નાગપુર: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં મંગળવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, પ્રધાન ચંદ્રકાંત પાટીલ અને અન્ય કેટલાક લોકો દ્વારા તાજેતરના સમયગાળામાં મહારાષ્ટ્રના મહાપુરુષો અંગે કરવામાં આવેલા અપમાનને મુદ્દે વિપક્ષે ધમાલ કરી હતી.
વિધાન પરિષદના વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ કોશ્યારીના છત્રપતિ શિવાજી અંગેના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને કેબિનેટ પ્રધાન ચંદ્રકાંત પાટીલના આંબેડકર અને જ્યોતિબા ફૂલે જેવા સમાજ સુધારકો અંગેના નિવેદનનો વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહમાં ધમાલ કરવાનું ચાલુ કર્યું હતું.
વિપક્ષોની ધમાલ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અંબાદાસ દાનવે અને અનિલ પરબ જેવા લોકો રાહુલ ગાંધીના સ્વાતંત્ર્યવીર સાવરકર અંગેના નિવેદનો બાબતે એક અક્ષર બોલશે નહીં. કેમ શિવસેનાના એકેય નેતાએ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ નોંધાવ્યો નથી? એવો સવાલ ફડણવીસે કર્યો હતો.
ફડણવીસના નિવેદનથી નારાજ કૉંગ્રેસના સભ્યોએ ઉપસભાપતિ નીલમ ગોરેને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી, જેને ગોરેએ નકારી કાઢી હતી.