સાત ડેમમાં માત્ર 26 ટકા જ પાણીનો સંગ્રહ
આ વર્ષે વરસાદને અસર કરતી ‘અલ નીનો’ની દહેશત તેમજ માર્ચ અને એપ્રિલમાં જ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાને લીધે વધેલી ગરમીને કારણે પાણીના અપૂરતા સંગ્રહની ભીતિ વધી છે અને મુંબઇગરાના માથે ગંભીર જળસંકટ તોળાઇ રહ્યું છે.
મુંબઈને પાણી પૂરું પાડતા સાત ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી રાજ્ય સરકાર જરૂર પડ્યે બે ડેમ, ભાતસા અને અપર વૈતરણાના અનામત જથ્થા પર નિર્ભર રહેશે. મુંબઈ મહાનગરપાલિકાએ આ જળાશયના ઉપયોગ માટે જરૂરી દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી છે અને મુંબઈ મહાનગરપાલિકા તેની મંજૂરીની રાહ જોઈ રહી છે. આ અંગે પાણીના આયોજન માટેનો એક્શન પ્લાન મુંબઈ પાલિકા દ્વારા રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો છે. હાલ સાત ડેમમાં 26 ટકા પાણી છે અને પાલિકાએ દર 15 દિવસે તેની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે.
વર્તમાન જળ સંકટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યની તમામ નગરપાલિકાઓને આગામી બે મહિના માટે પાણીના આયોજન અંગે વિશેષ એકશન પ્લાન રજૂ કરવા આદેશ કર્યો છે. તે મુજબ મુંબઈ મહાનગરપાલિકાના વોટર એન્જિનિયરિંગ વિભાગે પણ પ્લાન રજૂ કર્યો છે. સરકાર દ્વારા મહાનગરપાલિકાને પાણીની હાલની સ્થિતિ શું છે, કેટલી જરૂરીયાત છે, પાણીની કટોકટી સર્જાય તો પાણી પુરવઠાનું શું આયોજન હશે તેવા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તદનુસાર, તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને જો જરૂરી હોય તો અનામત ક્વોટામાંથી પાણીનો ઉપયોગ કરવાનો વિકલ્પ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે મુંબઈને પાણી પૂરું પાડતા સાત ડેમમાં અપર વૈતરણા, મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર, તુલસી, ભાતસા અને અપર વૈતરણા રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. નિયમિત પાણી પુરવઠા માટે જરૂર પડ્યે મુંબઈ ભાતસા અને અપર વૈતરણાના ડેમમાંથી પાણીનો અનામત ક્વોટા મેળવી શકે છે. તે મુજબ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી છે કે આ બંને ડેમમાંથી 75-75 મિલિયન ક્યુબિક મીટર પાણી મળવું જોઈએ. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી વરસાદ અને પાણીની અછતના કિસ્સામાં આ ડેમના પાણીનો મુંબઈવાસીઓ માટે ઉપયોગ કરી શકાય છે. સરકારને પણ જણાવવામાં આવ્યું છે કે સાત ડેમમાં પાણીના સંગ્રહની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવશે.