Homeઉત્સવકર્ણાટકના ચૂંટણી મેદાનમાં ટીપુ સુલતાન

કર્ણાટકના ચૂંટણી મેદાનમાં ટીપુ સુલતાન

*મહિસુરના રાજવીના વિશ્ર્વાસુ હિંદુ હતા
*મરાઠાઓ અંગ્રેજોને પડખે જ રહ્યા હતા
*ટીપુ તો શૃંગેરીના શંકરાચાર્યનો શિષ્ય

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં જાણે કે મહિસુરનો સદીઓ પહેલાં અંગ્રેજો સામે લડતાં મરાયેલો શાસક આજે પણ ચૂંટણી લડતો હોય એવો માહોલ છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને કર્ણાટકનાં ભાજપના અધ્યક્ષ નવીન કુમાર સહિતનાએ તો ટીપુને ચૂંટણીમુદ્દો બનાવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ તો એટલે સુધી બોલ્યા કે ટીપુનો કોઈ સમર્થક જીવતો ના રહેવો જોઈએ. ભાજપના નેતાઓ એકબાજુ કૉંગ્રેસ ભણી ગતિ કરી રહ્યા છે અને બીજી બાજુ, ભાજપના ધારાસભ્ય બસનગૌડા પાટીલ મહિસુરનાં મુસ્લિમો માટે એક લાખ ટીપુ જેવો શબ્દ પ્રયોગ કરે છે. કૉંગ્રેસના પ્રદેશ કાર્યાધ્યક્ષ સતીશ જરખીહોલી પણ હિંદુઓ વિશે અણછાજતી ટિપ્પણ કરે છે. આ બધા નેતાઓ પાછળથી ખુલાસા કરે કે માફામાફી કરે પણ કમનસીબે એમણે જે સંદેશ લોકો સુધી પહોંચાડવો હોય એ તો પહોંચે જ છે. મહિસુરના શાસક રહેલા રોકેટ ટેક્નોલોજીના જનક અને અંગ્રેજો સામે લડતાં લડતાં શહીદ થયેલા ટીપુ સુલતાન હમણાં ખૂબ ચર્ચામાં છે: પાકિસ્તાન સરકારે ૨૩ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ જાહેર કર્યા મુજબ ટીપુ સુલતાનના જીવન પર આધારિત ફિલ્મ (બાયોપિક) તૈયાર કરવામાં આવી રહી છે. વળી, ઘરઆંગણે ટીપુની જન્મતારીખ ૨૦ નવેમ્બર, ૧૭૫૦ નહીં પણ ૧ડિસેમ્બર, ૧૭૫૧ હોવાનું ઐતિહાસિક પુરાવાને આધારે શિમોગાના સંશોધક નીતિન ઓલીકરે તારવ્યાની વાત ખૂબ ગાજી રહી છે. સાથે જ આઝાદી પછી અમલમાં આવેલા ભારતીય બંધારણના નિર્માતાઓ અને આઝાદીની ચળવળના મહારથીઓના આત્માને દુ:ખ પહોંચે એ રીતે ભારતના ઈતિહાસને બદલવાની ઝુંબેશો ચોફેરથી ચલાવાઈ રહી છે. અંગ્રેજો સામે લડતાં લડતાં ચોથા યુદ્ધમાં ઇ.સ. ૧૭૯૯માં દગાથી મોતને હવાલે કરાયેલા મહિસુરના વાઘ તરીકે મશહૂર મહિસુરના રાજવી ટીપુ સુલતાનને કર્ણાટકમાં ફરી ફરીને ખલનાયક સાબિત કરવા પ્રયત્નો થાય છે. આ ઉપરાંત, પાઠ્યપુસ્તકોમાંથી ટીપુને દૂર કરાવીને નવો ઈતિહાસ લખવાના પ્રયાસો થઇ રહ્યા છે.
બંધારણમાં રાષ્ટ્રપુરુષમાં સ્થાન
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પંડિત નહેરુ, સરદાર પટેલ, ડૉ. ભીમરાવ આંબેડકર, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી, મૌલાના આઝાદ સહિતના બંધારણના ઘડવૈયાઓએ ભારતને ધર્મનિરપેક્ષ (સેક્યુલર) પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવવાના કરેલા સંકલ્પનો વીંટો વાળી દેવાના પ્રયત્નો ચાલે છે. ભારતને હવે હિંદુરાષ્ટ્ર બનાવવા માટે સત્તાધીશો જ જ્યારે કામે વળગ્યા હોય ત્યારે નવા ગૃહયુદ્ધનાં એંધાણ મળ્યા વિના રહેતાં નથી. તાજેતરની કથિત ધર્મ સંસદોના મંચ પરથી થયેલાં ભાષણો આની સાક્ષી પૂરે છે. જે દેશમાં અનેકતામાં એકતાના ન્યાયે ૯૦ કરોડ હિંદુઓ અને ૨૦ કરોડ મુસ્લિમો સહિતના લોકો સર્વસમાવેશક શાસન પ્રણાલીમાં સુખે જીવતા હોય એ રાષ્ટ્રમાં ધાર્મિક ઉબાડિયાં કરવા જેવાં રાજકીય કમઠાણ શાને? એવો પ્રશ્ર્ન સાહજિક જ ઊઠે છે. ભારતીય બંધારણમાં જે રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો સામેલ છે એમાંથી મુસ્લિમ શાસકો રહેલા બાદશાહ અકબર અને ટીપુ સુલતાનની સામે છાશવારે ઝુંબેશો ચલાવીને પ્રજાના માનસને ડહોળવાનો યોજનાબદ્ધ રીતે પ્રયાસ થઇ રહેલો અનુભવાય છે. વર્તમાન સત્તાધીશોના આસ્થાપુરુષ માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી) તો ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશના એકીકરણના આદર્શને અમલમાં લાવીને અખંડ ભારતને સાકાર કરવાનો સંકલ્પ મૂકીને ગયા છે. કમનસીબે એમના શ્રદ્ધાળુ સત્તાધીશોએ તેમનાથી એકદમ અવળી દિશા પકડી હોય એવું લાગ્યા વિના રહેતું નથી.
ટીપુની ઉજવણીમાં ઉબાડિયાં
કર્ણાટક સરકાર બદલાવાની સાથે જ અહીં મહિસુરના રાજવી રહેલા ટીપુ સુલતાનની અત્યાર લગીની સ્વીકૃત જન્મજયંતી ૨૦ નવેમ્બરે મનાવવા કે નહીં મનાવવાના મુદ્દે રાજકારણ શરૂ થઇ જાય છે. કૉંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ની સરકારો ટીપુની જયંતી મનાવતી રહી છે, પણ ભાજપની સરકાર આવતાંની સાથે જ આવી ઉજવણી બંધ કરી દેવાય છે. ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ના નારા સાથે સર્વ-ધર્મ-સમભાવની ભોમકા ભારતમાં કેન્દ્રથી લઈને રાજ્યો સુધી રાજ કરતા ભાજપ અને એની માતૃસંસ્થા આરએસએસના મતે ટીપુ સુલતાન અત્યાચારી, શેતાન અને હિંદુઓ તેમજ ખ્રિસ્તીઓ પર દબાણ લાવીને તેમને વટલાવી ઇસ્લામ કબૂલ કરાવતો શાસક હતો. વર્તમાન શાસન અને શાસકોની વાત કરવાને બદલે ટીપુની વાત કરવાથી સંકેત બહુ સ્પષ્ટ જાય છે કે હિંદુ મતબેંક મજબૂત કરી શકાય. આ ઉપરાંત, માની લઈએ કે ટીપુ અત્યાચારી હતો તો આજના મુસ્લિમો એના માટે જવાબદાર કે દોષિત નહીં હોવા છતાં એમને દંડિત કરવાનો અર્થ શું? મુખ્ય મુદ્દાઓ ભણીથી પ્રજાનું ધ્યાન અન્યત્ર ખેંચવા માટે આવાં ગતકડાં કરાય છે. કમનસીબે એ લાંબા સમય સુધી પ્રજાને પલાળે છે. વર્તમાન શાસકો એકમેકના શાસનનો તુલનાત્મક અભ્યાસ કરીને વધુ સારા શાસનનું વચન આપે અને એ અમલમાં લાવવાનો પ્રયાસ કરે તો ગનીમત. એના બદલે પ્રજા ઇતિહાસના સારા-નરસા રાજવીઓની વાતોમાં જ રમમાણ રહે એ ઉચિત તો નથી પણ રાજનેતાઓના હેતુ જરૂર બહાર આવે છે.
વસતિવધારાના આભાસી ખયાલો
આરએસએસના સદ્ગત સરસંઘચાલક સુદર્શનજીએ વર્ષ ૨૦૬૦ સુધીમાં ભારતમાં હિંદુઓની વસ્તી કરતાં મુસ્લિમોની વસ્તી વધી જશે એવું ગતકડું ચલાવ્યું ત્યારે દુનિયાભરના વસ્તી નિષ્ણાતોમાંથી ઝાઝા એમની વાત સાથે સંમત થાય એવું નહોતું. જો કે, એમનો હેતુ ભારતના હિંદુઓમાં મુસ્લિમોની વસ્તી ઝપાટાભેર વધી રહ્યાનો સંદેશ આપવાનો હતો. એ સંદેશ આપવામાં તેઓ સફળ રહ્યા હતા. દુનિયાભરના મુસ્લિમોની જેમ જ ભારતમાં પણ મુસ્લિમો પરિવાર નિયોજન અમલમાં લાવી રહ્યા છે. આમ છતાં, ‘હમ પાંચ, હમારે પચીસ’ની ઘોષણાઓ બંધારણીય હોદ્દે બેઠેલાઓ કરે ત્યારે કંઈ કહેવાનું રહેતું નથી. આગામી ૨૦૫૦માં ભારત દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હશે એવો અંદાજ નિષ્ણાતો મૂકે છે. એ વેળાની ભારતની મુસ્લિમ વસ્તી ૩૧ કરોડ થાય ત્યારે પણ ૧.૩ અબજ જેટલી એટલે કે ૧૩૦ કરોડ વસ્તી હિંદુની અને ૪.૫ કરોડ વસ્તી ખ્રિસ્તી હશે. વર્ષ ૨૦૧૧ની સત્તાવાર વસ્તી ગણતરીના આંકડા મુજબ, ભારતમાં ૯૬.૬૨ કરોડ હિંદુ, ૧૭.૨૨ કરોડ મુસ્લિમ અને ૨.૦૮ કરોડ ખ્રિસ્તી વસે છે.
પં. સુંદરલાલ અને કલામનો મત
અંગ્રેજ શાસનમાં પ્રતિબંધિત કરાયેલો ગ્રંથ અને મહાત્મા ગાંધીએ સૌથી અધિકૃત લેખાવેલા પંડિત સુંદરલાલ લિખિત ‘ભારત મેં અંગ્રેજી રાજ’ ગ્રંથના બન્ને ખંડ ભારત સરકારના પ્રકાશન વિભાગે વર્ષ ૧૯૬૧માં નહેરુ શાસનમાં અને ૨૦૦૧માં વાજપેયી શાસનમાં પ્રકાશિત કરેલા છે. અંગ્રેજોના ઈશારે અને નાણાંની લાલચે ભારતીય શાસકોને બદનામ કરવાના ઈતિહાસ લખનારા ભારતીયો અને અન્યોને આ ગ્રંથોમાં ઉઘાડા પાડવામાં આવ્યા છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન આ ગ્રંથો પ્રતિબંધિત હતા પણ અત્યારે એ ઉપલબ્ધ છે. સુંદરલાલના આ ગ્રંથના અમુક અંશો ‘હાઉ ઇન્ડિયા લોસ્ટ હર ફ્રીડમ’ના નામે વર્ષ ૨૦૧૮માં સેજ અને પોપ્યુલર પ્રકાશને પ્રકાશિત કર્યાં છે. મહિસુરના રાજવી હૈદર અલી અને ટીપુ સુલતાનના શાસન વિશેની અધિકૃત માહિતી એમાં અપાઈ છે. અંગ્રેજો સાથે મળીને મરાઠાઓ તેમ જ નિઝામે કેવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી ભારતમાં પોતાનો પ્રભાવ પાથર્યો એનું દસ્તાવેજી બયાન પંડિત સુંદરલાલ કરે છે. ટીપુ સુલતાન મુસ્લિમ શાસક હતો પણ એ સર્વધર્મનો આદર કરનાર રાજવી હતો. એના દીવાન અને સેનાપતિ બંને હોદ્દે વિશ્ર્વાસુ હિંદુ હોવા ઉપરાંત એના દરબારમાં અનેક હિંદુઓ અધિકારી-કર્મચારી હતા. દુનિયામાં મિસાઈલ ટેક્નોલોજીના જનક તરીકે મશહૂર ટીપુ અંગેનું એક યુદ્ધચિત્ર અમેરિકામાં નાસાની દીવાલે ટાંગેલું જોઇને ભારતના વિશ્ર્વખ્યાત વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ રહેલા ડો.એ.પી.જે.અબ્દુલ કલામ પણ આભા થઇ ગયા હતા. એમણે ટીપુ વિશે આદરભાવ વ્યક્ત કરતાં પોતાની આત્મકથામાં એ પ્રસંગ નોંધ્યો એટલું જ નહીં, શ્રીરંગપટ્ટનમ ખાતે પોતાના રાષ્ટ્રપતિકાળ દરમિયાન વિશેષ સંશોધન પણ કરાવ્યું હતું
શૃંગેરીના શંકરાચાર્ય પ્રત્યે ભાવ
પંડિત સુંદરલાલ થકી નોંધવામાં આવ્યું છે કે શૃંગેરીના શંકરાચાર્યના શિષ્ય એવા હૈદર અને ટીપુએ હિંદુઓ સાથે હંમેશાં સારો વ્યવહાર કર્યો હતો. ટીપુએ અનેક મંદિરોને જાગીરો આપી હતી. મરાઠાઓએ શૃંગેરીનાં મંદિરો તોડ્યાં ત્યારે તેમનો જિર્ણોદ્ધાર પણ ટીપુએ કરાવ્યો હતો. એમના રાજ્યમાં યુરોપીય પાદરીઓને ધર્મપ્રચારની છૂટ હતી. સ્થાનિક ખ્રિસ્તીઓને પણ ધાર્મિક અનુસરણની મોકળાશ હતી. પરંતુ જયારે અંગ્રેજો સામેના યુદ્ધમાં પોતાના રાજ્યની ખ્રિસ્તી પ્રજા અંગ્રેજોને પક્ષે રહેવાનું વલણ ધરાવતી હતી ત્યારે ટીપુએ એમને ઇસ્લામ અંગીકાર કરવાનો વિકલ્પ આપ્યો હતો. મલબારના કેટલાક હિંદુ નાયરોએ સાગમટે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા અંગે ટીપુની સલાહ માગી ત્યારે ટીપુએ કહ્યું હતું: ‘રાજા તો પ્રજાનો પિતા ગણાય અને મારી તમને સલાહ છે કે તમે તમારા પૂર્વજોના ધર્મને જ વળગી રહો.’ આ જ ટીપુએ જેમનામાં વિશ્ર્વાસ મૂક્યો હતો એ તેના જ ટોચના અધિકારીઓમાં પૂર્ણિયા અને કમરુદ્દીન સહિતના સાથીઓને અંગ્રેજોએ સાધ્યા અને મરાઠાઓ તેમજ નિઝામે અંગ્રેજોને મદદ કરી એટલે ૪ મે, ૧૭૯૯ના રોજ દગાથી ટીપુ મરાયો અને કોલકાતામાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મુખ્યાલયમાં જશ્ન મનાવાયો. યુદ્ધમાં પણ મહિલાઓનો આદર કરનાર અને પોતાના સૈનિકો થકી મરાઠાઓની મહિલાઓની સાથે બદસલૂકી ન થાય એની પૂરતી કાળજી લેનાર ટીપુ દારૂ જેવી નશીલી ચીજોથી કાયમ દૂર રહેલો પ્રજાવત્સલ રાજવી હોવાનું સુંદરલાલ જેવા ઈતિહાસવિદ્ આધારો સાથે વર્ણવે છે. આજે આ ટીપુ સુલતાનને નામે કર્ણાટકમાં જ નહીં, દેશભરમાં વરવું રાજકારણ ખેલાય છે. પાઠ્યપુસ્તકોમાંથી ટીપુને દૂર કરવાનાં અટકચાળાં ઇતિહાસના એ સારા-નરસા સમય ખંડને વિકૃત કરવા સમાન લેખાશે. પાકિસ્તાનમાં ટીપુને નાયક તરીકે રજૂ કરાતાં ભારતમાં પણ એના પડઘા પડવા સ્વાભાવિક છે. હવે તો કદાચ ભારતીય બંધારણમાંથી આસ્થાસ્થાનો અને આદર્શ વ્યક્તિત્વો તરીકે નટરાજ, રામ-લક્ષ્મણ-સીતા, મહારાણા પ્રતાપ, બાદશાહ અકબર, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ ઉપરાંત મહાત્મા ગાંધી, નેતાજી બોઝની સાથે મુકાયેલું ટીપુ સુલતાનનું ચિત્ર પણ દૂર કરવાની ઝુંબેશો આપણે ત્યાં ચલાવાય તો નવાઈ નહીં. ઇતિહાસના નામે વર્તમાનમાં પ્રજાને લડાવીને ચૂંટણીઓ જીતવાના કારસા બંધ થાય તો ગનીમત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -