કેલિફોર્નિયામાં યુએસ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જેલમાં કેદ કરાયેલા પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણા, જેની 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં સંડોવણી છે, તેને ભારતમાં પ્રત્યાર્પણ કરી શકાય છે.
લોસ એન્જલસના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ જેક્લીન ચુલજિયનએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે, કોર્ટ નિષ્કર્ષ પર આવે છે કે 62 વર્ષીય રાણા એ ગુનાઓ માટે પ્રત્યાર્પણપાત્ર છે જેના પ્રત્યાર્પણની ભારતે વિનંતી કરી હતી.
ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) 2008માં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11ના હુમલામાં તહવ્વુર રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે.
આ હુમલાઓમાં તેની ભૂમિકા માટે ભારત દ્વારા પ્રત્યાર્પણની વિનંતી પર યુએસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
NIAએ કહ્યું છે કે તે રાજદ્વારી માધ્યમો દ્વારા તેને ભારત લાવવાની કાર્યવાહી શરૂ કરવા માટે તૈયાર છે.
કોર્ટની સુનાવણી દરમિયાન, ફેડરલ પ્રોસિક્યુટર્સે દલીલ કરી હતી કે રાણા જાણતો હતો કે તેનો બાળપણનો મિત્ર પાકિસ્તાની-અમેરિકન ડેવિડ કોલમેન હેડલી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. રાણા હેડલીની મદદ કરીને અને તેને તેની પ્રવૃત્તિઓ માટે કવર આપીને આતંકવાદી સંગઠનને અને તેના સહયોગીઓ ટેકો આપી રહ્યો હતો.
રાણાને હેડલીની મીટિંગ, શું ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાક ટાર્ગેટ સહિત હુમલાના પ્લાનિંગની તમામ જાણકારી હતી.