Homeઉત્સવનિક્સન-રેગનના ડ્રગ્સ સામેના યુદ્ધને બહુમતી કાળા અમેરિકનો રંગભેદ તરીકે કેમ જોતા હતા?

નિક્સન-રેગનના ડ્રગ્સ સામેના યુદ્ધને બહુમતી કાળા અમેરિકનો રંગભેદ તરીકે કેમ જોતા હતા?

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

જાઝ સંગીત, પશ્ર્ચિમના સંગીતનો એક અતિ લોકપ્રિય પ્રકાર છે. યુ.એસ.એ.માં ૧૯૨૦ અને ૩૦ના દાયકામાં જાઝ સંગીતની લોકપ્રિયતાનો આરંભ થયો. જાઝની ઝડપી રીધમને કારણે અમેરિકાના યુવાન-યુવતીઓ જાઝ વગાડતા બેન્ડ પાછળ દીવાના થયાં. જાઝના બેન્ડમાં મોટાભાગના સંગીતકારો – ગાયકો આફ્રિકન અમેરિકન હતા. આપણે જેમને ‘નિગ્રો’ તરીકે ઓળખીએ છીએ તેમને અમેરિકામાં આફ્રિકન અમેરિકન કહેવામાં આવે છે. અમેરિકા રહેતા આપણા એન.આર.આઇ. ગુજરાતીઓ એમને ‘કાળિયા’ કે ‘કાળા’ કહે છે. આફ્રિકન અમેરિકનોને જાઝ સંગીતનું કુદરતી વરદાન હતું. સાથે સાથે જાઝ સંગીત વગાડનારાઓમાંથી મોટા ભાગના મારીજુઆના, વીડ, હસીસ, પોટ… એટલે કે ગાંજો ફૂંકવાના આદતી હતા. પેરીસમાં જન્મીને નોબલ પ્રાઇઝ જીતનારા ડો. ચાર્લ્સ રીચેટે ૧૮૮૭માં કહ્યું કે “હસીસ ઉર્ફે ગાંજાનો કસ લેવાથી સમયકાળ અનંત થઈ જાય છે. સર્જનાત્મકતા વધે છે અને કેટલીક ક્ષણો પસાર થઈ હોય તો પણ જાણે વર્ષો પસાર થયા હોય એવી અનુભૂતિ થાય છે. એ સમયે પણ ફ્રાન્સના કળાકારોમાં ગાંજો પીવાનું ફેશનેબલ ગણાતું. ૧૮મી સદીના અંતમાં નેપોલિયને ઇજિપ્ત જીતી લીધા પછી ફ્રાન્સના લોકો પહેલી વખત ગાંજાના છોડના સંપર્કમાં આવ્યા. એ વખતે ફ્રાન્સના ઘણા વૈજ્ઞાનિકો દર્દીઓને સારવાર માટે હસીસ આપતા હતા.
લગભગ ૩૦ વર્ષ પછી અમેરિકાના જાઝ સંગીતકારો પણ ગાંજાનો ઉપયોગ કરતા થયા એનું મુખ્ય કારણ એ હતું કે ગાંજો ફૂંક્યા પછી તેઓ વધુ સ્ફૂર્તિથી અને વધુ ઝડપથી સંગીત વગાડી શકતા હતા. એ વખતે એવું મનાતું હતું કે કાગળ પર દોરેલા સંગીતના શબ્દો કરતાં વધુ સર્જનાત્મક સંગીત સર્જવા માટે ગાંજાનું સેવન જરૂરી છે.
અમેરિકાની બહુમતી ગોરી પ્રજાને એમના યુવાન સંતાનો જાઝ સંગીત સાંભળવા કલબમાં જાય એ ગમતું નહીં. એવું મનાતું કે કાળી પ્રજાના જાઝ સંગીતથી અભિભૂત થઈને ગોરી છોકરીઓ એમના પ્રેમમાં પડી શકે છે જે વડીલોને મંજૂર નહોતું. ધીમે ધીમે વાત પ્રસરવા માંડી કે જાઝનો દરેક સંગીતકાર ગાંજાનું સેવન કરે છે એટલે અમેરિકાની સરકાર સચેત થઈ. ફેડરલ બ્યુરો ઓફ નારકોટીક્સ (એફબીએન)ના વડા તરીકે એક વિચિત્ર અને કડક અધિકારી એનસ લીંગરની નિમણૂક કરવામાં આવી. એમને ડ્રગ એન્ફોર્સમેન એડમિનીસ્ટ્રેશન (ડીઇએ)નો હવાલો પણ આપવામાં આવ્યો. ૧૯૩૭નો મારીજુઆના એક્ટ બનાવીને એમણે પહેલી વખત ગાંજા પર પ્રતિબંધ મૂકયો. ગાંજાનો ઉપયોગ કરનારાઓ માટે ફોજદારી કલમો નક્કી કરવામાં આવી. વિશ્ર્વ વિખ્યાત જાઝ સંગીતકાર મેઝ મીઝરો પણ સંગીતના દરેક શો પહેલા પુષ્કળ દારૂ પીતા અને ગાંજો ફૂંકતા. એમના સંગીતના એક એક તાલે યુવક અને યુવતીઓ ઝૂમી ઉઠતા. આધુનિક જાઝના બીજા એક ખ્યાતનામ સંગીતકાર લૂઇસ આર્મસ્ટોંગે એમના બાયોગ્રાફરને કહ્યું હતું કે, કઈ રીતે એક વખત ચાલુ શોમાંથી પોલીસે ગાંજો પીવા બદલ એમની ધરપકડ કરી હતી. ધરપકડ કરનાર ડિટેક્ટીવ લૂઇસ આર્મસ્ટોંગનો મોટો ચાહક હતો. ૯ દિવસ જેલમાં રહ્યા પછી આર્મસ્ટોંગને જ્યારે છોડવામાં આવ્યા ત્યારે ડિટેક્ટીવને એ વાતનું દુ:ખ હતું કે હવે કદાચ એ ભવિષ્યમાં આર્મસ્ટોંગને નહીં મળી શકે!
બીજી તરફ એનસ લીંગરને ખ્યાલ આવવા માડ્યો હતો કે ગાંજાનો સૌથી વધુ ઉપયોગ જાઝના સંગીતકારો કરે છે. એણે એક પછી એક સંગીતકારોની ધરપકડ કરવા માંડી. કેટલાક અમેરિકનોએ એવું સ્ટેન્ડ લીધું કે ફક્ત કાળા સંગીતકારોની જ ધરપકડ કેમ કરવામાં આવે છે? પછીનાં વર્ષોમાં અને આજ સુધી ઘણા અમેરિકનોનું માનવું છે કે મારીજુઆના ઉર્ફે ગાંજાનું સેવન અમેરિકામાં બ્લેક લોકો વધુ કરે છે જ્યારે હેરોઇન કે કોક જેવા નશીલા પર્દાથોનું સેવન ગોરા લોકો વધુ કરે છે. અમેરિકાના સત્તાધીશો એમના રંગભેદની નીતિને કારણે કાયદાનો દૂરઉપયોગ કરી ડ્રગ્સને મામલે કાળા લોકોની ધરપકડ વધુ કરે છે. અમેરિકાના પ્રમુખપદે આવેલા રોનાલ્ડ રેગન અને નિક્સને અમેરિકાના શત્રુ નંબર ૧ તરીકે મારીજુઆના એટલે કે ગાંજાને ગણાવ્યો હતો. અમેરિકાના પ્રોગ્રેસિવ લોકોનું માનવું છે કે એક તરફ કોકેઇન કે હેરોઇન જેવા નશીલા દ્રવ્યો વ્યક્તિને બંધાણી બનાવી, એનો સર્વનાશ કરે છે, બીજી તરફ ગાંજા જેવા પ્રદાર્થનું બંધાણ થતું નથી અને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો નુકસાનકારક પણ નથી. તો પછી ફક્ત ગાંજાના વપરાશ સામે જ વાંધો કેમ? નિક્સન અને રેગનના ડ્રગ્સ સામેના યુદ્ધને બહુમતી કાળા અમેરિકનો રંગભેદ તરીકે જોતા હતા.
જાઝ સંગીતકારોની લોકપ્રિયતા તોડી પાડવા માટે ગાંજાના પ્રતિબંધનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. આમ છતાં એમને સફળતા મળી નહીં. ગોરા અમેરિકન યુવાન-યુવતીઓનો જાઝ સંગીત પ્રત્યેનો પ્રેમ અકબંધ જ રહ્યો. એમ કહેવાય છે કે અમેરિકાના પ્રમુખ અખબારોમાં સત્તાધીશો એવા સમાચાર પ્લાન્ટ કરાવતા હતા કે જેને કારણે ગાંજો વેચનાર કે ખરીદનારની સામે લેવાતા આત્યન્તીક પગલાને ન્યાયી ઠરાવી શકાય. ‘ગાંજો પીવાથી એક જ કુટુંબના ત્રણ સભ્યો પાગલ થઈ ગયા’, ‘ગાંજો પીને પાગલ થયેલી માતાએ એના બાળકની હત્યા કરી’… જેવા હેડિંગ, અખબારોમાં નિયમીત દેખાવા માંડ્યા. શું ગાંજાના મર્યાદિત સેવનથી પણ પાગલપણું આવી શકે? આ સવાલનો ચોક્કસ જવાબ અમેરિકન વૈજ્ઞાનિકો આપી શકતા નથી. જોકે જાણીતા મનોવૈજ્ઞાનિક અને નશાના બંધાણીઓને સુધારવાનો પ્રયત્ન કરી રહેલા ડો. મુકુલ ચોકસીનું કહેવું છે કે એમની પાસે એવા ઘણા કિસ્સા આવ્યા છે કે જેઓ સ્કિઝોફેનિયા (એક પ્રકારની માનસિક બીમારી)નો ભોગ બન્યા હોય એમાંથી કેટલીક વ્યક્તિઓએ ભૂતકાળમાં ગાંજાનું સેવન કર્યું હતું. જોકે એનાથી એવી ધારણા બાંધી લેવાય નહીં કે ગાંજાના સેવનથી ગાંડપણ આવે જ છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી વિશ્ર્વના સુધરેલા દેશોમાં એક લોબી એવું આંદોલન ચલાવી રહી હતી કે જો ગાંજા કે મારીજુઆનાને કાયદેસર બનાવી દેવામાં આવે અથવા તો એનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવાની છૂટ આપવામાં આવે તો ડ્રગ માફિયાઓની પકડ ઢીલી પડે. ૨૦૧૮ થી યુએસએ (યુનાઇટેડ સ્ટેટ) અમેરિકાનાં ઘણાં રાજ્યોએ કાયદામાં ફેરફાર કરીને ગાંજાના વેચાણ કે ખરીદ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. કેટલાંક રાજ્યોએ ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન હોય તો ગાંજાના વેચાણની છૂટ આપી છે. અમેરિકાના જે રાજ્યમાં ગાંજાના વેચાણની છૂટ આપવામાં આવી છે ત્યાં તો ગાંજાના કેટલાક બંધાણીઓએ હવે એમના નાનકડા વાડામાં જ ગાંજાના છોડવાઓ રોપીને એની નિકાસ કરી કમાણી કરવાનું ચાલુ પણ કરી દીધું છે. થોડાં વર્ષોમાં આપણા દેશમાં પણ કદાચ મેડિકલ યૂઝ માટે ગાંજાના મર્યાદિત વેચાણને છૂટ અપાય તો નવાઈ નહીં!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -