ધાર્મિક કે રાષ્ટ્રીય તહેવારો સમયે કે અન્ય કોઈ ઉજવણી સમયે પોલીસ ખાતુ સૌથી વધારે વ્યસ્ત રહે છે અને તેમની માટ આપણી સુરક્ષા મહત્વની સાબિત થાય છે. આટલી મોટી ભીડ એકઠી
થાય ત્યારે સુરક્ષા અને શાંતિ મોટો પડકાર હોય છે. જોકે અમદાવાદ સહિત રાજ્યભરની પોલીસ પોતાની સૂઝબૂઝથી યાત્રાની જવાબદારી નિભાવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ ટેકનોલોજીની મદદ લઈ રહી છે ત્યારે આ વર્ષે તેમાં વધારો થયો છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રથમ વખત આ વર્ષે થ્રીડી મેપિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટનો ઉપયોગ પોલીસ પોતાના અનુભવ સાથે જોડશે. રથયાત્રાની પળેપળની માહિતી કંટ્રોલરૂમમાં બેઠા બેઠા એક ક્લિકથી મેળવશે. આગામી 20 જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળનાર છે, રથયાત્રા દરમિયાન રથ ક્યાં પહોંચ્યો? હાથી ક્યાં પહોંચ્યાં? કઈ જગ્યાએ શું મુશ્કેલી સર્જાઇ એ તમામ વિગતો જાણવા માટે આ વખતે પોલીસને પરસેવો પાડવો નહીં પડે. રથયાત્રા દરમિયાન ભજન મંડળીઓ શણગારેલા ટ્રક, અખાડાઓ રથયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ તમામની સુરક્ષા અને ટ્રાફિક નિયમનની સૌથી મહત્વની જવાબદારી હોય છે. દર વખતે અનુભવના આધારે પોલીસ પોતાની કામગીરીમાં કંઈકને કંઈક ઉમેરો કરતી હોય છે.
રથયાત્રા દરમિયાન પોલીસ ભલે ફિલ્ડમાં હશે, પણ કન્ટ્રોલ રૂમમાં પણ પળેપળની માહિતી-ફૂટેજ જોવા મળશે. આ ટેકનોલોજીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદની એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની મદદથી આ પ્રોજેકટ હાત ધરવામાં આવ્યો છે. તે વિદ્યાર્થીઓ પણ યાત્રા દરમિયાન પોલીસની સાથે રહેશે. પોતાના માથા પર લાઈવ સ્ટ્રિમિંગ કેમેરા સાથે રથયાત્રા રોડ પર હશે અને તેઓ ફીડ કેપ્ચર કરશે. આ તમામ ફીડ લાઈવ ટેલિકાસ્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં થશે અને કોઈ પણ છેડેથી સોફ્ટવેર મારફતે પોલીસ ક્યાં ખૂણે શું કામ કરી રહી છે તે જાણી શકાશે.
રથયાત્રા ભક્તિભાવ સાથે પૂરી થાય તે માટે પોલીસ તેમ જ સરકાર તમામ પ્રયત્નો કરતી હોય છે ત્યારે ટકેનોલોજીનો પણ લાભ મહત્વનો સાબિત થઈ શકે છે.