(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મહારાષ્ટ્રમાં તત્કાલીન મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર સામે બળવો કરીને નવી સરકાર ગઠન કરવામાં આવ્યા પછી મેટ્રોના વિવિધ પેન્ડિંગ પ્રોજેક્ટને વેગ આપવામાં વર્તમાન સરકાર કમર કસી રહી છે ત્યારે હવે રેલવેના પ્રોજેક્ટને ગતિ આપવા માટે સંપૂર્ણ સહકાર આપવાની મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે ખાતરી આપી હતી.
મુંબઈ મેટ્રો પોલિટન રિજન (એમએમઆર) ખાસ કરીને જાહેર પરિવહનની સ્થિતિ સુધારવા માટે રેલવે પ્રશાસન અને મહારાષ્ટ્ર સરકારે એમયુટીપી (મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ)નું નિર્માણ કર્યું હતું. મુંબઈ સબર્બન રેલવેમાં તો ખાસ કરીને એમયુટીપી-વન, એમયુટીપી-ટૂ અને એમયુટીપી-થ્રી પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવ્યો છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ હજુ પણ પેન્ડિંગ છે, તેથી તેને ઝડપથી પૂરા કરવા માટે સંપૂર્ણ સહકાર આપવામાં આવશે, એમ અહીં આયોજિત કોન્ફરન્સને સંબોધતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
મુંબઈ સબર્બન રેલવેના વિવિધ પેન્ડિંગ પ્રોજેક્ટ અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં સમીક્ષા કરવામાં આવી હતી. અહીંની મીટિંગમાં એમઆરવીસી (મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન)ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે વિવિધ પેન્ડિંગ પ્રોજેક્ટ સંબંધમાં જેમ કે જમીન સંપાદન, પુનર્વસન સહિત આર્થિક ભાગીદારી વગેરે મુદ્દે પ્રાથિમકતા આપવામાં આવશે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું હતું કે પેન્ડિંગ પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે, જે આગામી દિવસોમાં નવી ડેડલાઈન પ્રમાણે પૂરા કરવાનો પ્રયાસ કરવામાં આવશે. એમએમઆરડીએ અને અન્ય સંસ્થાઓની નાણાકીય અને કરાર સંબંધિત બાબતો પર સમયસર પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. રેલવેની જમીન પરના અતિક્રમણો અને ઝૂંપડપટ્ટીઓ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે ઘણા બધા પ્રોજેક્ટ્સમાં અવરોધરૂપ હતા. જો તેમના પુનર્વસન માટે એસઆરએ સાથે સંકલન આયોજન વ્યવસ્થા લાગુ કરવામાં આવે તો રેલવે માટે મોટી માત્રામાં જમીન ઉપલબ્ધ થશે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ મુદ્દે પણ રાજ્ય સરકાર જરુરી સહકાર આપશે. અલબત્ત, પેન્ડિંગ પ્રોજેક્ટને ઝડપથી અને સમયસર પૂરા કરવા માટે એમએમઆરડીએ પણ અન્ય એજન્સી સાથે સહયોગ સાધવો જોઈએ.