વિશેષ – અભિમન્યુ મોદી
થાઈરૉઈડને કોણ ન ઓળખે? બધા પરિચિત પણ એનું ગુજરાતી શું થાય એ ખ્યાલ છે? થાઇરૉઇડને ગલગ્રંથિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ગલગ્રંથિ એરકન્ડિશનની જેમ કામ કરે છે. જ્યારે શરીરની મેટાબોલિક ક્રિયાઓ વધારે કામ કરતી હોય છે ત્યારે આ અંત:સ્રાવ શરીરમાં ઓછા થાય છે ત્યારે તેમની ક્રિયાઓનું સંતુલન તથા પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય આ અંત:સ્રાવ ગલગ્રંથિ થાઇરૉઇડ કરે છે. ટુંકમાં શરીરના સંતુલિત નિયમન માટે થાઈરૉઈડ જરૂરી છે.
થાઇરૉઇડની બીમારી આજના સમયમાં વિશ્ર્વના ઘણાં લોકો પરેશાન છે. આપણાં દેશમાં પણ થાઇરૉઇડના પ્રતિ દિવસ અનેક મામલાઓ સામે આવે છે. થાઇરૉઇડ રોગ પર અનેક પ્રકારના રિસર્ચ અનુસાર, ભારતમાં લગભગ ૪૨ મિલિયન લોકો થાઇરૉઇડની સમસ્યાથી પીડિત છે. આ બીમારીથી સૌથી વધુ સ્ત્રીઓને તકલીફ થાય છે. થાઇરૉઇડ એક હોર્મોન રેગ્યુલેટર ગ્રંથિ હોય છે, જેમાં અસંતુલ થવાથી હોર્મોનની સૌથી વધુ અથવા ઓછું પ્રોડક્શન થવા લાગે છે.
ઝજઇંની નોર્મલ રેન્જ ૦.૪ -૪.૦ ળઈંઞ/કની વચ્ચે હોય છે, જો તેનું લેવલ ૨.૦થી વધારે છે, તો હાઇપોથાઇરૉડિઝ્મ અને સ્તર ઘટવા પર હાઇપર થાઇરોઇડિઝ્મ કહેવામાં આવે છે. શરૂઆતના સ્તર પર નિદાનથી આ સમસ્યાને નિયંત્રિત કરવાની સાથે સાથે તેનાથી છુટકારો પણ મેળવી શકાય છે. જો તેનું નિદાન મોડેથી થાય તો આજીવન દવાઓ લેવી પડે છે.
આ ગલગ્રંથિ ક્યાં આવી એ પણ બધા જાણે છે. ગળામાં થાઈરૉઈડ ગ્રંથિ આવેલી છે. જેમ-જેમ માણસની વય વધતી જાય છે, તેમ તેમ થાઇરૉઇડની કાર્યક્ષમતામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ફેરફાર થાય છે. મોટાભાગે તો એવું બને છે કે ઉંમરલાયક વ્યક્તિમાં જ્યારે ગ્રંથિ ઓછું કામ કરતી હોય ત્યારે શરીરની અનેક ક્રિયાઓ અવ્યવસ્થિત થઇ જાય છે. આવા દર્દીઓમાં અનેક પ્રકારના અસાધારણ ચિહ્નો જોવામાં આવે છે. જો ખૂબ જ નાના બાળકોમાં આ તકલીફ હોય તો તે બાળક સાવ સુસ્ત પડી રહે છે. મોટાભાગે દર્દી આળસનો અનુભવ કરે છે. સુસ્ત રહે. કામકાજમાં કોઇ ચિત્ત રહે નહીં. દિવસ દરમિયાન પણ ઊંઘમાં રહે છે. થાઈરૉઈડ સ્ફૂર્તિનો દુશ્મન છે.
માનવશરીરમાં આ ગ્રંથિ ચોવીસ કલાક કામ કરતી રહે છે. થાઇરૉઇડ ગ્રંથિ જ્યારે આવશ્યકતાથી વધુ કામ કરતી થાય છે ત્યારે શરીર દરેક ક્રિયામાં વધારે ઝડપી અને આવશ્યકતાથી વધુ વેગવંતુ બની જાય છે. આને કારણે શરીરમાં અનેક ફેરફારો અને નુકસાન પણ થાય છે. થાઇરૉઇડ ગ્રંથિનો હોર્મોન્સ બનાવવાનો મુખ્ય આધાર આયોડિન છે. જે આપણા રોજિંદા ખોરાકમાંથી મેળવી લે છે. સરેરાશ ૧૦૦થી ૧૫૦ માઇક્રોગ્રામ આયોડિનની જરૂર આપણા શરીરને પડે છે, પરંતુ ઘણા પ્રદેશોમાં જમીનનું ધોવાણ થવાથી આયોડિન શરીરને મળતું નથી. આવા સંજોગોમાં થાઇરૉઇડ ગ્રંથિને વધારે કામ કરવું પડે છે, તેથી કરીને તે કદમાં મોટી થાય છે, આ સ્થિતિને ગોઇટર કહે છે. ગોઇટર જેને થયો હોય તેનું ગળું ફૂલી જતું હોય છે.
બાળકોમાં થાઈરૉઈડને લગતા રોગ વધુ જોવા મળે છે. જો કે સ્ત્રીઓ કે વડીલોમાં પણ થાઈરૉઈડના પ્રોબ્લેમ જોવા મળે છે. જ્યારે થાઇરૉઇડ રોગથી પીડાતા બાળકોની વય ૧૦ કે તેથી વધુની હોય ત્યારે તેને સર્વાંગાસન, મત્સ્યાસન, હલાસન, સિંહાસન, શક્ય હોય તો શીર્ષાસનનો અભ્યાસ, તદુપરાંત શવાસનનો અભ્યાસ તથા પ્રાણાયામ પ્રકરણમાં ઓમકાર, ભ્રમરી, કાર્યક્ષમતાની સુચારુતા જાળવી રાખે છે. જો તેની કાર્યશક્તિના વળતાં પાણી થયા હોય તો ફરીથી થાઇરૉઇડની વિશિષ્ટ ક્ષમતાને જાગૃત કરી શકાય. ઉજ્જયી પ્રાણાયામનો અભ્યાસ પણ આ તકે ખૂબ જ ઉપયોગી પુરવાર થયો છે. સાદી કસરત પણ થાઇરૉઇડના પ્રોબ્લેમમાં રાહત આપે છે.
ઉજ્જયી પ્રાણાયામ ઘણા માટે અજાણ્યો હોય શકે. તે કઈ રીતે થાય? ઉજ્જયી પ્રાણાયામ માટે બન્ને નસકોરાથી શ્ર્વાસ લેવો. બન્ને નસકોરાથી અથવા ડાબા નસકોરાથી શ્ર્વાસ છોડવો. શ્ર્વાસ લેતી અને છોડતી વખતે બન્ને વખત શ્ર્વાસને ગળામાં રહેલા ગ્લોટીસ સાથે સાધારણ સ્પર્શ થાય તે પ્રમાણે લેવો અને મૂકવો. શ્ર્વાસનો નિયમ આરંભમાં ૧:૨ના ક્રમ પ્રમાણે રાખવો. ધીરેધીરે કુંભકની ટેવ પાડવી. શરીર જેમ જેમ ટેવાતું જશે તેમ તેમ યોગાસન સરસ રીતે થઈ શકશે. કોઈ પણ
રોગમાં ખાવાપીવાની પરેજી મહત્ત્વની હોય છે. થાઇરૉઇડ રોગમાં શું ખાવું જોઇએ અને શું નહીં? તે પ્રશ્ર્ન ઘણાને રહે છે. આ બીમારીમાં ધાણાનું પાણી પીવું જોઇએ. ધાણાનું પાણી બનાવવા માટે સાંજે તાંબાના વાસણમાં પાણી લઈને તેમાં એકથી બે ચમચી ધાણાને પલાળી દો અને સવારે તેને સારી રીતે મસળીને ગાળી લો. દરરોજ આ પાણી પીવાથી ફાયદો થશે. આ રોગીઓએ નિયમિતપણે એક ગ્લાસ દૂધનું સેવન કરવું જોઇએ. દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે.
ફળો ઉત્તમ દ્રવ્યો કહેવાય. બીમાર માણસોને ફળો આપવામાં આવતા હોય છે. થાઈરૉઈડના રોગીઓ ફળમાં કેરી, તરબૂચ અને શક્કરટેટીનું સેવન કરી શકે છે. ખાવામાં નિયમિતપણે તજ અને આદું ખાવું જોઇએ. નાળિયેરના તેલમાં ભોજન બનાવવું જોઇએ. ભોજન થોડા પ્રમાણમાં લો ભલે બે ને બદલે ચાર વાર જમવું પડે. અને હા, એવું ભોજન ખાઓ જે પાચન કરવામાં હળવો હોય જેમ કે ખીચડી. એવી વસ્તુઓ ન ખાવી જોઇએ જે પચવામાં ભારે હોય છે. હળવો સુપાચ્ય ખોરાક જ સારો.
થાઇરૉઇડના દર્દીઓએ રોજ સવારે દસથી પંદર મિનિટ સુધી હૂંફાળા તડકામાં બેસવું જોઇએ. બહુ ઠંડા અને સૂકા ખોરાકનું સેવન ના કરવું જોઇએ એટલે બને ત્યાં સુધી રસાવાળા અને ગરમ, તાજા ખોરાક ખાવાનું રાખો. બહુ વધારે મરચાં અને મસાલાવાળું, તળેલું અને ખાટા પદાર્થો ન ખાઓ. સમતોલ આહાર ખાવો. જે ભોજન આપણાં પૂર્વજો લેતા તે શરીર માટે શ્રેષ્ઠ છે.
થાઇરૉઇડના દર્દીઓ પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઇએ. તેથી, જો એકસમાન માત્રામાં ભોજન લેવા છતાં તમારું વજન અચાનક જ વધી જાય અથવા અચાનક જ ઘટવા લાગે, તમે ખૂબ જ થાક કે વ્યાકુળતા અને કંપારીનો અનુભવ થવા લાગે તો સંભવ છે કે તમને થાઇરૉઇડ હોય, કોઈપણ પ્રકારના વિલંબ વિના તમારો ટેસ્ટ ચોક્કસ કરાવજો. પણ ગભરાવાનું નથી. કોઈ બીમારી જીવન કરતા મોટી હોતી નથી. વીલ – પાવર સાથે કોઈ પણ દર્દને નિવારી શકાય છે.