ભારત એ મંદિરોનો દેશ છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. અહીં એકથી ચઢિયાતા એક મંદિર આવેલા છે અને એની સાથે જ જોડાયેલી હોય છે અનેક દંતકથાઓ, પૌરાણિક કથાઓ… કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અનેક અદ્ભૂત મંદિરો આવેલા છે. આજે આપણે અહીં આવા જ એક મંદિર વિશે વાત કરવાના છીએ.
સાઉથમાં આવેલા આ મંદિરની વિશાળતાનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય કે એમાં યુરોપનું ફેમસ વેટિકન સિટી આખેઆખું આ મંદિરમાં સમાઈ જાય એમ છે. ચાલો વધારે સમય વેડફ્યા વિના પહોંચી જઈએ દક્ષિણ ભારતમાં આવેલા શ્રી રંગનાથ સ્વામી મંદિર ખાતે. આપણામાંથી ભાગ્યે જ કોઈ એવા લોકો હશે કે જેમણે આ મંદિરની મુલાકાત લીધી હશે.
તમિલનાડુમાં કાવેરી અને કાલિદમ નદીઓ વચ્ચેના ટાપુ પર બનેલું આ મંદિર વિશ્વનું સૌથી મોટું પૂજાપાત્ર મંદિર છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ, શ્રીરામ, શ્રીકૃષ્ણ અને માતા લક્ષ્મી બિરાજમાન છે. આ મંદિરની ઘણી વિશેષતાઓ તમને આશ્ચર્યચકિત કરી દેશે, ચાલો જાણીએ શ્રી રંગનાથ સ્વામી મંદિરના અદ્ભુત તથ્યો વિશે…
શ્રી રંગનાથ સ્વામી મંદિર એટલું વિશાળ છે કે તે યુરોપના સૌથી પ્રખ્યાત શહેર વેટિકન સિટીને સમાવી શકે છે. મંદિરનું પરિસર પણ પોતાનામાં અદ્ભુત છે. મુખ્ય મંદિર રંગનાથસ્વામી મંદિરના નામથી ઓળખાય છે. અહીં ભગવાન વિષ્ણુ સુષુપ્ત મુદ્રામાં બેઠા છે.
આ મંદિર દ્રવિડિયન શૈલીના વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે અને તે હોયસાલા અને વિજયનગર સ્થાપત્યનું અદ્ભુત ઉદાહરણ છે. આ મંદિરની દિવાલો એકદમ મજબૂત કિલ્લા જેવી છે. અહીંના ચાર સ્તંભો પર ભગવાન વિષ્ણુના 24 અવતાર બતાવવામાં આવ્યા છે. આ સ્તંભોને ચતુર્વિમાષ્ટિ કહેવામાં આવે છે.
રંગનાથ સ્વામી મંદિરનો ઉત્સવ પણ ખૂબ જ ભવ્યાતિભવ્ય હોય છે. દિવાળી પહેલાં કૃષ્ણ પક્ષના બીજથી કારતક મહિનાની એકાદશી એટલે કે 9 દિવસ સુધી આ તહેવાર ઉજવવામાં આવે છે, જેને ઓંજલ ઉત્સવ કહેવાય છે. આ ઉત્સવમાં શ્રી રંગનાથ સ્વામીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ દરમિયાન વૈદિક મંત્રો અને તમિલ ગીતોના ઉચ્ચારણથી દિવ્યતા જોવા મળે છે.
જો તમે પણ દક્ષિણ ભારતમાં આવેલા શ્રી રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લેવા માંગતા હોવ તો તમે ઉનાળાની રજાઓમાં અહીં આવવાનો પ્લાન બનાવી શકો છો. મંદિરની મુલાકાત લેવાની સાથે સાથે જ તમે એની આસપાસમાં આવેલા અનેક શ્રેષ્ઠ અને સુંદર પર્યટન સ્થળોનો આનંદ પણ લઈ શકો છો. ઉનાળાના વેકેશન દરમિયાન તમિલનાડુના ઘણા સ્થળો પ્રવાસીઓથી ભરેલા હોય છે…