતા તેથી મોહનસિંહે કૉંગ્રેસને રામ રામ કરી દીધા.
મોહનસિંહના આગમનથી ભાજપની આદિવાસી પટ્ટામાં તાકાત વધી છે તેમાં બેમત નથી કેમ કે મોહનસિંહ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે. મોહનસિંહની રાજકીય કારકિર્દી સાડા પાંચ દાયકા જૂની છે. ૧૯૬૫ની સાલમાં સટુન જૂથ ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં વિજય મેળવીને પોતાની ઝળહળતી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા મોહનસિંહે પંચમહાલ જીલ્લામાં સર્વોદય યોજનાના કાર્યકર તરીકે કામ કરેલું. સર્વોદય યોજના અંતર્ગત ગામડે ગામડે ફરીને મફત સાંકળ, મફત કૂવા બનાવી આપવાનું કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી. મોહનસિંહે સિંચાઈને લગતા ચામડાના કોસ પણ મફતમાં આપ્યા હતા. આ વિસ્તારમાં સહકારી પ્રવૃત્તિનો પાયો પણ મોહનસિંહ નાંખેલો.
મોહનસિંહ ૧૯૭૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાવી જેતપુર બેઠક પર લડ્યા હતા ને જીત્યા હતા. ૧૯૭૪ના નવનિર્માણ આંદોલન પછી ૧૯૭૫માં ફરી વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે કિસાન મઝદૂર લોક પક્ષ (કીમલોપ)ની સ્થાપના કરી હતી.
ચીમનભાઈ પટેલ જેતપુર વિધાનસભા મત વિસ્તારમાંથી સંસ્થા કૉંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા સામે લડ્યા હતા. આ ચૂંટણીમાં મોહનસિંહ રાઠવાએ ચીમનભાઈ પટેલને પચીસ હજાર જેટલા જંગી મતોથી હરાવીને હાહાકાર મચાવી દીધો હતો. મોહનસિંહના આ પરાક્રમના કારણે બાબુભાઇ જશભાઈ પટેલની સરકારમાં મોહનસિંહ રાઠવાને કેબિનેટ કક્ષાના મત્સ્યોધ્યોગ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. રાઠવાએ એ પછી પાછું વળીને જોયું નથી. રાઠવા ૨૦૦૨માં હિંદુત્વની લહેર વખતે હાર્યા હતા પણ પછી ભવ્ય પુનરાગમન કરીને ત્રણ વાર જીત્યા છે.
મોહનસિંહ રાઠવા ૧૯૯૫થી કૉંગ્રેસની ટિકિટ પર જીત્યા છે. ૨૦૦૨માં ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા બાદ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના નવાસવા વેચાત બારીયાની સામે હારી ગયા હતા. એ વખતે મોહનસિંહે ૩૦ વર્ષ બાદ પહેલી વખત વિધાનસભામાં હારનો સ્વાદ ચાખ્યો હતો પણ ૨૦૦૭માં ફરીથી કૉંગ્રેસનાં ઉમેદવાર તરીકે જીત્યા.
મોહનસિંહ રાઠવા ખર્યું પાન છે એવું ઘણ માને છે પણ તેમની લાંબી રાજકીય કારકિર્દી જોતાં ભાજપને ફાયદો કરાવશે તેમાં શંકા નથી. કૉંગ્રેસને તો તેમની વિદાયથી નુકસાન છે જ એ કહેવાની જરૂર નથી. કમનસીબે કૉંગ્રેસને આ વાત સમજાતી નથી તેથી જ એક પછી એક નેતા જઈ રહ્યા છે.