ગીર સોમનાથના ઉનામાં અથડામણ બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બજારોમાં દુકાનો ખુલ્લી હતી. પોલીસ દ્વારા ભડકાઉ ભાષણ કરવા બદલ હિન્દુત્વવાદી વક્તા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. અત્યાર સુધી 70થી વધુ તોફાની તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા મુજબ ગીર સોમનાથના ઉના શહેરમાં રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં ધર્મસભામાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેના પડઘા પડ્યા હતા.
31મી માર્ચે મુસ્લિમ સમાજના લોકોએ વડલાચોક વિસ્તારમાં ચક્કાજામ કરીને કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ કરી મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી સાથે અરજી આપવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં બંન્ને સમાજ વચ્ચે સમાધાન થયું હતું. પોલીસ અને આગેવાનોની શાંતિ સમિતિની બેઠકના કલાકો બાદ શનિવારે ફરી માહોલ તંગ બન્યો હતો. કુંભારવાડા વિસ્તાર અને કોર્ટ વિસ્તારમાં બે કોમના લોકો સામસામે આવી જતાં પથ્થરમારાની ઘટના બની હતી. બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં ફરી સમગ્ર વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.રાત્રી દરમિયાન પોલીસે કુંભરવાળા, કોટ વિસ્તાર, ભોંય વાળા વિસ્તારમાં કોમ્બીંગ કર્યુ હતું. તોફાન ગ્રસ્ત વિસ્તારમાં કોમ્બિગ હાથધરી 70થી વધુ તોફાની તત્વોને ઝડપી પાડ્યા હતા.